મદદ કરનાર ‘રાહવીર’ ને રૂ.25,000 ઈનામ મળશે: માર્ગ સુરક્ષા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવવા નીતિન ગડકરીનો માસ્ટરપ્લાન
સ્લીપર બસોમાં આગ સામે કડક વલણ: ફાયર ડિટેક્શન સિસ્ટમ હવે અનિવાર્ય: મુસાફરોની સુરક્ષા માટે સેન્સર અને ઈમરજન્સી એક્ઝિટના નિયમોમાં ધરખમ ફેરફાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય બેઠકમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતના પીડિતો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. હવે દેશભરમાં અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોને ₹1.57 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળશે, જે અકસ્માત પછીના પ્રથમ 7 દિવસ સુધી ઉપલબ્ધ રહેશે. આ યોજના અગાઉ કેટલાક રાજ્યોમાં સફળ રહ્યા બાદ હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
‘રાહવીર યોજના’ અને હિટ એન્ડ રન સહાય: અકસ્માત સમયે ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવા સરકાર ‘રાહવીર યોજના’ લાવી છે. જે વ્યક્તિ ઘાયલને સમયસર હોસ્પિટલ પહોંચાડશે તેને ₹25,000 નું રોકડ ઈનામ અને કાયદાકીય રક્ષણ અપાશે. આ ઉપરાંત, હિટ એન્ડ રન કેસમાં ગંભીર ઈજાગ્રસ્તો માટે વળતર વધારીને ₹50,000 અને મૃત્યુના કિસ્સામાં ₹2 લાખ નક્કી કરવામાં આવ્યું છે.
ઝીરો ફેટાલિટી અને દિવ્યાંગમૈત્રી પરિવહન: સરકારે દેશના સૌથી વધુ અકસ્માતગ્રસ્ત 100 જિલ્લાઓની ઓળખ કરી ત્યાં ‘ઝીરો ફેટાલિટી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાથોસાથ, જાહેર પરિવહનને દિવ્યાંગો માટે સુલભ બનાવવા તમામ નવી સિટી બસોમાં લો-ફ્લોર ડિઝાઇન, વ્હીલચેર રેમ્પ અને લિફ્ટ જેવી સુવિધાઓ ફરજિયાત કરવામાં આવશે. સ્લીપર કોચ બસોમાં પણ ફાયર ડિટેક્શન અને ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ જેવી સુરક્ષા સુવિધાઓ હવેથી અનિવાર્ય રહેશે.
મોટર વાહન અધિનિયમમાં 61 સુધારા: આગામી સંસદ સત્રમાં સરકાર મોટર વાહન અધિનિયમમાં 61 જેટલા મહત્વપૂર્ણ સુધારા પ્રસ્તાવિત કરશે. આ સુધારાઓનો મુખ્ય હેતુ ભારતીય માર્ગ સુરક્ષાના નિયમોને વૈશ્વિક ધોરણો સમકક્ષ બનાવવાનો છે.
ગડકરીએ વધુમાં જણાવ્યું કે સ્ક્રેપિંગ પોલિસી દ્વારા જૂના વાહનો દૂર કરવાથી જીએસટી આવકમાં વધારો થયો છે અને કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો નોંધાયો છે.



