અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી
બંનેને દર 15 દિવસે લોહી ચઢાવવું પડે છે પરંતુ આવી ગંભીર બીમારીમાંથી નાસીપાસ થવાને બદલે બંને તેનો મજબૂત મનોબળથી સામનો કરી રહ્યાં છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનું એક એવું યુગલ જે હજારો લોકો માટે એક નહીં પરંતુ અનેક રીતે પ્રેરણાદાયી બન્યું છે. 23 વર્ષીય અભિષેક વ્યાસ અને 22 વર્ષીય પાયલ વેગડાના વેવિશાળ તાજેતરમાં જ થયા છે. બંને થેલિસિમિયા મેજર છે, બંનેને દર 15 દિવસે લોહી ચઢાવવું પડે છે પરંતુ આવી ગંભીર બીમારીમાંથી નાસીપાસ થવાને બદલે બંને તેનો મજબૂત મનોબળથી સામનો કરી રહ્યાં છે, આ ઉપરાંત બંનેને ગંભીર બીમારી હોવા છતાં કોઈ ઉપર નિર્ભર રહેવાને બદલે પોતે જ ઘૂઘરાનો ધંધો શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે.
સૌથી મહત્ત્વની બાબત કે આવી ગંભીર બીમારીને હરાવવા બંને એકબીજાનો સહારો બન્યાં છે, હાલ બંને શહેરના કાલાવડ રોડ પર ઘૂઘરાનો વ્યવસાય કરી રહ્યાં છે, એકબીજાને મદદરૂપ થઇ રહ્યા છે અને મહિને સારી એવી આવક પણ મેળવી રહ્યાં છે. છેલ્લા એકાદ મહિનાથી શરૂ કરેલી આ સફરમાં લોકોના સહયોગથી રોજ 400થી વધુ ગ્રાહકો મળે છે અને કમાણી પણ સારી થાય છે. પરંતુ આ યુગલ માટે કમાણી કરતા ‘એવરી થિંગ ઇઝ પોસિબલ’નું સૂત્ર મહત્ત્વનું છે.
થેલિસિમિયા મેજર યુવક અભિષેક વ્યાસ જણાવે છે કે, હું છ મહિનાનો હતો ત્યારે મને થેલિસિમિયાની બીમારી હોવાનો ખ્યાલ આવ્યો હતો. ત્યારથી લઈને આજદિન સુધી મને બ્લડ ચઢાવવાનું ચાલુ જ છે. શરૂઆતમાં આ રોગ અંગે જાગૃતિ ન હતી ત્યારે લોહી મળવું મુશ્કેલ હતું અને લોહી ક્યાં ચઢાવવું તેની પણ ખબર ન હતી. મારી મંગેતરને પણ થેલિસિમિયા મેજર છે અમે સેન્ટર પર મળ્યા હતા, મિત્ર બન્યા અને હવે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. ઘૂઘરાના ધંધામાં પણ તે મને સાથ આપે છે.
થેલિસિમિયાના બાળકો અને તેના માતાપિતાને પણ કહીશ કે સમયસર બ્લડ ચઢાવો, બાળકો પોતાની જાતને ક્યારેય નબળી ન સમજે. ‘નથિંગ ઈઝ ઈમપોસિબલ, એવરી થિંગ ઇઝ પોઝિબલ’ એવું માનવું. અભિષેક વ્યાસના મંગેતર પાયલ વેગડા જણાવે છે કે, હું સાડા ચાર મહિનાની હતી ત્યારે મને તાવ રહેતો જેની તપાસ કરતા થેલિસિમિયા હોવાનું ખુલ્યું ત્યારે પણ બ્લડ ચઢાવવું પડ્યું હતું. નાની હતી ત્યારે દર મહિને અને હાલ દર 15 દિવસે બ્લડ ચઢાવવું પડે છે. જ્યારે ફેરેટીન લેવલ હાઈ થઇ જાય ત્યારે ખૂબ તકલીફ થાય છે. અગાઉ અમને બ્લડ સરળતાથી મળી રહેતું હતું પરંતુ જ્યારથી કોરોના આવ્યો ત્યારથી બ્લડ ડોનેટ કરાવવું પડે છે.