સોમનાથના પુન:નિર્માણના સંકલ્પકર્તા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.1
અખંડ ભારતના શિલ્પી અને શ્રી સોમનાથ મંદિરના ભવ્ય પુન:નિર્માણના સંકલ્પકર્તા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર સહિત જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શાસ્ત્રોક્ત શ્ર્લોકોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રખર રાષ્ટ્રવાદી અને ઇતિહાસકાર કનૈયાલાલ મુનશીના શબ્દોમાં કહીએ તો “જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુન: નિર્માણ ન જોઈ શકી હોત.” સરદાર સાહેબની અદમ્ય ઇચ્છાશક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને કારણે જ જ્યોતિર્લિંગ સોમનાથનું પુન:સ્થાપન શક્ય બન્યું હતું ત્યારે, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ સંકલ્પ લઈને વિધિવત પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ સંકલ્પમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સોમનાથની ધરોહરને જાળવી રાખવાના નિર્ધારનું સ્મરણ કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમમાં ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર પટેલને આદરાંજલિ અર્પણ કરેલ.



