શૈલવાણી: શૈલેષ સગપરિયા
સરોવરના કિનારા પાસે એક નાનું બાળક રમી રહ્યું હતું. થોડે દૂર બેઠેલી એની મા આ બાળકને જોઈ રહી હતી. અચાનક એક મગર બહાર આવ્યો. બાળક તો એની મસ્તીમાં રમી રહ્યું હતું. મગરે બાળકનો પગ પકડ્યો. દૂર બેઠેલી માનું ધ્યાન જ હતું. એણે કુદકો મારીને બાળકના હાથ પકડી લીધા. એક બાજુ મગર અને બીજી બાજુ મા. પેલી સ્ત્રીએ પોતાની તમામ તાકાત લગાવીને બાળકને મગરના સકંજામાંથી મુક્ત કર્યો; પરંતુ આ ખેંચતાણમાં પેલી સ્ત્રીના તિક્ષ્ણ નખ બાળકના હાથમાં વાગી જવાથી એના હાથમાંથી લોહી નીકળતું હતું. નાના બાળકને એ નહોતું સમજાતું કે, ‘એક મા મને કઈ રીતે લોહી-લુહાણ કરી શકે? મારી માને મારો જરા પણ વિચાર નહીં આવ્યો હોય ?’
બાળકની આંખમાં પ્રશ્ન વાંચી ગયેલી માતાએ કહ્યું કે, બેટા, મને ખ્યાલ છે કે તું મારા પર ગુસ્સે છે. મારા મોટા નખથી તારા હાથની ચામડી ઊતરી ગઈ છે અને તને ખૂબ પીડા થાય છે; એ પણ હુ સમજી શકું છું. પણ બેટા, તને કદાચ અત્યારે નહીં સમજાય. તું બહુ નાનો છે હજુ. મારે તને બચાવવો હતો અને મારી પાસે આ માટે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.
આપણા જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ બને છે, જ્યારે આપણે પણ પરમાત્મા પ્રત્યે નારાજ થઈ જઈએ છીએ. આપણને એવું લાગે છે કે, ‘ભગવાન તે કંઈ આવા હોતા હશે. જે મને આવું દુ:ખ અને પીડા આપે છે.’ આપણું પણ પેલા નાના બાળક જેવું જ છે. હાથ પર પડેલા ઉઝરડાંઓને યાદ કરીને રડ્યા કરીએ છીએ એ તો સાવ ભૂલી જ જઈએ છીએ કે આ નાની એવી પીડાના બદલામાં હું બચી ગયો છું.
- Advertisement -
તેં બધાં જ સંજોગો મારા કલ્યાણ માટે સર્જ્યા છે, તેવી મારી શ્રદ્ધા અમર રહો.
-શ્રી અરવિંદ