શહેરમાં 120 ડેસિબલથી વધારે અવાજથી ડીજે વગાડી શકાશે નહીં
Dyspએ 25 જેટલાં ડીજેનાં ધંધાર્થીઓ સાથે બેઠક યોજી : નિયમ ભંગ કરનાર સામે ગુનો દાખલ અને સિસ્ટમ કબજે કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ત્રાસ દાયક ડીજેનાં અવાજની જૂનાગઢવાસીઓને મુક્તી મળશે. જૂનાગઢ પોલીસે ડીજેનાં વ્યવસાય સાથે જોડાયેલા 25 જેટલા ધંધાર્થીઓ સાથે બેઠક યોજી હતી અને 120 ડેસીબલથી વધારે અવાજથી ડીજે ન વગાડવા તાકીદ કરી હતી. છતા પણ નિયમનો ભંગ કરવામાં આવશે તો ગુનો નોંધવામાં આવશે અને સાઉન્ડ સિસ્ટમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સામન્ય રીતે રેલીઓ અને શોભા યાત્રા તેમજ લગ્ન પ્રસંગે ડીજે સાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઊંચા અવાજે સાઉન્ડ વગાડવામાં આવે છે. જેના ઊંચા અવાજના પ્રદુષણના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે અને લોકોની માનસિક સ્થિતિ બગડી જતી હોય છે તેમજ મકાન અને દુકાનના કાચ પણ તૂટી જવાના નુકશાન થવાના બનાવો પણ બને છે.ત્યારે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ડીજેના 25 જેટલા ધંધાર્થીઓ સાથે પોલીસે બેઠક કરી હતી.
આ મિટીંગમાં જણાવાયું હતું કે, 120 ડેસીબલથી વધારે અવાજથી અવાજનું પ્રદુષણ ફેલાય છે,લોકોનું સ્વાસ્થ્ય બગડે છે, લોકોની માનસિક સ્થિતી બગડે છે,મકાન અને દુકાનના કાચ તૂટી જતા નુકસાન થાય છે. ત્યારે 120 ડેસીબલથી વધારે અવાજથી ડીજે ન વગાડવા સૂચના છે.ઉપરાંત ધાર્મિક ગીતો જ વગાડવા અને જે ગીતો વગાડવાના હોય તેની કોપી પોલીસને આપવાની રહેશે. તેમ છત્તાં નિયમનું ઉલ્લંઘન કરાશે તો કાયદેસરના ગુના દાખલ કરાશે તેમજ સાઉન્ડ સિસ્ટમ કબજે કરાશે. આ બેઠકમાં એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, બી ડિવીઝન પીઆઇ આર.એસ.પટેલ, સી ડિવીઝન પીએસઆઇ જે.જે. ગઢવી, ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે. બોદર સહિતના અધિકારીઓની ઉપસ્થિતી રહી હતી.
શું કહે છે સુપ્રિમ કોર્ટ અને ધ્વનિ તીવ્રતાનો કાયદો?
ધ્વની પ્રદુષણ અધિનિયમ નિયમ 2000 મુજબ કોમર્શીયલ, ઔદ્યોગીક ક્ષેત્ર અને રહેણાંક વિસ્તાર માટે ધ્વનીની તીવ્રતાની મર્યાદા નકકી કરવામાં આવી છે. જેમાં ઉદ્યોગીક વસાહતમાં દિવસનાં 75 ડેસીબલ, રાત્રે 70 ડેસીબલ, કોમર્શીયલ વિસ્તારમાં દિવસનાં 65 ડેસીબલ, રાત્રે 55 ડેસીબલ જયારે રહેણાંક વિસ્તારમાં દિવસે 55 ડેસીબલ અને રાત્રે 45 ડેસીબલ જયારે શાંત વિસ્તારમાં દિવસનાં 50 અને રાત્રીનાં 40 ડેસીબલ ધ્વનીની તીવ્રતા નકકી કરવામાં આવી છે. વદોદરામાં સુપ્રિમ કોર્ટનાં આદેશ મુજબ ડેસીબલને લઇ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
- Advertisement -
શહેરમાં ડ્રોનથી ચેકિંગ કરાયું
તહેવારોને લઇ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તેકદારી લેવામાં આવી રહી છે. એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી DYSP પ્રદિપસિંહનાં માર્ગદર્શનમાં શહેરમાં ચેકિંગ હાથ ધરાયું છે. દરમિયાન હાલ શહેરના વિવિધ વિસ્તારોના ધાબા ચેક કરવાની તેમજ ડ્રોનથી ચેકીંગની કામગીરી હાથ ધરી છે. જેથી ધાર્મિક પ્રસંગોમાં વિઘ્ન નાખવાના મનસુબા લઇને બેઠેલા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. વર્ષ 2005માં સુપ્રિમ કોર્ટ દ્વારા સાર્વજનીક સ્થળ ઉપર ધ્વની પ્રદુષણ પર રાત્રીનાં 10 થી સવારનાં 6 વાગ્યા સુધી મૂકાયો છે.
માણસ 80 ડેસીબલ અવાજ સહન કરી શકે
સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ 80 ડેસીબલ અવાજ સહન કરી શકે છે. સામાન્ય વ્યક્તિ 0 ડેસીબલ અવાજ સાંભળી શકે છે. 0 ડેસીબલ વૃક્ષનાં પાનાનાં અવાજ જેટલો હોય છે. સામાન્ય રીતે ઘરમાં જે વાતચીત થતી હોય છે તે 30 ડેસીબલ જેટલી હોય છે. એક લાઉડસ્પીકર સામાન્ય રીતે 80 થી 90 ડેસીબલ અવાજ પેદા કરે છે.