મધ્ય પ્રદેશના ટેક્સ અધિકારીઓએ કૌભાંડનો પર્દાફાશ કર્યો: 4909 નકલી કંપનીઓના 2021-22 અને 2022-23ના જીએસટી રિટર્નમાં 29000 કરોડનું ટર્નઓવર દર્શાવાયું હતું
ખાસ-ખબર સંવાદદાતા
સત્તાવાળાઓએ 8100 કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડી પાડી છે. આ જીએસટી ચોરી સમગ્ર દેશના 4909 નકલી બિઝનેસ એકમો દ્વારા કરવામાં આવી હતી તેમ મધ્ય પ્રદેશના ટેક્સ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. મધ્ય પ્રદેશના કોમર્શિયલ ટેક્સ કમિશનર લોકેશ કુમાર જાટવે જણાવ્યું હતું કે રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ડિપાર્ટમેન્ટને ઇન્દોરમાં એક કંપનીના ઇ વે બિલોની મહિના સુધી ચાલેલી તપાસ દરમિયાન મોટી કરચોરીના સંકેત મળ્યા હતાં.
- Advertisement -
તેમણે જણાવ્યું હતું કે ઉંડી તપાસના અંતે સમગ્ર દેશમાં 4909 શંકાસ્પદ બિઝનેસ એકમો મળી આવ્યા હતાં. જે પૈકી દિલ્હીમાં સૌથી વધુ 1888 નકલી એકમો, ઉત્તર પ્રદેશમાં 831, હરિયાણામાં 474, તમિલનાડુમાં 210, મહારાષ્ટ્રમાં 201, તેલંગણામાં 167 અને મધ્ય પ્રદેશમાં 139 નકલી એકમો મળી આવ્યા છે.
જાટવના જણાવ્યા અનુસાર આ 4909 એકમોની તપાસમાં જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23ના જીએસટી રિટર્નમાં 29000 કરોડ રૂપિયાનું ટર્નઓવર દર્શાવવામાં આવ્યું હતું. તપાસકર્તાઓએ 8103 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી શોધી કાઢી છે. આ ટેક્સ ચોરી બોગસ બિઝનેસ અને નકલી બિલો દ્વારા જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અયોગ્ય લાભ મેળવીને કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશનું જીએસટી ડિપાર્ટમેન્ટ ટેક્સ ચોરીની વિગતવાર તપાસ હાથ ધરશે.