લાંબા સમયથી અટકેલી ગ્રામપંચાયત અને નગરપાલિકા, ઉપરાંત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની પેટાચૂંટણીઓ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજયમાં આગામી નવેમ્બર-ડિસેમ્બર, 2023માં અર્થાત દિવાળીના તહેવારો બાદ રાજયની કુલ 14655 ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાય એવી શકયતા છે. આ માટે રાજયની 50 ટકાથી વધુ વસતિ ધરાવતા ઓબીસી માટેની અનામત બેઠકો નકકી કરવાની દિશામાં આગળ વધી રહેલી રાજય સરકાર સપ્ટેમ્બર-2023માં યોજાનારા રાજય વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસુ સત્રમાં એક વિધેયક લાવીને તેને ઝડપભેર કાયદાનું સ્વરૂપ મળે, તે રીતે કાર્યવાહી કરશે.
- Advertisement -
આ અગાઉ રાજય સરકારે, ઓબીસીની અનામત બેઠકો નકકી કરવા માટે ઝવેરી પંચને કામગીરી સોંપી હતી. જેનો આખરી રિપોર્ટ રાજય સરકારને સુપરત કરી દેવાયો છે. તેમાં કંઈ ભલામણો કરાઈ છે? તેની કોઈ જાહેરાત હજુ સુધી તો સરકારે કરી નથી, પરંતુ પંચાયત રાજયમંત્રીની ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે મહત્વની બેઠકમાં ઝવેરી પંચના અહેવાલ મુજબની ભલામણો તથા ઓબીસીની સંભવિત બેઠકો બાબતે વિગતે ચર્ચા કરાઈ હતી. જો કે, આ બાબતે કોઈ નિર્ણય લેવાયો ન હતો.
હવે 28મીના બુધવારે યોજાનારી મંત્રીમંડળની બેઠકમાં સંભવત: આ મુદ્દે ચર્ચા કરીને નિર્ણય લેવાય તેવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે. રાજયમાં નવી આકાર પામેલી ગ્રામ પંચાયતો સહિતની કુલ 14655 ગ્રામ પંચાયતો, 158 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયતો, 218 તાલુકા પંચાયતો અને 8 મહાનગરપાલિકામાં ઓબીસીની અનામત બેઠકો કેટલી રહેશે? તે નકકી કરવા માટે ઝવેરી પંચની નિમણુંક કરીને ભલામણો મેળવી લેવાઈ છે. હવે, કેબીનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરીને નિર્ણય લેવાયા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.