કોર્ટે કહ્યું, ચાર્જશીટમાં ખામી: ચુકાદા બાદ રડતાં-રડતાં કેજરીવાલ બોલ્યા, જિંદગીભર ઈમાનદારી રાખી છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હીની રાઉંઝ એવન્યુ કોર્ટે લિકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે પુરાવા વગર બંને સામેના આરોપો સાબિત થઈ શકતા નથી. સીબીઆઈએ આ કેસમાં કુલ 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે તેમાંથી કોઈપણ સામે આરોપો ઘડવાનો ઇનકાર કર્યો હતો, અને બધાને નિર્દોષ છોડી મૂક્યા હતા.
કેજરીવાલે કોર્ટની બહાર મીડિયા સાથે વાત કરી, જે દરમિયાન તેઓ રડવા લાગ્યા, તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ દારૂ કૌભાંડ.. દારૂ કૌભાંડ.. કરી રહ્યો છે અને અમારા પર આરોપો લગાવવામાં આવે છે. આજે કોર્ટે બધા આરોપો ફગાવી દીધા અને અમને બધાને મુક્ત કર્યા. અમે હંમેશા કહ્યું કે અમને ભારતીય ન્યાયતંત્રમાં વિશ્ર્વાસ છે. હું ન્યાયાધીશનો ખૂબ આભારી છું જેમણે અમને ન્યાય આપ્યો. સત્યનો વિજય થયો છે. ભગવાન અમારી સાથે છે. મોદી અને અમિત શાહે સાથે મળીને સ્વતંત્ર ભારતમાં સૌથી મોટું રાજકીય કાવતરું ઘડ્યું. આમ આદમી પાર્ટીના પાંચ સૌથી અગ્રણી નેતાઓને પાર્ટીનો નાશ કરવા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. વર્તમાન મુખ્યમંત્રીને તેમના ઘરેથી ખેંચીને છ મહિના માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. અમારા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બે વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. અમારા પર કાદવ ફેંકવામાં આવ્યો. ટીવી ચેનલો પર દિવસના 24 કલાક ચર્ચાઓ ચાલતી હતી અને સમાચાર બતાવવામાં આવતા હતા કે… આટલું કહીને અરવિંદ કેજરીવાલ રડી પડ્યા. તેમની બાજુમાં ઉભેલા મનીષ સિસોદિયાએ તેમને સાંત્વના આપી… આ પછી કેજરીવાલે ફરી બોલવાનું શરૂ કર્યું, કહ્યું… મેં જીવનમાં ઈમાનદારીની કમાણી કરી છે. તેમણે ખોટા કેસ દાખલ કર્યા. આજે એ સાબિત થયું છે કે કેજરીવાલ ખૂબ જ પ્રામાણિક છે. મનીષ સિસોદિયા ખૂબ જ પ્રામાણિક છે, અને આમ આદમી પાર્ટી પણ ખૂબ જ પ્રામાણિક છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે સત્તા માટે દેશ સાથે આ રીતે રમત ન રમો. બંધારણ સાથે આ રીતે રમત ન રમો. જો તમને સત્તા જોઈતી હોય તો સારું કામ કરો. આજે દેશ ઘણી બધી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. દેશમાં મોંઘવારી, બેરોજગારી, તૂટેલા રસ્તાઓ છે, દરેક જગ્યાએ પ્રદૂષણ છે. દરેક જગ્યાએ ઘણી બધી સમસ્યાઓ છે. તેમને ઉકેલીને સત્તામાં આવો. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે ખોટા કેસ કેમ દાખલ કરો છો? સારું કામ કરીને સત્તામાં આવો. આવા ખોટા કેસ દાખલ કરવા અને વિપક્ષ સામે સતત વાહિયાત કેસ દાખલ કરવા અને તેમને જેલમાં ધકેલી દેવા એ વડાપ્રધાનને શોભતું નથી. આ દેશને આગળ ધપાવશે નહીં. દેશ ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે જનતાની સમસ્યાઓનું નિરાકરણ આવશે.



