આજથી શરૂ થતી આ ‘અમેરિકન ડ્રીમ’ લેખમાળામાં ખાસ ખબરના વાચકોના લાભાર્થે અમેરિકાના ઈમિગ્રેશનને લગતા કાયદાઓ અને વિવિધ પ્રકારના વિઝા વિશે જાણકારી આપવામાં આવશે, જેથી અમેરિકન સ્વપ્નું સેવતા ખાસ ખબરના વાચકો એમનાં સ્વપ્નાં સાકાર કરી શકે
અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
- Advertisement -
નાનપણમાં ટોમ એન્ડ જેરી અને મિકી માઉસનાં કાર્ટૂનો જોયા બાદ આ કટારના લેખક, ડો. સુધીર શાહ, એડ્વોકેટને ચાર વર્ષની ઉંમરથી જ અમેરિકાનાં સ્વપ્નાં આવવાનાં શરૂ થઈ ગયાં. એમને ડિઝનીવર્લ્ડ જોવા જવાની પ્રબળ ઈચ્છા જાગી. જેમ જેમ તેઓની ઉંમર વધવા લાગી તેમ તેમ હોલીવૂડનાં અન્ય કાર્ટૂનો તેમ જ ચલચિત્રો જોતાં એમનું અમેરિકન ડ્રીમ એમને વધુ ને વધુ સતાવવા લાગ્યું. ‘ક્યારે હું મોટો થઉં અને ક્યારે ડિઝનીવર્લ્ડમાં જાઉં? મિકી માઉસ, ટોમ એન્ડ જેરી, ડોનાલ્ડ ડક, સિન્ડ્રેલા અને સેવન ડ્રાવ્ફ આ બધાને મળું? ક્યારે ગન, ઘોડા અને માઉન્ટન દર્શાવતાં ક્રાઉબોયના અભિનેતાઓને જોઉં? ક્યારે લોરેન હાર્ડી અને ચાર્લી ચેપ્લિનને સ્ટુડિયોમાં જઈને મળું? ક્યારે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને નજીકથી નિહાળું? આવા આવા વિચારો આ કટારના લેખકને રોજ સતાવવા લાગ્યા. એવો એક પણ દિવસ વીતતો નહોતો જ્યારે એમણે રાત્રિના સ્વપ્નામાં અમેેરિકા જોયું ન હોય. વર્ષ 1979માં એડ્વોકેટેના ડેલિગેશન જોડે સમગ્ર રશિયા તેમ જ ઈસ્ટ યુરોપિયન દેશો અને સાથે સાથે ઈંગ્લેન્ડ અને રોમ જઈ આવ્યા બાદ આ કટારના લેખકે બીજા વર્ષે અમેરિકા જવાનો પાક્કો નિર્ણય લીધો.
‘હું વ્યવસાયે એક એડ્વોકેટ છું, તો શા માટે જ્યારે અમેરિકા જઉં છું ત્યારે ત્યાંના ન્યાયાલયોની મુલાકાત ન લઉં? અમેરિકામાં એડ્વોકેટ, જેને તેઓ ‘એટર્ની’ કહે છે એમની ઓફિસો જબરજસ્ત મોટી હોય છે. એક એક ઓફિસમાં બસ્સો બસ્સો પાર્ટનર હોય છે. આવી ઓફિસો કેમ કરતાં એ લોકો ચલાવે છે મારે એ પણ જોવું જોઈએ’ આવું વિચારીને એમણે ન્યુ યોર્ક, વોશિંગ્ટન ડીસી, સાન ફ્રાન્સિસ્કો આ ત્રણ મુખ્ય શહેરોમાં આવેલ એટર્નીઓની ફર્મમાંની પચ્ચીસ-ત્રીસને કાગળો લખ્યા અને જણાવ્યું કે ‘હું મુંબઈ-ભારતમાં પ્રેક્ટિસ કરતો એક એડ્વોકેટ છું. તમારા શહેરમાં ફલાણી ફલાણી તારીખે આવવાનો છું. મને તમારી ઓફિસ, એ ચલાવવાની પદ્ધતિ તેમ જ કોર્ટ વિશે જાણકારી મેળવવી છે, એમને પ્રત્યક્ષ જોવી છે.’ બધી એટર્નીની ફર્મે એમના આ પત્રના ઉમળકાભેર જવાબો આપ્યા અને એમને આવકાર્યા. પણ એક એટર્નીની ફર્મે એવું માની લીધું કે તેઓ એમને ત્યાં નોકરીની અરજી કરી રહ્યા છે. આથી એમણે જવાબમાં લખ્યું, ‘સોરી, હમણાં અમારે ત્યાં કોઈ જગ્યા ખાલી નથી.’ ટૂરિસ્ટ વિઝાની અરજી કરવા આ કટારના લેખક જ્યારે એ સમયે મુંબઈમાં બ્રીચ કેન્ડી ઉપર આવેલ અમેેરિકન કોન્સ્યુલેટમાં ગયા ત્યારે કોન્સ્યુલર ઓફિસરે એમને સવાલ કર્યો,
‘તમે અમેરિકા શા માટે જવા ઈચ્છો છો? ત્યાં શું કરવાના છો?’
‘હું ફરવા જાઉં છું અને થોડા એટર્નીઓને મળવાનો છું.’
‘એમ? એના પુરાવાઓ શું છે?’
અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાથી એ સમયે સાવ અજાણ એવા આ કટારના લેખકે એમણે અમેેરિકન એટર્નીઓને જે કાગળો લખ્યા હતા અને એમના જે જવાબો આવ્યા હતા એ આખી ફાઈલ કોન્સ્યુલર ઓફિસરને આપી. એમણે એ ખોલી અને પહેલો જ પેલો પત્ર હતો, ‘સોરી, હમણાં અમારે ત્યાં કોઈ જગ્યા ખાલી નથી.’ કોન્સ્યુલર ઓફિસરે ધડ દઈને ફાઈલ બંધ કરી અને ગુસ્સાભેર આ કટારના લેખકને કહ્યું, ‘હું તમારા વિઝા નકારું છું.’ શા કારણે એમના વિઝા નકારવામાં આવ્યા છે એની આ કટારના લેખકને સમજ ન પડી. એમણે અમેરિકાથી ઈમિગ્રેશનના કાયદાઓનાં પુસ્તકો મગાવ્યાં, એનો અભ્યાસ કર્યો અને જાણ્યું કે, કોઈ પણ પરદેશી જ્યારે અમેરિકાના ટૂરિસ્ટ વિઝા, જેની સંજ્ઞા ‘બી-2’ છે, એની અરજી કરે છે ત્યારે કોન્સ્યુલર ઓફિસરે ધારી લેવું પડે છે કે એ અરજદાર ટૂરિસ્ટ નથી, પણ ટૂરિસ્ટ હોવાનું કહીને ‘બી-2’ વિઝા મેળવીને અમેરિકામાં ઘૂસવા માગે છે. એનો ઈરાદો અમેરિકામાં ગેરકાયદેસર કામ કરવાનો અને રહેવાનો છે. આથી એ અરજદારે દેખાડી આપવાનું રહે છે કે એ ખરા અર્થમાં એક પ્રવાસી છે. એનો અમેરિકા જવાનો ઈરાદો ફક્ત ને ફક્ત ફરવા માટેનો છે.
- Advertisement -
એ ત્યાં નોકરી યા ધંધો કરવા નથી ઈચ્છતો કે નથી ઈચ્છતો કાયમ રહેવા. એની પાસે અમેરિકા જવા-આવવાના, ત્યાં રહેવા-ખાવાના અને પરચૂરણ ખર્ચાની યોગ્ય જોગવાઈ છે. એના પોતાના દેશમાં કૌટુંબિક તેમ જ નાણાંકીય સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ એને ટૂરિસ્ટ વિઝા ઉપર અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતાં એના દેશમાં પાછા ખેંચી લાવશે. અમેરિકન એટર્નીએ આ કટારના લેખકને જે કાગળ લખ્યો હતો એના ઉપરથી કોન્સ્યુલર ઓફિસરને એવું લાગ્યું હતું કે તેઓ અમેરિકામાં નોકરી કરવા ઈચ્છે છે આથી એમના વિઝા નકારવામાં આવ્યા હતા. જો ભણેલા-ગણેલા એક એડ્વોકેટને આવી સામાન્ય બાબતની જાણ નહોતી તો સામાન્ય માનવીઓનું તો શું? આવું વિચારીને આ કટારના લેખકે ત્યાર બાદ ‘ઈકોનોમિક ટાઈમ્સ’માં અને પછી ‘વ્યાપાર’, ‘જન્મભૂમિ-પ્રવાસી’, ‘મુંબઈ સમાચાર’, ‘ગુજરાત મિત્ર’, ‘સંદેશ’, ‘ચિત્રલેખા’, ‘અભિયાન’ આમ જુદાં જુદાં અખબારો અને મેગેઝિનોમાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓ વિશે જાણકારી આપવાનું શરૂ કર્યું. ‘અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓની ભારતીયોની સ્થળાંતરની નીતિ ઉપર અસર’ આ વિષયમાં એમણે છ વર્ષ સંશોધન કર્યું અને સ્થળાંતરનો એક નવો નિયમ ‘ધ થિયેરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ પ્રસ્થાપિત કર્યો. મુંબઈ યુનિવર્સિટીએ એ માટે એમને ‘ડોક્ટરેટ’ની ડિગ્રીથી નવાજ્યા.