મોર જાજે ઉગણે દેશ મોર જાજે આથમણે દેશ, માણેકથંભ રોપિયો માણારાજ!! આવાં રૂડાં ગીતો એક માસ સુધી નહીં સાંભળવા મળે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લગ્નસરાની મોસમ એક માસ માટે વિરામ લેશે. ડિસેમ્બર 2024ની તા.15મીએ રાત્રિના 10-12 મિનિટે ધનારખ બેસે છે અને તા.14-1-2025ને મંગળવારે મકરસંક્રાંતિના દિવસે સવારે 8-54 કલાકે ધનારખ પૂર્ણ થશે વળી પાછા લગ્ન મૂહર્તની એ જ પુન: લગ્નસરાની મોસમ ધમધમી ઉઠશે. એટલે કે એક માસ માટે લગ્ન સમારંભો બંધ રહેશે. આમ તો આ લગ્નસરાનાં દિવસોમાં અનેક આશાસ્પદ યુવક યુવતીઓનાં ઢોલ ઢબુકિયા. કોઈકે ફાર્મ હાઉસ બુક કર્યાં તો કોઈકે થ્રી સ્ટાર કે ફોર ફાઈવ સ્ટાર હોટેલો બુક કરાવી. તો કોઈકે પોતાના સમાજની જ્ઞાતિવાડી બુક કરી લગ્ન પ્રસંગ રંગેચંગે ઉજવ્યો. જો કે પહેલાં તો લગ્ન વિધિ લગભગ ક્ધયાનાં ઘરનાં આંગણામાં થતી હવે એ પ્રથા સાવ નાબૂદ થતી જોવા મળે છે. અને પહેલાં લગ્નવિધિ પણ રાત્રિના સમયે યોજાતી હવે તો એ ભાગ્યે જ જોવા મળે છે. કોઈકે તો વળી એ પચાસ વર્ષ પૂર્વેની શણગારેલાં બળદ ગાડામાં જાન લઈ જવાની પરંપરાને જાળવી, તો કોઈના વિવાહમાં હેલિકોપ્ટરનો ઉપયોગ પણ થયો. આમ ખૂબ હોંશ અને ઉમંગ આનંદથી અનેક નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં. આમ પણ લગ્ન એ જીવનનો સૌથી મહામૂલો અને અણમોલ પ્રસંગ હોય લોકો પોતાના વૈભવ અને ઐશ્વર્યને છલકાવવા માટે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરતાં જોવા મળેલ. હા, કોઈ કોઈ સ્થળે ચાંદલામાં આવેલી ધનરાશિનો ઉપયોગ સામાજિક સંસ્થામાં અનુદાન કરીને પણ કરવામાં આવેલ. આમ તો રંગેચંગે યોજાતા આવા માંગલિક પ્રસંગો જ આ જીવનને હર્યુંભર્યું રાખે છે તે પણ આ વિવાહ વિધિ દરમ્યાન સિધ્ધ થયું. હવે આવતીકાલ પછી એક માસનો ઇન્ટરવલ વળી પાછું એનું એ ક્ધયા પધરાવો સાવધાન..!