હરદેવસિંહ જાડેજા એન્ડ કંપની લડાયક મૂડમાં, હાઈકોર્ટમાં પિટિશનની તૈયારીઓ પૂર્ણ
બૅન્કમાં ચાલતાં ગેરવહિવટ અને ભરતી કૌભાંડ અંગે પાટિલને પુરાવાઓ અપાશે
- Advertisement -
રાજકોટ જિલ્લા બૅન્કનો વિવાદ દિવસે ને દિવસે વધુ ઘેરો બનતો જાય છે. ડિસ્ટ્રિક્ટ બૅન્કમાં કથિત ભરતી કૌભાંડને કારણે સમગ્ર સહકારી ક્ષેત્રમાં અને રાજકારણમાં હલચલ મચી ગઈ છે. હવે આ મામલો હરદેવસિંહ જાડેજા અને અન્ય સાથીદારો સી. આર. પાટિલનાં દરબારમાં લઈ જઈ રહ્યાં છે.
‘ખાસ-ખબર’ સાથેની વાતચિતમાં સહકારી અગ્રણી હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘અમે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલનો સમય માંગ્યો છે. લગભગ 27 કે 28 એપ્રિલનો સમય અમને મળે તેવું લાગે છે. અમે તેમને મળીને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બૅન્કમાં ચાલતાં ગેરવહિવટ અને ભરતી કૌભાંડ અંગે પુરાવાઓ સહિત રજૂઆત કરવાનાં છીએ!’
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ જ હરદેવસિંહ જાડેજાએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ‘છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન બૅન્કમાં કુલ 1100 કર્મચારીઓની ભરતી થઈ છે, જેમાંથી 900 પટ્ટાવાળા છે. આ બધાં પટ્ટાવાળાને માત્ર છ મહિના પછી કલાર્ક બનાવી દેવાયા છે અને આ તમામ 900 ઉમેદવારોને પૈસાથી નોકરી અપાઈ છે, પ્રત્યેક ઉમેદવાર પાસેથી 45 લાખ વસૂલવામાં આવ્યા છે!’
‘ખાસ-ખબર’ સાથેની વાતચિતમાં હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ પિટિશનમાં સાથે જોડાવા માટે અમે વિવિધ મંડળીઓ વગેરેને વિશ્વાસમાં લઈ રહ્યાં છીએ. એકસાથે અનેક મંડળીઓ અને સંગઠનો આ પિટિશનમાં જોડાશે!’
- Advertisement -