ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢમાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના માર્ગદર્શન અનુસાર આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુજન હિતાયના સ્વાસ્થ્યના અભિગમ સાથે લોકોના આયુષ્ય અને આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે હેતુસર આ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.
આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં જી.પં.પ્રમુખ હરેશભાઇ ઠુંમરની અધ્યક્ષતામાં શ્રી સુખરામદાસ બાપુ, મહંતશ્રી, ખાખીમઢી આશ્રમ, જોલીતભાઇ બુસા, મીતુલભાઇ દેસાઇ, દીપકભાઇ ઢેબરીયા, જે.જે.ખાવડુ, સરપંચ, મેંદરડા તથા મેંદરડાના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. જેમાં આયુર્વેદના ક્ષેત્રમાં સેવા કરનાર મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને આયુર્વેદ દવાખાનામાં કાર્યરત યોગ ઇંસ્ટ્રક્ટર બહેનો દ્વારા યોગનું સુંદર નિદર્શન રજુ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધન આપતા જિલ્લા પંચાયત પ્રમુખે આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તાર સુધી રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ પહોંચતી કરવા માટે આવી પ્રવૃત્તિઓની ખૂબ જરૂર છે. સાથોસાથ સાંપ્રત કાલીન આરોગ્ય વિષયક દૂષણો જેવા કે અનિયમિત આહાર, વ્યસનો વિગેરેનો ત્યાગ કરી આપણી મૂળ પરંપરાઓને યાદ કરીને આયુર્વેદનું પાલન કરવા માટે જણાવ્યું હતું. તેમજ શ્રી સુખરામદાસ બાપુએ આજના આધુનિક યુગમાં આયુર્વેદ અને આયુષની વિવિધ પદ્ધતિઓની ઉપયોગિતા વિશે સુંદર માહિતી આપી હતી અને ઉપસ્થિત નાગરિકોને વધુમાં વધુ સ્વસ્થ જીવનશૈલી તરફ વળવા હાકલ કરી હતી. આયુર્વેદ, હોમિયોપથી તથા યોગનો જીવનમાં વધુમાં વધુ ઉપયોગ કરીને આરોગ્ય તરફ અભિમુખ કરવાના આ પ્રયાસ બદલ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આયુર્વેદ શાખાના તમામ કર્મયોગીઓની સરાહના કરી હતી.
જૂનાગઢ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા મેંદરડા ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું
