ભૂખ્યાને ભોજન અને દ્રષ્ટિહિનને દ્રષ્ટિ આપનાર તથા અનેક સેવા કાર્યોની જ્યોત પ્રસરાવનાર ગોંડલના રામજી મંદિર ખાતે વહેલી સવારે 4.30 કલાકે હરિચરણદાસજી મહારાજએ આંખો મીંચી
- પૂ. બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજું
ગોંડલ શ્રી રામજી મંદિરના પૂ. હરિચરણદાસજી મહારાજ આજે વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં અગિયારસના પવિત્ર દિવસે બ્રહ્મલીન થતાં ઘેરો શોક છવાય ગયો છે. ગોંડલ ખાતે શ્રી રામજી મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો અંતિમ દર્શન માટે ઉમટયા છે. આજે સવારથી બપોર સુધી ભાવિકો પૂ. હરિચરણદાસજી મહારાજના અંતિમ દર્શન ગોંડલ ખાતે કરી શકશે. ત્યારબાદ રાજકોટ સદ્દગુરૂ સેવા આશ્રમ ખાતે સાંજે 5 થી 7 દરમિયાન ભાવિકો દર્શન કરી શકશે. કાલે મંગળવારે સવારે 7 થી 9 દરમિયાન નર્મદા નદીના કિનારે ગોરા ખાતે પૂ. હરિચરણદાસજી મહારાજની શાસ્ત્રોકત વિધિ સાથે અંતિમવિધિ કરવામાં આવશે. બાપુના દેવલોકગમનથી હજારો ભકતોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ માઠા સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ગુરૂભાઈઓ સહિત તેમના ભકતો દર્શન માટે ઉમટ્યાં છે. પૂ. હરિચરણદાસજીએ 100 વર્ષની ઉંમરે સવારે 4 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે. જયાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગુરૂ માનતા હતા.
1954માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન શરૂ કર્યું
બાપુનું મૂળનામ હરિશ્ર્ચંદ્ર મિસરાજ હતું. ઈ.સ. 1921માં ચૈત્ર સુદ 6ના દિવસે બિહારના પંજરવામાં જન્મ થયો હતો. ત્યારબાદ 1954માં ગુરૂદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું. છેલ્લા 70 વર્ષથી તેઓ અહીં રહી સેવા કરી રહ્યા છે. 34 વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. તેમના ગુરૂજી સદગુરૂ દેવ રણછોડદાસજી મહારાજના સાનિધ્યમાં સરિયૂ નદીના કિનારે ભજન કરતા હતા.
- Advertisement -
કાશીમાં ‘હરિ’ના શરણે જઈને હરિચરણદાસ બન્યા
ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુ આજે વહેલી સવારે શ્રીજી ચરણ પામ્યા છે. હરિચરણદાસજીની ઉંમર 2 વર્ષની હતી ત્યારે તેમના માતા પરલોકવાસી થયા. આ સમયે તેમનું લાલન-પાલન તેમના પિતામહ દામોદર મિશ્ર દ્વારા થતું રહ્યું અને ભક્તિના બીજ વવાતા ગયા. પૂર્વસંસ્કાર અનુસાર બાલ્યાવસ્થાથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ પણ વિકસતો ગયો. સાથે ગરીબી અવસ્થાની સંઘર્ષ પણ એક સાધન તરીકે સહયોગી બન્યો. અનેક સંધર્ષોનો સામનો કરતાં કરતાં અધ્યયન પણ વધતું ગયું. આમ એક પછી એક કરતાં 1949ની સાલમાં કાશી પહોંચી ત્યાં અધ્યયન કાર્યમાં જોડાયા. શાસ્ત્રનો અભ્યાસ વધતો ચાલ્યો. પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં પંડિત આનંદ મિશ્રને તથા માતા ચંતિકાને ત્યાં થયો હતો, જન્મ સમયે તેમને હરિશ્ર્ચંદ્ર મિસરાજ નામ અપાયું હતું અને આગળ જતાં તેઓ હરિચરણદાસજી નામથી ઓળખાયા.
1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ર્ચય કર્યો
‘અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ’
કાશી પહોંચીને અસીઘાટ પાસે એક સંતના આશ્રમમાં રહીને શાસ્ત્રનું અધ્યયન અને ભજન કરવા લાગ્યા. આવા દિવસોમાં એક વખત કાશી વિયાનાથ મંદિરમાં ભગવાન શિવજીનો જાપ-પૂજા કરતા હતા તે વખતે હૃદય-ભાવ જગતમાં આવે બન્યું. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને મનોમન પ્રાર્થના શરૂ થઈ કે હે પ્રભુ ! મને રસ્તો બતાવો. હું તમારી માયા સૃષ્ટિમાં અટવાઇ રહ્યો છે. આ આતનાદ પૂરો થયો કે પ્રભુ શિવજી પાસેથી આદેશની અનુભૂતિ થઇ. બધું છોડીને ભગવત શરણ કરો. બધું ઠીક થઇ જશે. અને તે જ દિવસે એક વસ્ત્ર અને એક જલપાત્ર’ લઇને ગંગાજીના કિનારે નીકળી ગયા. અનેક સંકટો વચ્ચે ગંગાના કિનારે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં પ્રયાગ તરફ ચાલી નીકળ્યા. 1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ચય કર્યો કે અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ. ત્રણ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે એક સંત રણછોડદાસજી જેવા જ દેખાતા હતા તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામઘાટ પર ભજન કરવા આદેશ આપ્યો હતો.
ગોંડલ આવી રામમંદિરની ગાદી સંભાળ્યા બાદ ભારતના ખ્યાતનામ ડૉક્ટરોના કેમ્પોનું આયોજન
- Advertisement -
હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચાલતી સંસ્થાઓમાંની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગો માનવજાતિની સેવા માટે કાર્યરત છે. જેમાં દર્દીઓને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે, આંખનાં મોતિયાનું ઓપરેશન લેન્સ સાથે તદ્દન ફ્રી, જનરલ સર્જરી વિભાગમાં એપેન્ડિક્સ, સારણગાંઠ પ્રોસ્ટેટ ગ્રંથી, પથરી તેમજ શરીરમાં નાની મોટી ગાંઠના ઓપરેશન તદ્દન ફ્રી કરી દેવામાં આવે છે. સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ ડિલિવરી દવાઓ સાથે, સ્ત્રી રોગને લગતા ઓપરેશન તદ્દન ફ્રી, દરેક પ્રસૂતાને શુદ્ધ ઘી તથા ડ્રાયફ્રુટ તેમજ નવજાત શિશુ માટે બેબી કીટ, મચ્છરદાની આપવામાં આવે છે. બાળકોના વિભાગમાં કોઇ ચાર્જ લેવાતો નથી, હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી તથા તેના સગા વ્હાલાઓ બંને ટાઈમ નિ:શુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા, જરૂરીયાત મંદ દર્દીઓ માટે રાહતની વિશેષ જોગવાઇ છે. આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધારે ઓ.પી.ડી એક લાખથી વધુ દાખલ દર્દીઓ અને નવ લાખથી વધુ લોકો નિશુલ્ક ભોજન-પ્રસાદની સેવા લઈ ચૂક્યા છે. તેમજ આંખનાં 50 હજારથી વધારે નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.
ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને આશીર્વાદ આપતાં હરિચરણદાસ બાપુ

ગોંડલમાં રામમંદિરનાં ઉદ્દઘાટન સમયે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે

ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાએ હરિચરણદાસ બાપુને પોતાનાં ગુરૂ માન્યા હતા.

આ પણ વાંચો: દેશમાં IAS અધિકારીઓની 22% ઘટ!!
https://khaskhabarrajkot.com/2022/03/28/22-drop-in-ias-officers-in-the-country/


