990 મુસાફરોએ બસ સેવાનો લાભ લેતા વિભાગને લાખોની આવક થઈ
ટ્રાફિક ન મળતા શનિ-રવિ દરમિયાન માત્ર 27 ટ્રીપો દોડાવવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા પણ મહાકુંભ માટે ખાસ પેકેજ સાથેની વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે રાજકોટ એસ.ટી. વિભાગની મહાકુંભ માટેની આ સ્પેશિયલ બસને ખૂબ જ વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી 44 ટ્રીપો દોડાવવામાં આવતા એસ.ટી.ને 88 લાખની આવક થઈ છે. આવતીકાલે રાજકોટથી મહાકુંભ માટેની છેલ્લી બસ ઉપડશે. બીજી તરફ ગત શનિવારથી જુનાગઢમાં વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થયો છે. જેમાં પણ રાજકોટ એસ.ટી. ડિવિઝને અત્યાર સુધીમાં 27 ટ્રીપો દોડાવી છે.રાજકોટ એસ.ટી.નાં વિભાગીય નિયામકનાં જણાવ્યા મુજબ ગત તા. 4 ફેબ્રુઆરીથી રાજકોટથી કુંભ માટેની વોલ્વો સેવા શરૂ કરવામાં આવી હતી. રાજકોટથી સીધા મહાકુંભ જતી એસ.ટી.ની આ વોલ્વો બસ સેવાને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં આજ સુધી કુલ 44 ટ્રીપો દોડાવવામાં આવી હતી અને 990 મુસાફરોએ એસ.ટી.ની આ ખાસ સેવાનો લાભ લેતા એસ.ટી. વિભાગને 88 લાખની આવક થઈ છે. આવતીકાલે મહાકુંભ જવા માટેની છેલ્લી બસ દોડાવવામાં આવનાર છે.
મહાશિવરાત્રી : 370 એકસ્ટ્રા બસ દોડાવાશે
70 મીની બસોથી 1000થી વધુ ટ્રીપો દોડાવાશે
મહાશિવરાત્રીની સ્પેશિયલ ટ્રીપો અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, ગત શનિવારથી જુનાગઢમાં વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થયો છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ સહિત વિવિધ સ્થળોએથી એસ.ટી.એ 370 એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કર્યું છે. જેમાં રાજકોટ ડિવિઝન દ્વારા પણ 50 એકસ્ટ્રા બસો શિવરાત્રીના મેળા માટે શરૂ કરાઈ છે.
જોકે, છેલ્લા બે દિવસ દરમ્યાન રાજકોટથી શિવરાત્રીનાં મેળાનો જોઈએ એવો ટ્રાફિક હજુ નીકળ્યો નથી. જેને કારણે શનિ-રવિ દરમિયાન માત્ર 27 ટ્રીપો દોડાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢમાં તા.22-2થી 27-2 સુધી આયોજીત થનાર મહાશિવરાત્રી મેળામાં દર્શનાર્થીઓને જવા આવવા માટે એસ.ટી. નિગમ દ્વારા રાજયના વિવિધ શહેરો તરફથી સંચાલિત થતી 250થી વધુ બસ ઉપરાંત મુસાફરોનાં ઘસારાને ધ્યાને લઈને વધારાની 300 મોટી બસોથી 4000થી વધુ ટ્રીપો તેમજ 70 મીની બસોથી 1000થી વધુ ટ્રીપો દોડાવાશે. જુનાગઢથી માત્ર ભવનાથ તળેટી જવા આવવા માટે દૈનિક 70 મીની બસો મારફતે અલગથી બુથો ગોઠવી સંચાલન કરવામાં આવી રહ્યું છે.
કોઠારીયા કોલોનીના કોટેશ્ર્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન
- Advertisement -
કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતીકસમા કોટેશ્ર્વર મહાદેવ મંદિરે તા. 26 ને બુધવારના મહાશિવરાત્રિ મહોત્સવ ધામધુમથી ઉજવાશે. જીવને શિવમાં પરોવવાનો શ્રેષ્ઠ અને દિવ્ય અવસર એટલે મહાશિવરાત્રિ છે. સવારે મંગળા આરતી, ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. ભાવિકો દ્વારા સવારથી ભોળાનાથને રીઝવવા જલાભિષેક, દુગ્ધાભિષેક, બિલીપત્ર, ગુલાબજળ, ગંગાજલ, શેરડીનો રસ, મધ, ધતુરો, ફળ-પુષ્પો, ઘી દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવશે. બપોરે 12 કલાકે ભગવાન શિવજીની મહાઆરતી કરવામાં આવશે. આ સાથે ભાંગની પ્રસાદી વિતરણ કરવામાં આવશે. સાંજે ધુન-ભજન, શૃંગાર દર્શન યોજાશે. સાંજે 7-30 કલાકે 108 દીપદાન દીપમાળાના ઓમકાર મહાઆરતી કરવામાં આવશે. રાત્રે ચાર પ્રહરની આરતી તેમજ મહાપૂજા યોજાશે. મંદિર હર-હર મહાદેવના ગગનચુંબી નાદથી ગુંજી ઉઠશે. ધર્મપ્રેમી ભાવિકોને મંગલમય મહાશિવરાત્રિનો લાભ લેવા કોટેશ્ર્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, રશ્વીનભાઈ જાદવ, સિદ્ધરાજસિંહ પી. જાડેજા, શનિ જાદવ, હિતેષભાઈ સોલંકી, હેમલ ચૌહાણ, જયભાઈ આસોડીયા, વિશાલ ચૌહાણ, હિતેષભાઈ મિસ્ત્રી, પ્રતાપસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, કિરીટસિંહ જાડેજા, મનોજભાઈ મકવાણા, ક્રિપાલસિંહ ઝાલા તથા મંદિરના પુજારી રસીકગીરીબાપુ (અતીત) સહિતનાઓએ અનુરોધ કર્યો છે.