આપણા દેશમાં અગણિત ભગવાન અને તેમનાં મંદિરો છે. દરેક પાસે પોતપોતાનાં ઇતિહાસ અને ગાથાઓ છે. કેટલાક નવા છે તો કેટલાક જૂનાં! કેટલાક ખૂબ આધુનિક તો કેટલાક સાવ જર્જરિત!
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
કેટલાક મેટ્રો-સિટીમાં તો કેટલાક સીમનાં છેવાડે! પરંતુ ખાસ વાત એ છે કે પ્રત્યેક મંદિરનો પોતાનો અલાયદો ભક્તગણ છે, જે તેને પૂજનીય બનાવે છે. આ દેશ શ્રદ્ધા પર ટકી રહેલો છે, અહીંની લોકકથાઓ આપણું સાંસ્કૃતિક દર્પણ છે. જે મંદિર વિશે આ પ્રકરણમાં વાત કરવાનાં છીએ, એ રહસ્યમય તો છે જ, સાથોસાથ શ્રધ્ધાળુઓ માટે ગંગા-સ્નાન સમાન પણ છે!
સુખકર્તા-દુ:ખહર્તા ગજાનન ગણપતિ મહારાજનાં કનિપક્કમ મંદિર વિશે બહુ થોડા લોકોને જાણ છે. આંધ્રપદેશનાં ચિત્તૂર જિલ્લામાં આ મંદિર આવેલું છે. વિધ્નહર્તાનાં અન્ય ધાર્મિક સ્થળો કરતાં કનિપક્કમ મંદિર વિશેષ એટલા માટે છે, કારણકે અહીં વિશાળ નદીની બિલકુલ વચ્ચોવચ ભગવાનની મૂર્તિનું સ્થાપન થયેલું છે. આસ્થા અને ચમત્કારના અદ્ભુત સંગમને પોતાની અંદર સમેટીને સદીઓથી અડીખમ ઉભેલું આ મંદિર અનેક ભક્તો માટે પાપમુક્ત થવા માટેનું અદ્વિતીય સ્થાન છે! ગામવાસીઓની માન્યતા મુજબ, મંદિરનાં ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠિત શ્રી ગણપતિની મૂર્તિનો આકાર દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે!
- Advertisement -
આજદિન સુધી કનિપક્કમ મંદિરને લોકો બહુદા નદીને નામે ઓળખે છે, નદીમાં સ્થિત દુંદાળા દેવનાં દર્શન વડે સમગ્ર પાપનો નાશ થાય છે
મંદિર-નિર્માણ પાછળની રોચક કહાની
એવું કહેવાય છે કે ગામમાં ત્રણ જોડિયા ભાઈઓ રહેતાં હતાં. જેમાંનો એક બહેરો, બીજો આંધળો અને ત્રીજો મૂંગો. પોતાની નબળાઇઓને લીધે ગામના કોઈ વેપારી તેમને નોકરી આપવા માટે રાજી નહોતાં થતાં. આથી ત્રણેયએ મળીને જમીનનો એક નાનકડો ટુકડો ખરીદવાનું નક્કી કર્યુ. યોગ્ય મુહૂર્ત જોઈને ભૂમિપૂજન કરાયું, પરંતુ જમીન પર કશુંક ઉગાડવા માટે પાકને પૂરતાં પાણીની ખોટ સાલતી હતી. નજીકમાં ક્યાંય કોઇ તળાવ, નદી કે નાળા પણ નહોતાં. વિકલાંગ ભાઈઓએ કૂવો ખોદવાનું શરૂ કરી દીધું. પરંતુ નસીબ એટલા બધા ખરાબ કે ખૂબ ઊંડે સુધી ખોદ્યા પછી પણ જોઈએ એટલી માત્રામાં પાણી પ્રાપ્ત ન થઈ શક્યું.
આખરે મહિનાઓ બાદ, અતિશય ઊંડાણમાં ખોદકામ કરતા કૂવામાંથી ધોધ છૂટ્યો. નવાઇની વાત એ હતી કે જ્યાંથી પાણીનો પ્રવાહ બહાર નીકળતો હતો, ત્યાં નીચે એક વિચિત્ર પથ્થર દેખાયો, જેને ખોદીને બહાર ફેંકી કાઢવા માટે ત્રણેય ભાઇઓએ ફરી પાવડા ઉપાડ્યા. પરંતુ જેવો પથ્થર પોતાની જગ્યાએથી ખસક્યો કે તરત જ ત્યાંથી સ્વચ્છ પાણીને બદલે લોહી જેવા રક્તવર્ણા પ્રવાહીની નદીઓ વહેવા લાગી. આખા કૂવો રક્તરંજિત દ્રવ્યથી છલકાઈ ગયો! કૂવો ખોદીને બહાર નીકળતાં અચાનક જ, આંધળાને આંખો આવી ગઈ! બહેરાને બધું જ સંભળાવા લાગ્યું અને મૂંગા ભાઈને જીભે સરસ્વતીએ વાસ કર્યો હોય એમ તેમની વિકલાંગતા દૂર થઈ ગઈ! ગામવાસીઓના ટોળેટોળા આ ચમત્કાર જોવા માટે એકઠા થવા લાગ્યા. જે પથ્થરને ખોદવાથી લોહીની નદીઓ વહી હતી, એ ખરેખર ગજાનન ગણપતિના આકારનો હતો. લોકોએ તેને પવિત્ર મૂર્તિ તરીકે સ્વીકારી પાણીની વચ્ચોવચ તેની પ્રાણ-પ્રતિષ્ઠા કરાવડાવી. અગિયારમી સદીમાં ચોલ રાજા કુલોત્તુંગ ચોલે તેની આસપાસ મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યારબાદ 14મી સદીમાં વિજયનગર સામ્રાજ્ય હેઠળ તેનો વિસ્તાર વધારવામાં આવ્યો.
- Advertisement -
માનો યા ના માનો!
ગણપતિજીની પ્રાણ-પ્રતિષ્ઠિત મૂર્તિનું કદ આજે દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેનું કારણ કોઈને ખબર નથી! મંદિરનાં અત્યંત જૂના ભક્ત શ્રી લક્ષ્મામ્માએ ગણપતિને વાઘા પહેરાવવા માટે એક કવચ ભેટ ધર્યુ હતું, પરંતુ નવાઈ લાગે તેવી વાત છે કે ગણપતિનાં પેટ તેમજ ઘુંટણનો આકાર સતત વધતો જાય છે, જેનાં લીધે હવે લક્ષ્મામ્માનું કવચ નિરર્થક બની ગયું છે. અનેક વૈજ્ઞાનિકો અને સંશોધકો અહીં આવીને પોતાનાં પ્રયોગો આદરી ચૂક્યા છે આમ છતાં દિવસો સુધી મૂર્તિનો આકાર વધવાની બાબત તેમના ગળે નથી ઉતરી શકી!
નદી સાથે જોડાયેલી માન્યતા
જે નદીની વચ્ચોવચ વિનાયક મંદિરનું બાંધકામ જોવા મળે છે, ત્યાંની માન્યતાઓ વિશે પણ ખાસ જાણવા જેવું છે. સંખા અને લિખિતા નામના બે ભાઈઓ કનિપક્કમની યાત્રા પર નીકળ્યા હતાં. દિવસો સુધી કરેલી પગપાળા યાત્રાને કારણે તેમનું શરીર હવે જવાબ દઈ ચૂક્યું હતું. ક્યારનાય પેટમાં ઉંદરડાઓ આંટા-ફેરા કરી રહ્યા હતાં. એમાંય પાછો લિખિતાનો સ્વભાવ થોડો વધારે પડતો ઉતાવળો! ભૂખ સહન ન થતાં તેણે પૂછ્યા વગર અજાણ્યા વ્યક્તિની માલિકીનાં ઝાડ પરથી કેરી તોડી ખાવાનું શરૂ કરી દીધું. સંખાએ તેને રોકવા માટેનાં પુષ્કળ પ્રયાસો કર્યા, પરંતુ તદ્દન નિષ્ફળ! લિખિતા ન માન્યો એ ન જ માન્યો. સંખાનો ન્યાયી જીવ આ ચોરી સહી ન શક્યો અને તેણે ગામની પંચાયતમાં ફરિયાદ કરી દીધી! છડેચોક લિખિતાનો ગુનો સાબિત થઈ ગયો અને સજા સ્વરૂપે તેના બંને હાથો કાપી નંખાયા, જેથી ભવિષ્યમાં તે બીજી ચોરી ન કરી શકે. પરંતુ લોકવાયકા મુજબ, કનિપક્કમની નદીમાં સ્નાન કરતાની સાથે જ લિખિતાનાં બંને હાથ આપોઆપ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતાં.
ગામવાળાઓએ આ ચમત્કારથી પ્રેરાઈને નદીનું નામ ‘બહુદા’ (સામાન્ય માણસનો હાથ) રાખી દીધું! આજદિન સુધી કનિપક્કમ મંદિરને લોકો બહુદા નદીને નામે ઓળખે છે. નદીમાં સ્થિત દુંદાળા દેવનાં દર્શન વડે સમગ્ર પાપનો નાશ થાય છે. ગમે એવા ઘોર પાપ કરીને સ્નાન કરવા પડેલો દુરાચારી માણસ પણ ‘બહુદા’નાં પાણી વડે પાપમુક્ત બની જાય છે. આ કારણોસર તીર્થાળુઓ કનિપક્કમને ગંગા જેટલું જ મહત્વ આપે છે. પરંતુ મંદિરમાં માથું ટેકવવા જતાં પહેલા અહીં એક નિયમ અનુસરવો જરૂરી છે. જે યાત્રાળુઓએ પાપમુક્ત થવાની ઇચ્છા હોય તેમણે નદીમાં સ્નાન લેતાં-લેતાં વચન લેવું પડે છે કે પોતે ફરી ક્યારેય એ પ્રકારનું પાપ જાણીજોઈને નહીં કરે! હ્રદયપૂર્વક કરેલી પ્રાર્થનાનો ભગવાન ગણપતિ દ્વારા સ્વીકાર થાય છે અને ભક્ત જન્મોજન્મનાં ફેરામાંથી મુક્ત થઈ જાય છે.