1978 માં સંભલમાં સાંપ્રદાયિક હિંસા થઈ જેનાં કારણે અનેક પરિવારોને હિજરત કરવી પડી તેનાં સાચાં આંકડા માટે સરકાર ફરી તપાસ કરશે
ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લાં એક મહિનાથી સતત સમાચારોમાં છે. યુપી સરકારે 1978 ના સંભલ રમખાણોની બંધ થયેલી ફાઇલને ફરીથી ખોલવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સંભલ પ્રશાસન અને પોલીસ 47 વર્ષ પહેલાં થયેલાં આ રમખાણની તપાસ કરશે અને એક અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ યોગી સરકારને સોંપશે. આ રમખાણોમાં સત્તાવાર મૃત્યુઆંક 24 હતો. જો કે, સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે રમખાણોમાં સત્તાવાર આંકડા કરતાં ઘણાં વધુ લોકો માર્યા ગયાં હતાં.
- Advertisement -
સીએમ યોગી આદિત્યનાથે થોડાં સમય પહેલાં 1978ના સંભલ રમખાણોને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ રમખાણોમાં 184 લોકો માર્યા ગયાં હતાં અને ઘણાં પરિવારોએ ભાગવું પડ્યું હતું. પોલીસ અને પ્રશાસન હવે રમખાણોમાં મૃત્યુના સાચાં આંકડા શોધી કાઢશે. કહેવામાં આવી રહ્યું છે કે, તપાસમાં રમખાણો બાદ બેઘર થયેલાં લોકોનાં વાસ્તવિક આંકડાઓ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
સંભલના એસપી કેકે બિશ્નોઈએ ડીએમ ડો. રાજેન્દ્ર પાંસિયાને પત્ર લખ્યો હતો કે, યુપી વિધાન પરિષદના સભ્ય શ્રીચંદ શર્માએ 1978ના રમખાણોની તપાસની માંગ કરી છે. આના પર તેમને યુપીનાં નાયબ સચિવ ગૃહ અને પોલીસ અધિક્ષક માનવ અધિકારનો પત્ર પણ મળ્યો છે. એસપીએ ડીએમ પાસે સંયુક્ત વહીવટી તપાસ માટે ડીએમ વહીવટીતંત્રમાંથી એક અધિકારીને નામાંકિત કરવાની માંગ કરી છે.
યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં સંભલ રમખાણોને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ આ મામલે ચર્ચાએ જોર પકડ્યું હતું. 1978 માં સંભલમાં ઘણાં દિવસો સુધી રમખાણો ચાલું રહ્યાં હતાં. સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
- Advertisement -
આ અંગે લગભગ 169 કેસ નોંધાયાં હતાં. મુરાદાબાદના કમિશ્નરે સંભલના ડીએમ પાસેથી કેસ સંબંધિત તમામ દસ્તાવેજો મંગાવી દીધાં છે. વહીવટીતંત્ર રમખાણો પછી બેઘર થયેલાં લોકોની વાસ્તવિક સંખ્યા જાહેર કરવાનો પણ પ્રયાસ કરશે.