રાજકોટમાં ભેળસેળખોરો સામે મનપાના આરોગ્ય વિભાગના દરોડા
35 વેપારીને નોટિસ, રૂ.44,500નો દંડ વસૂલાયો, 12 નમૂના લેવાયા
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ખાદ્ય પદાર્થો સામે વધુ એક વ્યાપક સર્વેલન્સ અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 121 પેઢી, રેસ્ટોરન્ટ અને ખાદ્ય વ્યવસાયિક એકમોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 55 કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રિન્ટેડ પસ્તીનો 180 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ, સ્વચ્છતા, લેબલિંગ અને અન્ય નિયમોના ભંગ બદલ કુલ 35 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ પેઢીઓ પાસેથી કુલ રૂ.44,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એક્ટ હેઠળ 12 ખાદ્ય નમૂનાઓ એકત્ર કરી પૃથ્થકરણ માટે માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
- Advertisement -
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ટાગોર રોડ પર વન-દ્વારકા કોમ્પ્લેક્સ સામે આવેલી શ્રીમાન છોટુજી સમોસેવાલે પેઢી સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન યોગ્ય સ્ટોરેજનો અભાવ, વાસી તૈયાર ખાદ્ય ચીજો અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ મળી આવતા કુલ 55 કિલોગ્રામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને રૂ.5,000નો વહીવટી ચાર્જ ફટકારવામાં આવ્યો હતો તેમજ આંબલી-ખાંડની લૂઝ ચટણીનો નમૂનો પણ લેવામાં આવ્યો હતો.
ધમાભાઈ બ્રેડવાળા, જનતા બેકરી, વરિયા ભજીયા હાઉસ, બાલગોપાલ લાલજી નાસ્તા હાઉસ, જય બાલાજી લસ્સી એન્ડ કોલ્ડ્રિંક્સ, ઉમિયાજી ફરસાણ, રાજમંદિર ફરસાણ સહિત અનેક વેપારીઓને લાઇસન્સનો અભાવ, અનહાઈજેનિક સ્થિતિ, વપરાશમાં લેવાતા ખાદ્યતેલની વિગતો પ્રદર્શિત ન કરવી, થર્મોકોલના બાઉલનો ઉપયોગ, લાઇસન્સ વગર ખરીદી, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અને અન્ય નિયમોના ભંગ બદલ નોટિસો આપવામાં આવી હતી તેમજ દંડ વસૂલવામાં આવ્યો હતો.
ગાયત્રીનગર, મોરબી રોડ, કોઠારીયા રોડ, જામનગર રોડ, બજરંગવાડી, પેડક રોડ, સંત કબીર રોડ, મવડી રોડ, ગોંડલ રોડ અને અન્ય વિસ્તારોમાં આવેલી અનેક ફરસાણ, મીઠાઈ, હોટલ, પાન-કોલ્ડ્રિંક્સ અને નાસ્તાની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. મોટાભાગની જગ્યાએ લાઇસન્સ વગર વ્યવસાય ચલાવવો, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ, ખુલ્લા ખાદ્ય પદાર્થો રાખવા, અનહાઈજેનિક સ્થિતિ, મીઠાઈ પર ટેગિંગનો અભાવ તથા ખાદ્યતેલની વિગતો પ્રદર્શિત ન કરવી જેવી ખામીઓ સામે આવી હતી. નિયમભંગ કરનાર વેપારીઓ પાસેથી રૂ.500થી રૂ.2,000 સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન મવડી રોડની વરિયા ફરસાણમાંથી 16 કિલોગ્રામ, ગોંડલ રોડની જલારામ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાંથી 11 કિલોગ્રામ તથા મહાવીર ફરસાણમાંથી 4 કિલોગ્રામ પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરવામાં આવી હતી. જય મહાકાળી પાણીપુરીમાંથી ત્રણ કિલોગ્રામ વાસી બાફેલા બટેટાના મસાલાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના રૈયા રોડ, જામનગર રોડ, મોરબી રોડ, ગોંડલ રોડ, પેડક રોડ, મંગળા રોડ, સંત કબીર રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી અનેક ખાદ્ય પેઢીઓની સ્થળ તપાસ કરી વેપારીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
મનપાના ફૂડ વિભાગે દૂધ અને પનીરમાં ભેળસેળ અટકાવવા માટે શહેરમાં અલગથી મિલ્ક ચેકિંગ ડ્રાઈવ પણ હાથ ધરી હતી. આ અભિયાન હેઠળ અમૃત ડેરી ફાર્મ, ધારેશ્વર ડેરી ફાર્મ, માં આઈ ખોડિયાર દુગ્ધાલય, દ્વારકાધીશ ડેરી ફાર્મ, ગાયત્રી ડેરી ફાર્મ, ગોપાલ ડેરી ફાર્મ, જય શક્તિ ડેરી ફાર્મ, રાધિકા ડેરી ફાર્મ, દ્વારકેશ ડેરી ફાર્મ, બુટ ભવાની ડેરી ફાર્મ અને અન્ય ડેરીઓમાંથી લૂઝ મિક્સ દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ તથા પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. મિલ્ક ચેકિંગ દરમિયાન પણ અનેક ડેરીઓમાં લાઇસન્સનો અભાવ, મીઠાઈ પર ટેગિંગ ન હોવું, ખાદ્યપદાર્થો ખુલ્લા રાખવા તથા લેબલિંગ સંબંધિત ખામીઓ સામે આવતા નોટિસ આપી રૂ.500થી રૂ.2,000 સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
પ્રિન્ટેડ પસ્તી સામે મનપાનું કડક વલણ : 180 કિલો જથ્થો જપ્ત કરી વેપારીઓ સામે કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોના પેકિંગમાં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરની 121 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસમાં કુલ 180 કિલોગ્રામ પ્રિન્ટેડ પસ્તીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગના જણાવ્યા મુજબ અખબાર કે અન્ય પ્રિન્ટેડ પેપરની શાહીમાં રહેલા કેમિકલ્સ અને રંગો ખાદ્ય પદાર્થોમાં ભળી માનવ આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેથી ફૂડ સેફ્ટીના નિયમો મુજબ ખાદ્ય ચીજોને પ્રિન્ટેડ પસ્તીમાં પેક કરવી કે પીરસવી પ્રતિબંધિત છે. તપાસ દરમિયાન અનેક વેપારીઓ પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરતા ઝડપાતા તેમને નોટિસ ફટકારી વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. મનપાએ વેપારીઓને ફૂડ ગ્રેડ પેકિંગ સામગ્રીનો જ ઉપયોગ કરવા સૂચના આપી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની તપાસ વધુ સઘન બનાવવાની ચેતવણી આપી છે.



