મહારાષ્ટ્રમાં 36 હજાર નવા કેસ : દિલ્હીમાં 3 દિવસમાં 3 ગણી ઝડપે કેસની સંખ્યા 15 હજારે પહોંચી : રાજસ્થાનના CM અશોક ગેહલોત કોરોના પોઝિટિવ
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોરોનાએ ગતિ પકડી છે. ગુરૂવારે સાંજે 8 વાગ્યા સુધીમાં દેશમાં 1 લાખ 7 હજાર 848 નવા કેસ નોંધાયા છે. ત્રીજી લહેર શરૂ થઈ તે બાદ પહેલી વખત આ આંકડો એક લાખને પાર થયો છે. મહારાષ્ટ્ર (36,265) અને દિલ્હી (15,097) બે એવા રાજ્ય છે જ્યાં દેશભરમાં મળી આવેલા નવા દર્દીઓના અડધાંથી વધુ લોકો સંક્રમિત છે. દેશમાં ગુરૂવારે 29,765 દર્દી સ્વસ્થ થયા જ્યારે 290 લોકોએ જીવ ગુમાવ્યા છે. એક્ટિવ કેસ એટલે કે જેમની સારવાર ચાલી રહી છે તેવા લોકોનો આંકડો વધીને 3 લાખ 57 હજાર 364 થઈ ગયો છે.
દિલ્હીમાં કોરોના પોઝિટિવની સ્પીડ ત્રણ દિવસમાં ત્રણ ગણી વધી ગઈ છે. 4 જાન્યુઆરીએ દિલ્હીમાં 5481 કેસ સામે આવ્યા હતા, 5 જાન્યુઆરીએ કેસ વધીને 10,655 થઈ ગયા. 6 જાન્યુઆરી એટલે કે આજે 15,097 કેસ મળ્યા છે. આજે કોરોના સંક્રમિત 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 15.34 થઈ ગયો છે. મુંબઈમાં ગુરૂવારે 20,181 નવા સંક્રમિત કેસ મળ્યા છે. 4 દર્દીનાં મોત નિપજ્યા છે. એક્ટિવ કેસની સંખ્યાં અહીં વધીને 79,260એ પહોંચી છે. મુંબઈમાં આજે 67 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 20,181 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે આજે પોઝિટિવિટી રેટ 29.90 નોંધાયો છે. ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી 17,154(85%) દર્દીઓમાં કોઈ જ લક્ષણ જોવા મળ્યા નથી.
- Advertisement -
રાજસ્થાનના CM અશોક ગેહલોત કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ગેહલોતના પુત્ર વૈભવ પહેલાથી જ સંક્રમિત છે. તેઓ હાલ ઘરમાં રહીને પોતાની સારવાર કરાવી રહ્યાં છે. અશોક ગેહલોત ગત વર્ષે એપ્રિલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા. ત્યારે તેમની પત્ની સુનિતા પણ કોરોના પોઝિટિવ થયા હતા.