1984નાં શીખ વિરોધી રમખાણોમાં પિતા-પુત્રની હત્યાનો મામલો, પીડિત પક્ષે મૃત્યુદંડની માગ કરી હતી
સુલતાનપુરી રમખાણ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હીમાં 1984નાં શીખ વિરોધી રમખાણો કેસમાં મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ બપોરે 2 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો. કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો.
પીડિત પક્ષે સજ્જન કુમાર માટે મૃત્યુદંડની માગ કરી હતી. સજ્જન કુમારને 12 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસ રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા સાથે સંબંધિત છે.
આ સમયગાળા દરમિયાન સજ્જન આઉટર દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ હતા. તે હાલમાં રમખાણો સંબંધિત બીજા કેસમાં તિહાર જેલમાં બંધ છે અને આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
31 જાન્યુઆરી, 2025એ થયેલી સુનાવણીમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમાર પરનો ચુકાદો મુલતવી રાખ્યો હતો. અગાઉ, 8 જાન્યુઆરી અને 16 ડિસેમ્બર, 2024એ પણ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. બંને વખત તિહારમાં બંધ સજ્જન કુમાર વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં હાજર થયા હતા. ડિસેમ્બર 2021માં સજ્જન કુમારે કહ્યું હતું કે તેઓ આ કેસમાં નિર્દોષ છે અને ટ્રાયલનો સામનો કરશે. આ કેસમાં સજ્જન કુમારને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ પછી, તેમની સામે આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2023માં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને દિલ્હીના સુલતાનપુરીમાં 3 લોકોની હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. ખરેખર, 1984નાં શીખ રમખાણો દરમિયાન સુલતાનપુરી વિસ્તારમાં 3 લોકોની હત્યા થઈ હતી. રમખાણોમાં સીબીઆઈની મુખ્ય સાક્ષી ચામ કૌરે આરોપ લગાવ્યો હતો કે સજ્જન કુમાર ટોળાને ઉશ્ર્કેરી રહ્યા હતા.
દિલ્હી હાઈકોર્ટે 17 ડિસેમ્બર 2018એ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી હતી. હકીકતમાં, 1984નાં શીખ વિરોધી રમખાણો પછી દિલ્હીમાં પાંચ શીખોની હત્યા અને ગુરુદ્વારાને સળગાવી નાખવામાં આવ્યું હતું. આ કેસમાં સજ્જન કુમાર દોષિત સાબિત થયા અને તેમને સજા ફટકારવામાં આવી હતી.
જુલાઈ 2010માં કરકરડૂમા કોર્ટે ત્રણ લોકોની હત્યા કેસમાં સજ્જન કુમાર, બ્રહ્માનંદ, પેરુ, કુશલ સિંહ અને વેદ પ્રકાશ વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. સુલતાનપુરી રમખાણોમાં સીબીઆઈની મુખ્ય સાક્ષી ચામ કૌરે આરોપ લગાવ્યો હતો કે સજ્જન કુમાર ટોળાને ઉશ્ર્કેરી રહ્યા હતા. 13 વર્ષ પછી, 20 સપ્ટેમ્બર, 2023એ રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમાર અને અન્ય આરોપીઓને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.