ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ આવતા હોય છે. ત્યારે ભક્તો વિવિધ રીતે સોમનાથ મહાદેવનું પૂજન અર્ચન કરે છે, સોમનાથ મહાદેવને વિધિવત પુજન સાથે પાઘ અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાઘ સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાઘ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતે તૈયાર કરવામાં આવી છે. જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે અને તેનો શ્રી સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરવામાં આવશે.
સાથેજ સોમનાથ મહાદેવને શૃંગારમાં અર્પણ કરવામાં આવેલ પાઘ ના વસ્ત્રો માત્ર વસ્ત્ર ન રહીને મહાદેવનો કૃપાપ્રસાદ બની શ્રદ્ધાળુઓના જીવનમાં આધ્યાત્મિકતાનું ચિન્હ બને તેવા શુભ આશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેના થકી યાત્રીઓ આ પાઘના વસ્ત્રોનો વસ્ત્ર પ્રસાદ મેળવી શકશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પાઘ પૂજાની પેહલી પાઘ સોમનાથ મહાદેવને શૃંગારમાં ઉપયોગમાં આવે તે પહેલા તેનું મંદિરના સભા મંડપમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સાથે મળીને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ મહાદેવની પાઘને પાલખીમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટના તમામ અધિકારીઓ કર્મચારીઓ સહિત શ્રદ્ધાળુઓ પણ પાલખીયાત્રામાં જોડાયા હતા અને હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિરનું સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવ માટે પાઘ પૂજાનો શુભારંભ કરાયો
