ખાસ-ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-3)
ભૂમાફિયા અને તંત્ર વચ્ચેની સાંઠગાંઠમાં રાજકારણ મધ્યસ્થી બન્યું હતું
- Advertisement -
વર્ષ 2004 બાદ સરકાર દ્વારા કોલસાની લીઝના નવા નિયમો અને ધળખમ ફેરફારો વચ્ચે લીઝ ધારકો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધના પગલે અનેક લીઝ ધારકો દ્વારા પોતાની કોલસાની લીઝ પણ સરકારને સુપ્રત કરી હતી આ સમયે સરકારના નિયમોમાં હેકટર દીઠ પચાસ હજાર ભરપાઇ કરવાની સાથે સુરંગ અને કૂવા મારફતે કોલસા કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો જોકે લીઝ ધારકો દ્વારા સરકાર સામે વિરૂદ્ધ બાદ સરકાર ટસથી મસ નહિ થતાં અંતે નવી યુક્તિ શોધી કાઢી ગેરકાયદે કોલસાના ખનન પર વધુ ભાર દઈને ગેરકાયદે ખનન પ્રક્રિયામાં વધારો થયો હતો. વર્ષ 2007 સુધીમાં મોંઘવારીની સાથે કોલસાની માંગ પણ વધી હતી જેથી આ સમયે કોલસો લીઝ ધારકો ઓછા હોવાના લીધે પૂરો નહિ પડતાં 500 રૂપિયા પ્રતિ ટન ભાવ સુધી ઊંચકાયો હતો. સરકારી નિયમો વિરૂદ્ધ અને રાજકીય ઓથા હેઠળ પૂર્વ લીઝ ધારકો અને ભૂમાફિયા બંનેને ગેરકાયદે કોલસા ખણનમાં ફાવટ આવી ગઈ હતી.
સરકારી જમીનોમાં કાઢવામાં આવતા કોલસાનું ખનન અને સરકારને એક રૂપિયો પણ ભરપાઇ કર્યા વગર માત્ર પ્રશાસનને સાચવી ધંધો કરવાથી બધુજ “તાલે” બેસી જતા કામગીરી દર્શાવવા એકાદ – બે દરોડાને બાકાત રાખતા કોઈના રોકટોક વગર જ ગેરકાયદે કોલસાના કારોબાર ધંધો જાણે ફલ્યો ફૂલ્યો હતો. દિવસો અને મહિનાઓ વીતતાં જતા થાનગઢ બાદ ધીરે ધીરે ભૂમાફિયાઓ મૂળી અને સાયલા પંથકમાં પણ અખતરો કરવા જતાં અહી પણ પ્રશાસન સાથે ધરોબો બેસાડી થાનગઢ પૂરતો સિમિત ગેરકાયદેસર કોલસાનો કારોબાર કરતા ભૂમાફિયાનો વિસ્તાર વધારી રહ્યો હતો. સરકારના પ્રતિબંધ છતાં સુરંગ મારફતે કાઢવામાં આવતા કોલસા દરમિયાન ભેખડ ધસી જવાના લીધે પણ સતત મજૂરોના મૃત્યુ આંક સામે આવી રહ્યા હતા જેમાં ભૂમાફિયાઓ દ્વારા પ્રથમ તો મૃતક મજૂરોને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ બાદમાં મૃતકના પરિવારજનો સાથે બેઠક કરતા અને મોત મામલે પણ બોલી બોલતી હતી. આ તમામ પ્રકરણ પ્રશાસન જાણવા છતાં અજાણ હોવાનું નાટક કરતું કારણ કે દર મહિને કોલસાની કાળી કમાણીનો મોટો તગડો હિસ્સો તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સુધી પણ પહોંચતો હતો. મોટાભાગે અન્ય રાજ્યોમાંથી અહી કોલસા કાઢવાની મજૂરી માટે આવતો પરિવાર ખૂબ જ ગરીબ વર્ગની હોવાથી ભૂમાફિયાઓ દ્વારા મજૂર પરિવારના કોઈ પણ સભ્યના મોત બાદ ત્રણથી પાચ લાખ જેટલું વળતર આપી રાતોરાત ખાનગી કારમાં મૃતકની લાશ અને પરિવારજનોને તેઓના રાજ્યમાં મોકલી દેવતા હતા અને જ્યારે ખાણમાં મજૂરોના મોતનો મામલો જાહેર થાય ત્યાં સુધીમાં “ન તો મજૂરની લાશનો પત્તો લાગે કે ન તો તેઓના પરિવારજનોનો સંપર્ક થાય” આ પ્રકારે ભૂમાફિયાઓ કોલસાના કાળા ધંધાની સાથે મોતનો સોદો પણ કરવા લાગ્યા હતા…
ગેરકાયદે કોલસાનું ખનન થતાં ગામો
- Advertisement -
થાનગઢ તાલુકાના ગામો
થાનગઢ, જામવાડી, ખાખરાળી, રાવરાની, સોનગઢ, વેળાળા (સા), ગૂગળીયાણા, કાનપર, ખાખરાથળ, તરણેતર, રૂપાવટી, મોરથળા
મૂળી પંથકના ગામો
ઉમરડા, પલાસા, ખાખરાળા, વાગડીયા, દેવપરા, માનપર, ધોળિયા, આસુન્દ્રાળી, ખંપાળીયા, ગઢડા, ભેટ, રાણીપાટ, સાડલા, દુધઈ.
સાયલા તાલુકાના ગામો
ચોરવિરા, ઇશ્વરિયા, ચિત્રાલાખ