શૈલવાણી
– શૈલેષ સગપરિયા
હમણાં થોડા સમય પહેલા એક છોકરી માટે છોકરો ધ્યાનમાં રાખવાની વાત આવી. છોકરો શહેરનો હોવો જોઈએ, ઘરનું મકાન હોવું જોઈએ, સારી કમાણી કરતો હોવો જોઈએ, જમીન હોવી જોઈએ આવી બધી માંગણીઓ અને અપેક્ષાઓ હજુ પણ સમજી શકાય કારણકે દરેકને ઉત્કૃષ્ટ જીવન જીવવાનો અને તે મુજબનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે પરંતુ આ દીકરી/દીકરીના પરિવારની એક અપેક્ષા એવી હતી જે સાંભળીને મને આંચકો લાગ્યો.
’અમારે દીકરી એવા પરિવારમાં દેવી છે જ્યાં ગઈઢીયા(વડીલો) ન હોય અથવા ભેગા રહેતા ન હોય.’ આ અપેક્ષા દીકરીની હતી કે દીકરીના પરિવારની એ પ્રભુ જાણે પણ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ બાબતે વિચાર કરવો પડે એવી આ ઘટના છે. હા, એ વાત સ્વીકાર્ય છે કે વડીલોના સ્વભાવને કારણે ઘણીવખત એની સાથે રહેવું મુશ્કેલ બનતું હોય છે પરંતુ સાવ આવું તે કેવી રીતે હોય શકે ? જે વડીલોએ પરિવારનું પાલન-પોષણ કરવામાં પોતાની જાત ઓગાળી દીધી હોય એનો છેદ કેવી રીતે ઉડી શકે !
- Advertisement -
વડીલોથી જુદા રહીને શું ખરેખર આપણે સુખી રહી શકીએ ? ઘરમાં કોઈ વડીલ ન હોય એટલે આપણને આપણી રીતે જીવવાની સ્વતંત્રતા મળી જાય પણ એ ભૂલી જઈએ છીએ કે વડીલોની ગેરહાજરી ઘરનું શિસ્ત અને હૂંફ બંને હણી લે છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનવયમાં હૃદયરોગના હુમલાથી અવસાન થવાના કિસ્સાઓ વધતા જાય છે. તમે માનો કે ન માનો પણ નાની વયે હૃદયરોગના હુમલાના જુદા જુદા કારણો પૈકીનું એક કારણ વડીલોની ગેરહાજરી પણ છે કારણકે જેની પાસે દિલ ખોલી શકાય એવું કોઈ સાથે જ નથી હોતું.
ઘરમાં જ્યારે વડીલ હોય ત્યારે જીવનની ઘણી સમસ્યાઓ એમની હાજરીથી જ ઉકેલાય જતી હોય છે. આપણી હાલ-ચાલ અને મોઢાના હાવભાવ પરથી જ વડીલોને સમજાય જાય છે કે આપણે કોઈ મુશ્કેલીમાં છીએ. આપણી સાથે વાત કરતા કરતા જાણી પણ લે અને મુશ્કેલીમાંથી બહાર આવવાનો ઉપાય પણ બતાવી દે અથવા તો બજારમાં ક્યાય ન મળે એવી હૂંફ અને હિંમતની ગોળીઓ આપી દે જેને કારણે આપણે ટકી જઈએ અને અંધારી રાત પછી સુંદર પ્રભાત જોવા મળે.
નોકરી, ધંધો કે વ્યવસાયને કારણે સાથે રહેવું શક્ય ન હોય કે ઘણીવખત વડીલોને જ અમુક વાતાવરણ અનુકુળ ન આવતું હોય અને જુદા રહેતા હોય એ સમજી શકાય. લગ્નજીવનના અમુક વર્ષ પછી સ્વેચ્છાએ વડીલોથી જુદા થાય એ પણ સમજી શકાય પરંતુ હજુ તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ જ કરવાનો હોય અને વડીલો ખૂંચતા હોય તો ચિંતન મનન જરૂર કરવું પડે. મેં જે ઘટના લખી તે માત્ર એક ઘટના નથી પરંતુ આવું હવે ઘણા કિસ્સાઓમાં સાંભળવા મળી રહ્યું છે.
એવી કેટલીએ દીકરીઓ છે જે સાસરે ગયા પછી વડીલોને પોતાના માતા-પિતા કે દાદા-દાદી કરતા પણ વધુ સારી રીતે રાખે છે. વડીલોની જૂનવાણી વિચારસરણી અને સ્વભાવને અવગણીને પણ વડીલોની સેવા કરે છે એ સૌને વંદન. ’ગઈઢીયા(વડીલો) ન જોઈએની વિચારધારા વાળા બહેનો-ભાઈઓને એટલું જ કહેવાનું કે આપણે કાયમ યુવાન રહેવાના નથી.
- Advertisement -
પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં;
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.


