રેખા પટેલ (ડેલાવર)
મૌન રહેનાર કે ઓછું બોલનાર વધારે વિચારશીલ હોય છે પરિણામે તેઓ અંદરથી નિરીક્ષણ કરતો રહે છે
- Advertisement -
શબ્દગીત – એક નવી શરુ થતી સૂરલિપિ
શબ્દગીત એક સુંદર, સરળ અને અસરકારક લેખ અને ગીતનું સંયોજન. એવી રચના જે માત્ર વાંચાય નહીં, ગાઈ પણ શકાય. વાણીગુંજન શબ્દો સાથે સંગીતમય પડઘો.
મૌન એટલે શાંતિનું એક સ્વરૂપ, સંયમની પ્રતિકૃતિ અને આત્મા સાથેના સંવાદનું માધ્યમ. આજે જ્યારે વિશ્વ વાકયુદ્ધ, ચર્ચાઓ વાટાધાટો અને અવાજોથી ભરાયેલું છે, ત્યારે મૌનની મહત્તા સમજવી અને સ્વીકારવી એ માનસિક સ્વસ્થતા માટે ખૂબ જ આવશ્યક છે. મૌન એ શૂન્યતા નથી – તે એક જીવંત ભાષા છે, જે શબ્દ વિના ઘણી વાતો કહી જાય છે. ઓછી મહેનતે ઘણું કરાવી જાય છે. મૌન રહેનાર કે ઓછું બોલનાર વધારે વિચારશીલ હોય છે પરિણામે તેઓ અંદરથી નિરીક્ષણ કરતો રહે છે. જેના કારણે તેનું વ્યક્તિત્વ વધુ ઘડાયું હોય છે. વૈજ્ઞાનિક રીતે પણ આવા વ્યક્તિઓ રચનાત્મક અને ક્રિયાશીલ મગજ અને વિચારો ઘરાવે છે. રોજીંદા જીવનમાં મૌનનું મહત્વ અલગ છે. એ આંતરિક આરામ સાથે સંગીત છે. જે શબ્દોથી દુર છતાં સંપૂર્ણ છે. મૌનનો અર્થ માત્ર ન બોલવાનું નથી.ખરેખર મૌન એટલે અંદરના અવાજને સાંભળવો. જ્યાં બાહ્ય અવાજ શમાય છે, ત્યાં અંતરાત્માની વાણી જાગે છે. મૌન માનવીને પોતાનું પ્રતિબિંબ દેખાડે છે, આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ બતાવે છે, જે વિચારશીલતાની પ્રથમ અવસ્થા છે.
મૌન એ સહનશક્તિનું પણ પ્રતીક છે. ઘણાં સંજોગોમાં, જ્યારે જવાબ આપવો સરળ હોય છે, ત્યારે મૌન રહી જવું એ સાહસ છે. કોઈના ત્રાસ સામે મૌન થવું, તેનો અર્થ ક્યારેય દબાવ થવો નથી – એ એક જાગૃત સંયમ છે. જેમ ઊંડો દરિયો બહારથી શાંત દેખાય છે, તેમ મૌન વ્યક્તિની અંદર ઊંડાણ હોય છે. સહેલું નથી બહારના અવાજ અને દબાણ સામે શાંતિથી ચુપ રહેવાનું. અહી વ્યક્તિની પરીક્ષા થાય છે. નાં બોલીને પણ ઘણું કહી શકાય છે. ઘણું કરી શકાય છે.
- Advertisement -
સાહિત્યમાં મૌનને ઊંડા તત્વ તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. કવિ રવીન્દ્રનાથ ટાગોર કહે છે:
મૌન એ એક એવું સંગીત છે, જે દરેક હૃદયમાં અલગ રીતે ગુંજે છે. મેડીટેશન અને સાઇલેન્ટ થેરાપી આજ મૌનવ્રતના ઉદાહરણો છે જેમાં સ્ટ્રેસ લેવલને ઘટાડી શકાય છે.
આજના યુદ્ધોનાં ભણકારા ભર્યા વિશ્વમાં મૌનની જરૂરિયાત ઘણી છે. શબ્દોના સંગાથથી જ્યારે સંહાર થતો હોય ત્યારે મૌનનું શસ્ત્ર મજબુત ગણાય છે. અંતે, મૌન એ દુર્બળતા નથી, એ આંતરિક બળ છે. જો કોઈ મૌન રહીને પણ પોતાના વિચારો, ભાવનાઓ અને સહનશક્તિથી વિશ્વને સ્પર્શી શકે, તો તે સાચો ‘મૌનયોદ્ધા’ કહેવો જોઈએ.
જ્યાં શબ્દો તૂટી પડે, ખૂટી પડે ત્યારે મૌન બોલવા લાગે એજ મૌનનું મહાત્મ્ય. મૌન બોલ્યા વગર પણ બધું કહી જાય છે. આ એક એવી ભાવભીની પ્રવાહી ભાષા જે આંખોથી રેલાય છે અને હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય છે. ઝંઝાવાતો વચ્ચે મૌન અને સહનશીલતાનું મહત્વ સંતુલન જાળવે છે. જ્યાં શબ્દ ખૂટી જાય છે, ત્યાં મૌન સંભળાય છે. કડવાશ સામે શબ્દોનું ઝેર ફેલાય છે ત્યારે પીડા વધે છે સામે મૌન શાંતિ આપી જાય છે
ન બોલાય, ન બતાય, છતાં બધું કહી જાય,
મૌન બને વહેણ, ભીતર ઊંડે વહે જાય.
વેર કે વિરોધનાં વાવાઝોડાં હલાવી જાય,
સહન રહે જ્યાં હ્રદયે, શાંતિ ત્યાં વસે જાય.
કડવાશ આપવા જીભે કડવુ હોવું પડે,
શબ્દના સંયમથી શાંત તળાવ જેવી થાય.
મૌન એ જ તો બળ છે, શૂરવીરોથી ઊંચું,
નમ્રતા સહન સાથે મનમાં વસતી જાય.
શબ્દો વગરની ભાષા, જે મનને સ્પર્શી જાય,
એવું મૌન જ જીવનમાં સાચું સંગીત બનાય.
મૌન શસ્ત્ર છે એ ભય કે કાયરતા નથી. છતાં અન્યાય અને અત્યાચાર સામે ચૂપ રહેવું એ પણ કાયરતા છે. છતાં અન્યાય અને અત્યાચાર સામે ચૂપ રહેવું એ પણ કાયરતા છે. જ્યારે આપણાં મૌનથી અન્યાય વધે, અને દુ:ખીજન વધુ પીડાય, ત્યારે એ મૌન રહેવું યોગ્ય નથી.મહાત્મા ગાંધી પણ મૌનને અંતર્મુખી શક્તિ માને છે. અનેક મહાન વ્યક્તિઓ યોગી પુરુષો ‘મૌનવ્રત’ દ્વારા આંતરિક આત્મબળને જાગૃત કરતા રહે છે. છતાં અસત્ય સામે અવાજ ઉઠાવવો, અન્યાય સામે લડવું, એ પણ જરૂરી છે. આજ કારણોસર ભૂતકાળમાં મહાત્મા ગાંધી, ડો. અંબેડકર, નેલ્સન મંડેલા જેવા મહાન વ્યક્તિઓએ મૌનની સાથે યોગ્ય સમયે ધીરજપૂર્વક અવાજ ઉઠાવ્યો હતો.
આપનું મૌન સામે વાળાને કાયરતા પણ નાં લાગવું જોઈએ. આમ કરતા ક્યારેક વિરોધીઓને ખોટું કરવાની તક મળી જાય છે.
ગાંધીજી મૌનની મહત્તા સમજતા હતા આથી તેઓ નિયમિત મૌનવ્રત લેતા. પરંતુ અંગ્રેજોના અન્યાય સામે ચુપ ના રહેતા , સાબરમતીથી દાંડી યાત્રા કરી, મીઠાનાં કાયદા સામે અવાજ ઉઠાવ્યો. એ મૌનનું શસ્ત્ર જરૂર પડી, ત્યારે અવાજ પણ બની ગયું.
મૌન પણ શસ્ત્ર છે, યુદ્ધ વિના જીતવા,
પણ જો સત્ય ઘૂંટાઈ જાય, તો બોલવાનું શિખવું પડેમ
અન્યાય જો સામે હોય, તો શાંતિ એક પાપ બને,
ટાળવા દુ:ખ, વાળવા યુદ્ધ બની મક્કમ બોલવું પડે!