અભિલાષનું અક્ષયપાત્ર:અભિલાષ ઘોડા
સાતથી આઠ ફિલ્મો માત્ર સપ્ટેમ્બરમાં રીલીઝ થશે
- Advertisement -
ગુજરાતી ફિલ્મો ની ધડાધડ રીલીઝ થવા માટે લાઈન લાગી ગઇ છે. આધારભૂત માહિતી મુજબ માત્ર સપ્ટેમ્બર મહીના માં જ સાત થી આઠ જેટલી ફિલ્મો રીલિઝ થવા જઇ રહી છે. 30 ઓગસ્ટ એ ’રણભૂમિ’ રીલિઝ થવાની હતી પરંતું નિર્માતાઓ, દિગ્દર્શક અને મોટાભાગના કલાકારો રાજકોટ ના હોઇ તાજેતરમાં વરસાદે જે રીતે રાજકોટને ઘમરોળ્યું તે પરિસ્થિતિઓ ને કારણે ફિલ્મ 30 ઓગષ્ટે રીલિઝ ન કરવાનો નિર્ણય નિર્માતાઓ અને વિતરકે સંયુક્ત રીતે લીધો. હવે આગામી 6 સપ્ટેમ્બરે દિગ્દર્શક અનીશ શાહ દિગ્દર્શિત અને દેવેન ભોજાણી, પ્રાચી શાહ, આર્જવ ત્રીવેદી અને આરોહી પટેલ અભિનીત ’ઉડન છુ’ , કોમલ દેસાઈ દિગ્દર્શિત ’પેન્સીલ’ અને પ્રતિકસિંહ ચાવડા દિગ્દર્શિત અને મયુર ચૌહાણ અભિનીત ’હાહાકાર’ એમ એક સાથે ત્રણ ત્રણ ફિલ્મો રીલીઝ થવા જઇ રહી છે. પ્રચાર પ્રસાર અને ટ્રેલર જોતા એવું લાગે છે કે ત્રણે ફિલ્મો સારી ગુણવત્તા સાથે મનોરંજન થી ભરપુર છે. પણ બીજી તરફ આજથી પર્યુષણ પર્વ સાત સપ્ટેમ્બર સુધી અને સાત સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધી ગણપતી ઉત્સવનો માહોલ છે. એટલે આ ત્રણે ફિલ્મોએ પ્રેક્ષકો ને આકર્ષવા એડી ચોટીનું જોર લગાવવું પડશે.
13 સપ્ટેમ્બર એ જાણીતા દિગ્દર્શકવિપુલ શર્માની ’ફ્રેન્ડો’ અને કીલ્લોલ પરમાર દિગ્દર્શિત અને પરીક્ષીત તમાલીયા અભિનીત ’ઇન્ટરવ્યુ’ એમ બે ફિલ્મો આમાં ઉમેરાશે. એટલે સ્પર્ધા વધશે. 20 સપ્ટેમ્બર એ આદિત્ય સરપોતદાર દિગ્દર્શિત ’સતરંગી રે’ અને જીગર ચૌહાણ તથા મલ્હાર ઠાકર નિર્મિત અને સચિન બ્રહ્મભટ્ટદિગ્દર્શીત ’લોચા લાપસી’ પણ રીલીઝ થશે. આ બધાની વચ્ચે 30 તારીખે મોકુફ રખાયેલી નિલેશ ચોવટીયા દિગ્દર્શીત અને હર્ષલ માંકડ, શિતલ પટેલ, મેહુલ બુચ, વિપુલ વિઠ્ઠલાણી અભિનીત ’રણભૂમિ’ ફિલ્મ પણ આ જ મહીનામાં આવી શકે તેવી પુરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ગુજરાતી ફિલ્મો નું બજાર હવે અવનવા વિષયો અને ફિલ્મોની ગુણવત્તાને કારણે હાલ ખુબ ગરમ છે.
રાજકોટ પોલીસની ASI શિતલ પટેલ દેખાશે ‘રણભૂમી’ના પડદે
- Advertisement -
ફિલ્મનો વિષય સમાજ અને ખાસ કરીને મહિલાઓ ને સંદેશ આપનારો હોઇ પોલીસ કમિશનરે કામ કરવા ખાસ મંજુરી આપી
આગામી દિવસોમાં ગુજરાતી બહુચર્ચિત ફિલ્મ ’રણભૂમિ’ સિનેમાઘર માં આવશે. ફિલ્મ ની વાર્તા પ્રવાસન અને સ્ત્રી સશક્તિકરણ ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. પણ આખી ફિલ્મ ની રસપ્રદ બાબત એ છે કે ફિલ્મ ની મુખ્ય નાયિકા શિતલ પટેલની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. એટલું જ નહીં શિતલ હાલ રાજકોટ પોલીસ ની ગુન્હા નિવારણ શાખામાં આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. તેમની આ ફિલ્મ માટે જ્યારે પસંદગી થઇ ત્યારે શિતલ ખુબ અવઢવ માં હતી. કારણ કે પોલીસ વિભાગ જેવા મહત્ત્વ ના વિભાગની તે કર્મચારી છે એટલે ફિલ્મ માં કામ કરવા માટે મંજુરી મળશે કે કેમ તેની મુઝવણ હતી. પરંતુ રાજકોટ પોલીસ ને આખી ફિલ્મ ની વાર્તા મહીલા સશક્તિકરણ ની દ્રષ્ટીએ યોગ્ય લાગતા શિતલ પટેલને ખાસ કીસ્સા તરીકે ફિલ્મ માં કામ કરવા માટે મંજુરી આપેલ. ગત 29 ઓગષ્ટે આ ફિલ્મ નું મુંબઇ ખાતે ફિલ્મ અને મીડીયા જગતના ખાસ લોકો માટે એક સ્ક્રીનીંગ નું આયોજન કરવામાં આવેલું અને ઉપસ્થીત તમામ લોકોએ શિતલ પટેલ સહીત તમામ કલાકારો અને ફિલ્મ ને બીરદાવી હતી.
ગુજરાતી ગીતોનો ભવ્ય કાર્યક્રમ મારૂં ચોમાસું ક્યાંક આસપાસ છે
અમદાવાદ ખાતે વરસાદી માહોલમાં યોજાયો
ગત તારીખ 28 ઓગષ્ટે જ્યારે ગુજરાતના રાજકોટ અને વડોદરા સહીત લગભગ તમામ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયેલા ( જો કે રાજકોટ અને વડોદરામાં ગંભીરતા વધુ હતી ) ત્યારે અમદાવાદ માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગુજરાતની જાણીતી કલા સંસ્થા તીહાઇ-ધ મ્યુઝિક પીપલ દ્વારા જાણીતા ગુજરાતી ગીતોનો મુશળધાર વરસાદ કરવામાં આવેલો.
અમદાવાદના જાણીતા એચ.કે.હોલમાં ગુજરાતની જાણીતી કલાકારો મોસમ – મલકા અને જુનાગઢના જાણીતા પાર્શ્ર્વ ગાયક દિપક જોષી દ્વારા એક પછી એક સુંદર રચનાઓ સ્ટેજ પરથી રજુ કરવામાં આવેલી.
28 ઓગસ્ટ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી ની 128 મી જન્મ જયંતી હોવાથી મેઘાણીજી ને પણ સુંદર રીતે યાદ કરવામાં આવેલા.
ખીચોખીચ પ્રેક્ષકો અને નયનરમ્ય દ્રશ્ય રચના સાથે યોજાયેલ આ કાર્યક્રમ માં રસ દર્શન અભિલાષ ઘોડાએ કરાવ્યું હતું.
સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા રવિવારે “મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ 2024” આયોજન
રાજ્યપાલના હસ્તે ગુજરાતનાં 30 કલા સાધકોને એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે
પાંચસોથી વધુ કલાસાધકો ઉપસ્થિત રહેશે: પોરબંદરના મેર રાસ મંડળનો મણિયારો, ઢાલ તલવાર રાસ અને સિદ્ધપુરના દ્વારકેશ મંડળનો બેડા રાસ રજુ થશે
સંસ્કાર ભારતી – ગુજરાત પ્રાંત દ્વારા ‘મારી ગુણવંતી ગુજરાત’ સંસ્કારોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ “સંસ્કાર સન્માન 2024 ” અને “સંસ્કાર વિભૂષણ” માનપત્ર અર્પણ સમારોહ રહેશે, જેમાં ગુજરાત રાજ્યના ત્રીસ જિલ્લાના વિવિધ ક્ષેત્રના ત્રીસ શ્રેષ્ઠ કલાકારોને સન્માનિત કરવામાં આવશે. આ કલાકારોને માનપત્ર,સ્મૃતિ ચિન્હ અને રોકડ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવશે. આ ઉત્સવ પહેલી સપ્ટેમ્બર, 2024 ના રોજ સાંજે સાડા ચાર કલાકે, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કર્ણાવતી ખાતે માત્ર આમંત્રિતો માટે યોજાશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારંભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા સહીત અનેક મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આ સન્માન સમારંભમાં કર્ણાવતીમાંથી મેઘાણી સાહિત્ય માટે પિનાકી મેઘાણી, ભાવનગરમાંથી લોકસંગીત માટે અરવિંદ બારોટ, જામનગરમાંથી સાહિત્ય માટે લેફટનન્ટ ડો. સતીશચંદ્ર વ્યાસ ’શબ્દ’, પોરબંદરમાંથી લોકસંગીત માટે લલિતાબેન ઘોડાદ્રા, સુરેન્દ્રનગરમાંથી ચિત્રકલા માટે લક્ષ્મણભાઈ લામ્પડા, જુનાગઢમાંથી લોકવાદ્ય માટે મીર હાજી કાસમ રાઠોડ, દેવભૂમિ દ્વારકામાંથી લોકસાહિત્ય માટે જીતુભાઈ દ્વારકાવાળા, આણંદમાંથી સાહિત્ય માટે અશોકપુરી ગોસ્વામી, વડોદરામાંથી ભૂઅલંકરણ માટે રાજેન્દ્ર પુરુષોત્તમ દિન્ડોરકર, બોટાદમાંથી આખ્યાન માટે હરદેવગીરી પ્રભાતગીરી ગોસ્વામી, અમરેલીમાંથી સાહિત્ય માટે સ્નેહી પરમાર, ગીર સોમનાથમાંથી લોકવાદ્ય માટે નથુભાઈ કાનજીભાઈ મકવાણા, રાજકોટમાંથી સાહિત્ય માટે અનુપમ દોશી, કચ્છમાંથી કચ્છી લોકસંગીત માટે ભારમલ સંજોટ, મોરબીમાંથી ભવાઈ માટે પ્રાણલાલ પૈજા, મહેસાણામાંથી અસાઈત સાહિત્ય માટે ડો. વિનાયક રાવલ, ભરૂચમાંથી સંગીતકલા માટે ડો. જાનકી મીઠાઈવાલા, સુરતમાંથી નાટયકલા માટે પંકજ વિભાકર પાઠકજી, ખેડામાંથી લોકસંગીત માટે ભારતીબેન વ્યાસ, પંચમહાલમાંથી નૃત્યકલા માટે ભરત બારૈયા, વલસાડમાંથી નાટ્યકલા માટે સતિષચન્દ્ર અમૃતલાલ દેસાઈ, તાપીમાંથી સાહિત્ય માટે ડો. દક્ષાબેન બળવંતરાય વ્યાસ, નવસારીમાંથી લોકકલા અને સાહિત્ય માટે ડો. સ્વાતી ધ્રુવ નાયક, બનાસકાંઠામાંથી સાહિત્ય માટે દીપકભાઈ જોષી, પાટણમાંથી લોકવાદ્ય માટે શંકરભાઈ કાળાભાઈ બારોટ, ગાંધીનગરમાંથી પ્રાચીનકલા માટે વિષ્ણુસિંહ ચાવડા, દાહોદમાંથી ચિત્રકલા માટે કિશોરકુમાર રાજહંસ, ડાંગમાંથી લોકકલા માટે શિવાજીભાઈ કાપરૂભાઈ ભોયે, સાબરકાંઠામાંથી સાહિત્ય માટે વિજયકુમાર રાવલ ’અર્ટોરા’ અને અરવલ્લીમાંથી ભવાઈ માટે કમલેશભાઈ નાયક ને “સંસ્કાર સન્માન-2024” એવમ્ “સંસ્કાર વિભૂષણ” માનપત્રથી સન્માન કરવામાં આવશે.