પંજાબ સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે એક હાઈલેવલ કમિટી બનાવી છે.
આ કમિટીમાં બે પૂર્વ ન્યાયાધીશ છે જેમણે 3 દિવસમાં સરકારને પોતાનો રિપોર્ટ આપવો પડશે. આ જાણકારી સરકારના પ્રવક્તાએ આપતાં કહ્યું કે, પંજાબ સરકારે પીએમ મોદીના ફિરોઝપુર પ્રવાસ દરમ્યાન થયેલી ચૂકની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે. સમિતિમાં સેવાનિવૃત ન્યાયાધીશ મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ અને ન્યાયાધીશ અનુરાગ વર્મા સામેલ થશે અને ત્રણ દિવસની અંદર પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરશે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સિનિયર એડવોકેટ મનિંદર સિંહે સુપ્રીમ કોર્ટમાં CJI એનવી રમણ સમક્ષ મામલાનો ઉલ્લેખ કરીને તપાસની માંગ કરી છે. કોર્ટે સિંહને આજે કેન્દ્ર અને પંજાબ સરકારને અરજી આપવા માટે કહ્યું છે.
- Advertisement -
ચૂંટણી પહેલા પંજાબની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકની ઘટના બની હતી. ફિરોઝપુરમાં કેટલાક પ્રદર્શનકર્તાઓએ રસ્તો બ્લોક કરી નાખ્યો હતો; જ્યાંથી પીએમ મોદીને જવાનું હતું. આ કારણે તેઓ ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી ફસાયેલા રહ્યા. આ ઘટના બાદ પીએમ દિલ્હી પાછા ફર્યા, અને તેઓ ના તો કોઈ કાર્યક્રમમાં સામેલ થયા અને ના તો બે વર્ષ બાદ રાજ્યમાં પોતાની પહેલી રેલીને સંબોધિત કરી શક્યા.
આ ઘટના પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા પંજાબ સરકાર પાસે આ ચૂક મુદ્દે એક રિપોર્ટ માગ્યો અને ઘટનાની પાછળ જવાબદાર લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનું કહ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાનના પ્રવાસમાં સુરક્ષા વ્યવસ્થામાં આ પ્રકારની બેદરકારી બિલકુલ સ્વીકાર્ય નથી અને આ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે.
પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા થયેલા આ ઘટનાક્રમને લઈને દેશના રાજકારણમાં એક નવો જ વિવાદ થયો જ્યારે બીજેપીએ તેને ‘અભૂતપૂર્વ’ કહીને એક ‘કાવતરું’ ગણાવ્યું અને દાવો કર્યો કે કોંગ્રેસના ‘ખૂની ઇરાદા’ નિષ્ફળ રહ્યા. અન્ય કેટલાક પક્ષોએ કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં રાજ્ય સરકાર પર હુમલા પણ કર્યા.
- Advertisement -
ચન્ની શું બોલ્યા?
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ભાજપના આરોપોને નકારતા કહ્યું કે, વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચૂક નથી થઈ અને આની પાછળ કોઈ રાજકીય ઇરાદો ન હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમની સરકાર કોઇપણ તપાસ માટે તૈયાર છે. મુખ્યમંત્રીએ એવો દાવો પણ કર્યો કે રેલી સ્થળે ભીડ ન હતી એટલે આ પ્રકારનું રાજકારણ થઈ રહ્યું છે.