-અગ્નિપથ યોજનામાં રાજનેતાનાં સંતાનો કેમ નથી જોડાતા તેવા મેણાને દિકરી ઈશિતાએ ભાંગ્યુ
સામાન્ય રીતે ફિલ્મ સ્ટાર્સનાં સંતાનો પણ પોતાની કેરીયર આજ ક્ષેત્રમાં બનાવવાનું પસંદ કરતા હોય છે. સ્ટારકિડસમાં અલગ ચીલો ચાતરતા રવિ કિશનની દિકરી ઈશિતાએ ભારતીય સેનામાં જોડાવાનું પસંદ કર્યુ છે. જાણીતા એકટરમાંથી સાંસદ બનેલા રવિ કિશનની દિકરી ઈશિતા શુકલા ડીફેન્સમાં ભાગ બનવાની છે.
- Advertisement -
થોડા સમય અગાઉ સમગ્ર દેશમાં અગ્નિપથ યોજના વિવાદનું કેન્દ્ર બની હતી.કોઈ રાજનેતા પોતાના સંતાનોને શા માટે સેનામાં નથી મોકલતા તેવા સવાલો પણ ઉઠયા હતા. રાજકારણી અને એકટરના સંતાનો આમ પણ વારસામાં મળેલી કેરીયર જ પસંદ કરતા હોય છે.જયારે ઈશિતાએ અગ્નિપથ યોજના હેઠળ ભારતીય લશ્કરમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. રવિ કિશનની દીકરી ઈશિતા માત્ર 21 વર્ષની છે, અનેક સોસ્યલ મિડિયા યુઝર્સે ઈશીતાનાં આ પગલાને અન્ય નેતાઓ તથા યુવાનો માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું.
ઈશીતાએ અગાઉ એનસીસી કેડેટ તરીકે 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાયેલી પરેડમાં ભાગ લીધો હતો. ઈશીતાએ આ પરેડ માટે આખરી મહેનત કરી હોવાનું રવિકિશને ગર્વભેર જણાવ્યું હતું. રવિ કિશનને ચાર સંતાનો છે. જેમા બે દિકરા અને બે દિકરીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 53 વર્ષના રવિકીશન ભોજપુરી ગીતો માટે પ્રખ્યાત છે. હિન્દી અને તેલુગુ સિનેમામાં પણ તેમણે આગવી ઓળખ ઉભી કરી છે.