“અમે બે-રાજ્ય ઉકેલ પ્રાપ્ત કરવામાં ફાળો તરીકે પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ હેતુ માટે અન્ય લોકો સાથે કામ કરવા તૈયાર છીએ,” નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેત્યાન્હૂએ ગાઝાને નિયંત્રણમાં લેવાના શપથ લીધા છે. પરંતુ બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ નેતન્યાહૂની યોજના પર શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે, ‘જ્યાં સુધી નેતન્યાહૂ સરકાર આ ઘૃણાસ્પદ કૃત્યો ચાલુ રાખશે ત્યાં સુધી અમે ચૂપ રહીશું નહીં. જો ઇઝરાયલ નવેસરથી લશ્કરી હુમલા બંધ નહીં કરે, તો અમે જવાબમાં વધુ નક્કર પગલાં લઈશું.’
- Advertisement -
ગાઝા પર ટોટલ કંટ્રોલનો નેત્યાન્હૂનો શું પ્લાન છે?
ગાઝા પર ટોટલ કંટ્રોલ મેળવવાની ઇઝરાયલની યોજનામાં લશ્કરી કબજો, હમાસનો નાશ કરવો, બંધકોને મુક્ત કરવા અને સમગ્ર પ્રદેશને ઇઝરાયલ માટે સુરક્ષિત બનાવવાનો સમાવેશ થાય છે. આ યોજના લશ્કરી કામગીરી, માનવીય સહાય પર નિયંત્રણ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે.
હાલ આવી છે ગાઝાની સ્થિતિ
- Advertisement -
ગાઝામાં પરિસ્થિતિ હાલ ખૂબ જ દયનીય છે. ગાઝા આરોગ્ય એજન્સીઓએ જણાવ્યું છે કે, ‘સોમવાર સવાર સુધીના 72 કલાકમાં ઇઝરાયલી બોમ્બમારાથી 300 થી વધુ લોકો માર્યા ગયા છે. દક્ષિણ શહેર ખાન યુનિસ પર હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલો નેતન્યાહૂ દ્વારા દુષ્કાળના જોખમથી બચવા માટે મર્યાદિત માત્રામાં ખોરાક ઉપલબ્ધ કરાવવાની જાહેરાત બાદ થયો હતો.’
હમાસની કસ્ટડીમાંથી 58 બંધકોને મુક્ત કરવા માટે ઇઝરાયલ સતત દબાણ કરી રહ્યું છે. તેમજ ગાઝામાં ખોરાક, પાણી, બળતણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. નાકાબંધીને કારણે ગાઝામાં ભયંકર કટોકટી સર્જાઈ છે અને દુષ્કાળનું જોખમ વધી ગયું છે.
કેનેડા, બ્રિટન અને ફ્રાન્સે નેતન્યાહૂની કરી નિંદા
ઇઝરાયલની આ યોજના પર મુખ્ય યુરોપિયન દેશોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ ઇઝરાયલના યુદ્ધ વિસ્તરણને ગેરવાજબી ગણાવ્યું છે. તેમણે ગાઝાની પરિસ્થિતિને અસહ્ય ગણાવી અને જો ઇઝરાયલ તેનું અભિયાન ચાલુ રાખશે તો કડક જવાબ આપવાની ધમકી આપતા કહ્યું છે કે, ‘જો નેતન્યાહૂ સરકાર આ ઘૃણાસ્પદ કૃત્યો ચાલુ રાખશે તો અમે ચૂપ રહીશું નહીં. જો ઇઝરાયલ તેના નવેસરથી લશ્કરી આક્રમણને બંધ નહીં કરે અને માનવતાવાદી સહાય પરના પ્રતિબંધો હટાવશે નહીં, તો અમે જવાબમાં વધુ નક્કર પગલાં લઈશું.’ બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ ગાઝા સુધી અનાજ ન પહોંચવા દેવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. આ દેશોએ કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. વધુમાં, આ દેશોએ ઇઝરાયલી સરકારના કેટલાક મંત્રીઓ દ્વારા ગાઝાની નાગરિક વસ્તીને બળજબરીથી વિસ્થાપિત કરવાની ધમકી આપતા નિવેદનોની નિંદા કરી, તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું.
યુરોપિયન દેશોના પ્રતિબંધ પર નેત્યાન્હૂની પ્રતિક્રિયા
બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા, ઇઝરાયલે કહ્યું છે કે લંડન, ઓટાવા અને પેરિસના નેતાઓ 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા નરસંહાર હુમલા માટે મોટું ઇનામ આપી રહ્યા છે. વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્વિટ કર્યું કે, ‘ઇઝરાયલને પોતાના અસ્તિત્વ માટેના રક્ષણાત્મક યુદ્ધનો અંત લાવવા અને સરહદ પરના હમાસ આતંકવાદીઓનો નાશ થાય તે પહેલાં પેલેસ્ટિનિયન રાજ્યની માંગણી કરીને, લંડન, ઓટાવા અને પેરિસના નેતાઓ 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર થયેલા નરસંહાર હુમલા માટે મોટું ઈનામ આપી રહ્યા છે. આમ કરીને આ દેશો આવા વધુ અત્યાચારોને આમંત્રણ આપી રહ્યા છે.’ નેતન્યાહૂએ કહ્યું કે, ‘યુદ્ધ 7 ઓક્ટોબરે શરૂ થયું જ્યારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ અમારી સરહદો પર હુમલો કર્યો, 1200 નિર્દોષ લોકોની હત્યા કરી અને 250 થી વધુ નિર્દોષ લોકોનું અપહરણ કરીને ગાઝાના જેલમાં લઈ ગયા.’ નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના દૃષ્ટિકોણ સાથે સંમતિ દર્શાવી અને કહ્યું કે, ‘યુરોપિયન નેતાઓનો પણ આવો જ દૃષ્ટિકોણ હોવો જોઈએ. જો બાકીના બંધકોને મુક્ત કરવામાં આવે, હમાસ તેના શસ્ત્રો છોડી દે, તેના ખૂની નેતાઓને દેશનિકાલ કરવામાં આવે અને ગાઝાને લશ્કરી મુક્ત કરવામાં આવે તો યુદ્ધ કાલે સમાપ્ત થઈ શકે છે.’
નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું કે, ‘કોઈ પણ દેશ પાસેથી આનાથી ઓછું કંઈ સ્વીકારવાની અપેક્ષા રાખી શકાય નહીં અને ઇઝરાયલ ચોક્કસપણે એવું કરશે નહીં. આ બર્બરતા સામે સભ્યતાનું યુદ્ધ છે. જ્યાં સુધી સંપૂર્ણ વિજય ન મળે ત્યાં સુધી ઇઝરાયલ ન્યાયી રીતે પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખશે.’