ભરણપોષણ એ કોઈ આર્થિક દયા કે દાન નથી પરંતુ સન્માનપૂર્વક જીવવાનો પવિત્ર હક છે, આર્થિક તંગીથી શોષણ રોકવા ન્યાયતંત્ર કટિબદ્ધ
ભારતમાં લગ્નજીવનના વિવાદો અથવા છૂટાછેડા દરમિયાન પત્ની, બાળકો કે વૃદ્ધ માતા-પિતાને આજીવિકા અને સન્માનપૂર્વક જીવવા માટે અદાલત દ્વારા ભરણપોષણની રકમ નક્કી કરવામાં આવે છે. આ રકમ કોઈ ચોક્કસ કે નિશ્ચિત ગાણિતિક ફોમ્ર્યુલાના આધારે નક્કી થતી નથી, પરંતુ તે બંને પક્ષોની સામાજિક અને આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આશ્રિત વ્યક્તિ આર્થિક લાચારીના કારણે મુશ્કેલીમાં ન મુકાય અને તેની પાયાની જરૂરિયાતો સંતોષાય. રકમ નક્કી કરતી વખતે પતિની વાસ્તવિક કમાણી, તેની મિલકતો, પત્નીની પોતાની આવકના સાધનો, આશ્રિત સંતાનોની સંખ્યા અને શિક્ષણનો ખર્ચ જેવા અનેક પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે.
ભરણપોષણ નક્કી કરવા કાનૂની જોગવાઈઓ
ભારતીય કાયદા વ્યવસ્થામાં ભરણપોષણ માટે મજબૂત કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144 મુજબ, કોઈપણ વ્યક્તિ જેની પાસે પૂરતા સાધનો છે તે પોતાની પત્ની, સગીર બાળકો અથવા અસહાય માતા-પિતાનું ભરણપોષણ કરવામાં નિષ્ફળ જાય અથવા ના પાડે, તો મેજિસ્ટ્રેટ કોર્ટ તેને માસિક ભરણપોષણ ચૂકવવાનો આદેશ કરી શકે છે. આ ઉપરાંત, હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 હેઠળ કેસ ચાલુ હોય તે દરમિયાન વચગાળાનું ભરણપોષણ અને કલમ 25 હેઠળ કાયમી ભરણપોષણ તેમજ સ્ત્રી ધનના રક્ષણની જોગવાઈ છે.
ઘરેલું હિંસા અધિનિયમની કલમ 20 હેઠળ પણ પીડિત મહિલા આર્થિક રાહતો અને રહેઠાણના અધિકારની માંગ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના રજ્નેશ વિરુદ્ધ નેહાના ઐતિહાસિક ચુકાદા મુજબ, હવે બંને પક્ષોએ કોર્ટમાં પોતાની તમામ અસ્કયામતો અને સચોટ આવક દર્શાવતું વિગતવાર નાણાકીય એફિડેવિટ ફરજિયાતપણે ફાઈલ કરવું પડે છે
(1) પતિની વાસ્તવિક માસિક આવક : ભરણપોષણની રકમ નક્કી કરવા માટે પતિની કુલ માસિક કમાણી સૌથી મહત્વનો આધાર બને છે. કોર્ટ તેના પગાર પત્રક, વ્યવસાયના નફા-નુકસાનના ખાતા અને આવકવેરા રિટર્નની તપાસ કરે છે. જો પતિ પોતાની સાચી આવક છુપાવવાનો પ્રયત્ન કરે, તો તેની લાયકાત અને સંભવિત કમાણીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને અદાલત અંદાજિત આવકના આધારે વ્યાજબી ભરણપોષણ નક્કી કરે છે.
(2) પત્નીની પોતાની આવક અને આર્થિક સ્થિતિ : જો પત્ની શિક્ષિત હોય પરંતુ ઘર અને બાળકોની જવાબદારીના કારણે નોકરી ન કરતી હોય, તો તેને ભરણપોષણ મેળવવાનો સંપૂર્ણ હક છે. પરંતુ જો પત્ની સ્વતંત્ર રીતે સારો પગાર મેળવતી હોય અથવા તેની પાસે પોતાની આજીવિકા માટે પૂરતી નિયમિત આવકના સાધનો ઉપલબ્ધ હોય, તો કોર્ટ તે આવકને ધ્યાનમાં રાખીને ભરણપોષણની રકમ ઘટાડી શકે છે અથવા નામંજૂર કરી શકે છે.
(3) બંને પક્ષોનું સામાજિક અને જીવનધોરણ : લગ્નજીવન દરમિયાન પત્ની જે પ્રકારની જીવનશૈલી, સુખ-સુવિધાઓ અને સામાજિક પ્રતિષ્ઠા સાથે જીવતી હતી, તે જ સ્તરનું જીવનધોરણ તે અલગ થયા પછી પણ જાળવી શકે તે જોવાની કોર્ટની ફરજ છે.
(4) આશ્રિત બાળકોની સંખ્યા અને તેમનો ઉછેર : જો સગીર અથવા આશ્રિત બાળકો પત્નીની સાથે રહેતા હોય, તો ભરણપોષણની રકમ સ્વાભાવિક રીતે વધી જાય છે. બાળકોના ખોરાક, કપડાં, રહેઠાણ અને દૈનિક જરૂરિયાતોની સાથે તેમની ઉંમર મુજબના તમામ પ્રાથમિક ખર્ચાઓ આ માપદંડ હેઠળ આવરી લેવામાં આવે છે.
(5) પતિની અન્ય કાનૂની અને પારિવારિક જવાબદારીઓ : ભરણપોષણ નક્કી કરતી વખતે કોર્ટ માત્ર પતિની કમાણી જ નથી જોતી, પરંતુ તેના પર રહેલા અન્ય આશ્રિતોનો બોજ પણ જુએ છે. જેમ કે, વૃદ્ધ અને બીમાર માતા-પિતાની સારવારનો ખર્ચ, અપરિણિત બહેન કે અન્ય કોઈ સભ્યની જવાબદારી પતિના શિરે હોય, તો તે કાનૂની કપાતો બાદ કરીને જ વ્યાજબી રકમ નક્કી કરવામાં આવે છે.
(6) બંને પક્ષોની સ્થાવર અને જંગમ મિલકતો : પતિ અને પત્નીના નામે રહેલી જમીન, મકાન, દુકાન, બેંક બેલેન્સ, શેર બજારનું રોકાણ કે સોના-ચાંદી જેવી મિલકતોની વિગતો કોર્ટ મંગાવે છે. જો પતિ પાસે પગાર ઓછો હોય પરંતુ કરોડોની પૂર્વજોની કે પોતાની મિલકતો હોય અને તેમાંથી ભાડું કે વ્યાજ જેવી આવક થતી હોય, તો તે મિલકતોની કિંમતના આધારે ભરણપોષણ નક્કી થાય છે.
(7) બંને પક્ષોની ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ : જો પત્ની મોટી ઉંમરની હોય, શારીરિક રીતે અસ્વસ્થ હોય અથવા કોઈ ગંભીર બીમારીથી પીડાતી હોય જેના કારણે તે કમાવા માટે અસમર્થ હોય, તો તેને વધુ રકમ મળવાપાત્ર બને છે. તેવી જ રીતે જો પતિ પોતે બીમાર હોય, અપંગ હોય કે કમાવવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હોય, તો માનવતા અને વાસ્તવિકતાના ધોરણે રકમ ઘટાડવામાં આવે છે.
(8) પતિની લોન અને અંગત દેવાની સ્થિતિ : પતિ ઉપર રહેલી હોમ લોન, કાર લોન કે ધંધાકીય લોનના માસિક હપ્તાઓની પણ કોર્ટ ચકાસણી કરે છે. જો કે, પતિ જાણી જોઈને ભરણપોષણથી બચવા માટે ખોટી લોન દર્શાવે તો કોર્ટ તેને માન્ય રાખતી નથી, પરંતુ કાયદેસરની અને અનિવાર્ય લોનની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સંતુલિત આદેશ કરવામાં આવે છે.
પતિ ફેમીલી મેટરમાં શું કેસ કરી શકે?
(1) બાળકોની કસ્ટડી માટે ફેમીલી કોર્ટમાં અરજી
(2) ભરણપોષણની રકમ ઘટાડવા અંગે અરજી
(3) ભરણપોષણનાં હુકમ વિરુદ્ધ અપીલ
(4) છૂટાછેડા મેળવવા માટે કોર્ટ કેસ
(5) ખોટા આરોપ સામે માનહાનીનો કેસ
(6) માનહાની અંગે વળતરનો કેસ
(7) સતામણી સામે પોલીસ ફરિયાદ
ભરણપોષણ મેળવવો એ માત્ર કોઈ આર્થિક દયા કે દાન નથી, પરંતુ તે કાયદા દ્વારા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને આપવામાં આવેલો એક પવિત્ર અને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. અદાલતો કાયદાના આ પાસાનો ઉપયોગ સામાજિક ન્યાયના સાધન તરીકે કરે છે જેથી કોઈ પણ વ્યક્તિ કાનૂની રક્ષણ વિના નિરાધાર ન બને. ભરણપોષણની રકમ નક્કી કરવાના માપદંડો એ સ્પષ્ટ કરે છે કે કાયદો વાસ્તવિક પરિસ્થિતિઓ અને માનવીય સંબંધોની જટિલતાઓને સમજે છે. પતિની આર્થિક સક્ષમતા અને પત્નીની વાજબી જરૂરિયાતો વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને જ સમાજમાં સમાનતા લાવી શકાય છે. લગ્નજીવનના વિવાદોમાં આર્થિક તંગીના કારણે સ્ત્રી કે બાળકનું શોષણ ન થાય તે જોવાની જવાબદારી ન્યાયતંત્રની છે.



