બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. બુધવારે, FWICEએ સત્તાવાર રીતે રણવીર સિંહ વિરુદ્ધનો ‘નોન-કોઓપરેશન’ (સહકાર ન આપવાનો) નિર્દેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. આ નિર્ણય અભિનેતા દ્વારા સંસ્થાને લીગલ નોટિસ મોકલ્યા પછી લેવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
- Advertisement -
આ વિવાદ ‘ડોન 3’ ફિલ્મમાંથી રણવીર સિંહના બહાર નીકળવા સાથે સંબંધિત હતો. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની પ્રોડક્શન કંપનીએ ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રી-પ્રોડક્શન પાછળ ₹45 કરોડથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. જેના પગલે, 25 મેના રોજ FWICE એ રણવીર સિંહ વિરુદ્ધ નોન-કોઓપરેશન નિર્દેશ જાહેર કર્યો હતો.
ઈન્ડસ્ટ્રીના હિતમાં નિર્ણય લીધો છે: FWICE
આ આદેશ પાછો ખેંચવાનો નિર્ણય ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPAA), પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)ની દરમિયાનગીરી બાદ લેવામાં આવ્યો છે. FWICEના પ્રમુખ બી.એન. તિવારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમને કહેવામાં આવ્યું છે કે આપણે બધાએ સાથે મળીને પ્રોડ્યુસર્સ બોડી સાથે વાતચીત કરવી જોઈએ અને એવો યોગ્ય નિર્ણય લેવો જોઈએ જેમાં પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ કે એક્ટર કોઈને પણ મુશ્કેલી ન પડે. અમે કોઈની હાર કે જીત માટે નહીં, પણ ઈન્ડસ્ટ્રીના હિતમાં આ નિર્ણય લીધો છે.
- Advertisement -
લીગલ નોટિસનો જવાબ આપીશું: FWICE
જોકે FWICE એ પોતાનો આદેશ પાછો ખેંચ્યો છે, પરંતુ તેઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રણવીર સિંહની લીગલ નોટિસનો કાયદેસરની રીતે જ જવાબ આપશે.
આ સમગ્ર મામલે રણવીર સિંહના પ્રવક્તાએ અગાઉ જણાવ્યું હતું કે, અભિનેતાએ હંમેશા ફિલ્મ અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકો માટે આદર અને સદ્ભાવના રાખી છે. રણવીરે આ સમગ્ર મામલે અત્યાર સુધી મૌન જાળવ્યું હતું કારણ કે તેમનું માનવું હતું કે વ્યાવસાયિક ચર્ચાઓ અને વ્યક્તિગત સંબંધોને ગરિમા અને પરસ્પર આદર સાથે જ હેન્ડલ કરવા જોઈએ.
ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે સમાધાનના પ્રયાસો રહ્યા હતા નિષ્ફળ
આ વિવાદ અગાઉ ‘પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા’ પાસે પણ પહોંચ્યો હતો, જ્યાં સિનિયર પ્રોડ્યુસર્સે રણવીર અને ફરહાન વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. એક્સેલ એન્ટરટેઇનમેન્ટે દાવો કર્યો છે કે રણવીરના કારણે સેટ ડિઝાઇનિંગ, લોકેશન બુકિંગ અને પ્રિ-પ્રોડક્શન પ્લાનિંગ પાછળ કરોડો રૂપિયા વેડફાઈ ગયા છે.
હું એક બાબત શીખ્યો છું કે હંમેશા અણધારી આફત માટે તૈયાર રહો: ફરહાન અખ્તર
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં ડિરેક્ટર ફરહાન અખ્તરે કરતા કહ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે. તમારે હંમેશા અણધારી આફતો માટે તૈયાર રહેવું પડે છે. જ્યાં સુધી ફિલ્મ કેમેરા પર શૂટ ન થઈ જાય, ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને ફાઈનલ ન માની શકો.




