2024માં 165, 2025માં 148 સિંહે જીવ ગુમાવ્યો
સાસણ ખાતે હાઈટેક્ મોનિટરિંગ યુનિટ જ્યારે સક્કરબાગમાં ક્વોરેન્ટાઈન ઝોન તૈયાર કરાયો છે
- Advertisement -
સિંહના અકુદરતી મોતને અટકાવવા કૂવાઓને પારાપેટ વોલથી બાંધવા, રેલવે ટ્રેક આસપાસ ફેન્સિંગ કરાયું: સરકાર
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાતમાં બે વર્ષમાં 322 સિંહના મૃત્યુ થયા છે. જેમાં 75 સિંહ, 91 સિંહણ અને 148 બાળસિંહનો સમાવેશ થાય છે. આ પૈકી 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળના અકુદરતી રીતે મોત થયાનું સામે આવ્યું છે. છે. વર્ષ 2024માં 165 અને વર્ષ 2025માં 148 સિંહના મોત થયા હતા.
વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 31 જાન્યુઆરીની સ્થિતિએ ગુજરાતમાં કુલ 891 એશિયાટિક સિંહ છે. જેમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 બાળસિંહનો સમાવેશ થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ 9 સિંહના મોત થયા છે. છેલ્લા બે વર્ષમાં 322માંથી 64 સિંહનું કૂવામાં પડવા, વાહનની ટક્કર જેવા અકુદરતી કારણથી મોત થયું છે. 64માંથી 41 સિંહ પુત્ર અને 22 બાળવયના હતા જ્યારે એકની ઓળખ થઇ શકી નથી. સિંહના અકુદરતી મોત પર નિયંત્રણ મેળળવા કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે તે અંગે માહિતી આપતાં સરકારે જણાવ્યું કે, સિંહોને તાકીદે સારવાર મળી રહે તેના માટે વિવિધ સ્થાને સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વેટરનરી ડોક્ટરની નિમણૂક કરાઈ છે. તાકીદે સારવાર માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત ઠેકઠેકાણે સ્પીડબ્રેકર મૂકવા, સાઇનબોર્ડ રાખવા, નિયમિત ફૂટ પેટ્રોલિંગ, કૂવાને પેરાપેટ વોલથી ઢાંકવા, રેલવેટ્રેક પાસેફેન્સિંગ કરવા સહિતના પગલાં લેવામાં આવ્યા છે. સિંહ માટે રેડિયો કોલરિંગની કામગીરી પૂરી થઇ છે અને સાસણ ખાતે હાઈટેક્ મોનિટરિંગ યુનિટ જ્યારે સક્કરબાગમાં ક્વોરેન્ટાઈન ઝોન બનાવવામાં આવ્યો છે.



