ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા શહેરની અને હાલ સંસ્કારી નગરી વડોદરા ખાતે સ્થાયી થયેલ ઈશા વ્યાસ આગામી નવરાત્રિ દરમિયાન લંડન ખાતે નવરાત્રિના ગરબા મહોત્સવમાં પોતાની કલાના કામણ દ્વારા લંડનવાસીઓને ગરબાનું ઘેલું લગાડશે.
- Advertisement -
આગામી નવલાં નોરલામાં પ્રારંભે લંડન ખાતે પોતાના કંઠના સૂર સાથે અસલ ગુજરાતી ગરબાની રમઝટ બોલાવશે. ઈશા વ્યાસે તેણીનું પ્રારંભિક શિક્ષણ સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પ્રાપ્ત કર્યું છે. આમ ગણીએ તો બાલ્યકાળથી સંગીતમાં રૂચિ ધરાવતી ઈશાએ શાળાના અભ્યાસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લઈને પોતાની અભિરુચિને આગળ ધપાવી છે. વડોદરા ખાતે એમ.એસ. યુનિવર્સિટીની મ્યુઝિક કોલેજમાંથી સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરીને સંગીતકલાના ગાયન ક્ષેત્રે પણ નિપુણતા પ્રાપ્ત કરી છે. સાવરકુંડલાના કલાપ્રેમી હસ્તીઓ દ્વારા તેમની વિદેશયાત્રા સફળ રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ઈશા વ્યાસ તેણીના સૂરોની સરગમ હવે લંડનની ધરતી પર રેલાવી માતાજીના ગરબા સાથે ખેલૈયાઓને ભારતીય સંસ્કૃતિ અને એમા પણ ખાસકરીને ગુજરાતી ગરબા કે જે હવે વૈશ્વિક ફલક પર ધૂમ મચાવી રહ્યાં છે ત્યારે સાવરકુંડલાની ઈશા વ્યાસ પણ વિદેશની ધરતી પર ગરબાની રમઝટ બોલાવી લંડનવાસીઓને ગરબાનું ઘેલું લગાડશે એ વાત નિશ્ચિત છે આમ સાવરકુંડલા હવે દેશ વિદેશમાં માત્ર કાંટા માટે જ નહીં પરંતુ શૈક્ષણિક અભિયોગ્યતા માટે પણ વખણાશે