પૂર્વે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓ આજે (16મી ઓક્ટોબર) એકસાથે રાજીનામા આપી શકે છે
શુક્રવારના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ યોજાવાનો છે
- Advertisement -
ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચી ગઈ છે અને આ પૂર્વે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓ આજે (16મી ઓક્ટોબર) એકસાથે રાજીનામા આપી શકે છે. આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભાજપ 2021ની માફક નો-રિપીટ ફોર્મ્યૂલા અને નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે ત્રણ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં આ નિર્ણય લેવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મંત્રી મંડળના વિસ્તરણ પહેલા ગાંધીનગરમાં સન્નાટો છવાઇ ગયો છે. શુક્રવારે (17મી ઓક્ટોબર)ના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ યોજાવાનો છે. આ સમારોહ બાદ તરત જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ 2021ની ‘નો-રિપીટ’ થિયરીને અપનાવી શકે છે. વર્તમાન 16 સભ્યોના મંત્રીમંડળમાંથી લગભગ એક ડઝન મંત્રીઓને દૂર કરીને, અંદાજે 14થી 15 નવા મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે. આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. અટકળો છે કે આ પદ માટે આદિવાસી વ્યક્તિની નિમણૂક થઈ શકે છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ આજે (ગુરુવારે) ગુજરાતની મુલાકાત લેશે. તેઓ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની જેમ નાયબ મુખ્યમંત્રી ફોર્મ્યુલા શોધવા માટે ધારાસભ્યો સાથે બેઠકો કરી શકે છે.
- Advertisement -
કેન્દ્રીય નેતાઓની હાજરીની શક્યતા
કેન્દ્રીય નેતાઓ પણ મંત્રીમંડળમાં ફેરફારમાં હાજર રહે તેવી શક્યતા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે, જોકે તેઓ બીજા દિવસે બિહારની મુલાકાતે જવાના છે. આ મોટા ફેરફારોનું મુખ્ય કારણ આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP) ના કારણે ગુજરાતના આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રમાં ભાજપને મળી રહેલા પડકારો ગણવામાં આવે છે. આ ફેરફાર દ્વારા પાર્ટી પાટીદાર અને ઓબીસી ગઠબંધનને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે.
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા
નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.
પ્રાદેશિક સંતુલન પર ભાર
અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.
સચિવાલયમાં સન્નાટો : કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓ ડોકાયાં નહીં
મંત્રીમંડળનુ વિસ્તરણ હવે લગભગ નક્કી છે ત્યારે બુધવારે મોટાભાગના મંત્રીઓની ગેરહાજરી જોવા મળી હતી. વિકાસ સપ્તાહના સમાપના બહાને મંત્રીઓ ડોકાયાં જ ન હતાં. મંત્રીઓના પીએથી માંડીને પટાવાળા ચિંતાતુર જોવા મળ્યાં હતાં કેમકે, મંત્રીઓના સ્ટાફને પણ વિદાયનો ડર સતાવી રહ્યો છે. દિવસભર સચિવાલયમાં જાણે સન્નાટો છવાયેલો રહ્યો હતો. કોની વિકેટ પડશે અને કોણ યથાવત રહેશે તેની ચર્ચા ચાલતી રહી હતી.
સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં ખાલી ઓફિસોમાં સાફસફાઇ શરૂ કરાઇ
શુક્રવારે મંત્રીઓનો શપથગ્રહણ યોજાઇ શકે ત્યારે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વધુ મંત્રીઓનું હોઇ શકે છે. જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.