- નકલી નોટો, કાળુ નાણુ તથા આતંકી ફંડીંગ રોકવાનો પણ ઉદેશ હતો: રિઝર્વ બેંકે જ ભલામણ કરી હતી અને વિસ્તૃત પરામર્શ કરાયો હતો.
500 તથા 1000 રૂપિયાની નોટોનો ચલણમાં ખૂબ વધારો થઈ જવાને કારણે રિઝર્વ બેંકની ભલામણના આધારે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો તેમ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં પેશ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ કર્યુ હતું.
2016માં લાગુ કરાયેલી નોટબંધી સામેની સંખ્યાબંધ અરજીઓની સુનાવણી સામેના એફીડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે રૂા.500-100ની સામે 500 તથા 1000ની નોટોનું ચલણ ખૂબ વધી ગયુ હતું. 2010-2011ની સરખામણીએ 2015-16માં 500ની નોટોનું ચલણ 76.4 ટકા તથા 1000ની નોટોનું ચલણ 109 ટકા વધી ગયું હતું.
- Advertisement -
આ તકે કેન્દ્ર સરકાર તથા રિઝર્વ બેંકે કાળાનાણા, નકલી નોટો તથા આતંકી ફંડીંગ અટકાવવાના ત્રિવિધ ઉદેશ સાથે 500 તથા 1000ની નોટો રદ કરીને નવી શ્રેણીની ચલણી નોટો દાખલ કરવાની વિચારણા શરૂ કરી હતી. સાથોસાથ 48.1 કરોડના કામદાર વર્ગમાંથી 40 કરોડ બીનસંગઠીત ક્ષેત્રમાં હોવાનો રિપોર્ટ હતા. સંગઠીત ક્ષેત્રનો વ્યાપ વધારવાનો પણ ઈરાદો હતો.
નોટબંધીનો નિર્ણય યોગ્ય હોવાનો દાવો કરતા એફીડેવિડમાં એમ પણ કહેવાયુ છે કે આર્થિક નીતિ અંતર્ગત આ નિર્ણય રિઝર્વ બેંકના 1934ના કાયદાકીય જોગવાઈ આધારીત હતો અને સમજી-વિચારીને લેવાયો હતો. દેશમાં આર્થિક ક્ષેત્રે મોટા સુધારા કરવામાં આવી રહ્યા હતા અને નોટબંધી તેનો ભાગ હતી. સંગઠીત ક્ષેત્રમાં વ્યાપ વધારવા તથા બીનસંગઠીત ક્ષેત્રને મર્યાદીત કરવાનો પણ ઉદેશ હતો.
સાથોસાથ ડીજીટલ લેવડદેવડ, ટેકનીકલ કનેકટીવીટીનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તથા વધુને વધુ લોકોને કરજાળમાં આવરી લઈને ટેકસચોરી રોકવાનો પણ આશય હતો.
- Advertisement -
સરકાર તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રિઝર્વ બેંકના સેન્ટ્રલ બેંકના સેન્ટ્રલ બોર્ડ દ્વારા 500 તથા 1000ની નોટ બંધ કરવા માટે કેન્દ્ર સરકારને ખાસ ભલામણ સાથેની સ્કીમ આપવામાં આવી હતી અને તેના પર વિસ્તૃત વિચારણા કર્યા બાદ જ નોટબંધી લાગુ કરવામાં આવી હતી.
સરકારે એમ પણ કહ્યું છે કે, નોટબંધીના અમલમાં કાયદાકીય સતા તથા પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યુ હતું. 2017માં સંસદમાં પણ પસાર કરવામાં આવી હતી. આ સંજોગોમાં નોટબંધીને પડકારવાનો કોઈ અર્થ નથી. નોટબંધી માટે રિઝર્વ બેંક સાથે વિસ્તૃત પરામર્શ કરાયો હતો અને વ્યાપક તૈયારી પણ કરાઈ હતી.