સેનાને 120 અને વાયુસેનાને 80 મળશે, જૂનાં ચેતક-ચિત્તા હેલિકોપ્ટર નિવૃત્ત થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ભારતીય સેના અને વાયુસેના તેમના જૂના ચેતક અને ચિત્તા હેલિકોપ્ટરને બદલવા માટે લગભગ 200 નવા હેલિકોપ્ટર ખરીદવાની તૈયારી કરી રહી છે. આ માટે, સંરક્ષણ મંત્રાલયે માહિતી માટે વિનંતી ((RFI) જારી કરી છે. આ નવા હેલિકોપ્ટરને રિકોનિસન્સ એન્ડ સર્વેલન્સ હેલિકોપ્ટર (RSH) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આમાંથી, 120 હેલિકોપ્ટર ભારતીય સેનાને અને 80 હેલિકોપ્ટર વાયુસેનાને આપવામાં આવશે. આ હેલિકોપ્ટર દિવસ અને રાત્રિ બંને સમયે કાર્યરત રહેશે. સંરક્ષણ મંત્રાલયનો ઉદ્દેશ્ર્ય ટેકનિકલ જરૂરિયાતોને અંતિમ સ્વરૂપ આપવાનો, ખરીદી પ્રક્રિયા નક્કી કરવાનો અને સંભવિત સપ્લાયર્સને ઓળખવાનો છે.
આમાં ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થશે જે વિદેશી કંપનીઓ (OEMs) સાથે ભાગીદારીમાં હેલિકોપ્ટર બનાવી શકે છે. સંરક્ષણ મંત્રાલય અન્ય પ્લેટફોર્મની સાથે વધુ યુટિલિટી હેલિકોપ્ટર ખરીદવાની યોજના ધરાવે છે. સંસદમાં રજૂ કરાયેલા સંરક્ષણ અંગેની સ્થાયી સમિતિના અહેવાલ મુજબ, લો-લેવલ રડાર, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA), મલ્ટી-રોલ હેલિકોપ્ટર અને મિડ-એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ પણ ખરીદવામાં આવશે. આ ઉપરાંત, સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) પાસેથી 156 હળવા લડાયક હેલિકોપ્ટર ખરીદવાને મંજૂરી આપી છે, જેની કિંમત 45,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ હેલિકોપ્ટર સેના અને વાયુસેનામાં પણ વહેંચવામાં આવશે અને ચીન-પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પગલું ‘આત્મનિર્ભર ભારત’ તરફનો એક મોટો પ્રયાસ પણ છે. ભારતીય વાયુસેના દેશમાં જ ફાઇટર એરક્રાફ્ટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ, મિસાઇલ, ડ્રોન અને રડાર બનાવવા પર ભાર મૂકી રહી છે, જેથી સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાય.