ગુજરાતે જો ઉતમ રોડનું નેટવર્ક સ્થાપ્યું હોય તો રસ્તા નબળા કેમ બની રહયા છે ?
ગુજરાત રાજય પોતાનાં વખાણ કરે છે ને કહે છે કે રાજ્યે ઉતમ રોડનું નેટવર્ક સ્થાપ્યું છે. ત્યારે સવાલ થાય છે કે જો ગુણવતાયુકત રસ્તાના કામો થતા હોય તો રસ્તા બન્યા પછી એ પાંચ – છ મહિનામાં ખાડામાં કેમ ફેરવાય જાય છે ? ગુજરાતમાં બનતા તમામ રસ્તાઓનું આયુષ્ય લાંબું હોતું નથી માત્ર વરસાદ જ નહિ પણ પરિવહન ને કારણે પણ રસ્તા તૂટી રહયા છે જે નબળા કામની ગવાહી પૂરે છે.
આ અંગે માણાવદર તાલુકા કૉંગ્રેસના પ્રમુખ અરવિંદભાઇ લાડાણી એ માર્ગ મકાન વિભાગ પંચાયતને લેખિત માં રજૂઆત કરતા જણાવ્યું છે કે માણાવદર તાલુકાને જોડતા સરાડીયા – કંટોલ- વેકરી રસ્તો, તથા કોડવાવ – થાપલા, લીંબુડા – વડા, આંબલીયા – બાલાગામ, આંબલીયા – વડાળા અને જીંજરી- થાનિયાણા વગેરે ગામોને જોડતા છ રસ્તાઓ વરસાદને કારણે ધોવાઈ ગયા હોવાથી પરિવહન ને ભારે મુશ્કેલી પડી રહી છે. તો તાકીદથી રસ્તા રીપેર કરવા જરૂરી છે
આ ઉપરાંત તાલુકાના તથા ગામડાઓના રસ્તાઓ ખાડામાં ફેરવાઇ ગયા છે તથા રસ્તાઓની બન્ને સાઇડમાં ગાંડા બાવળો ઊગી નીકળ્યા હોઇ તેને જે.સી.બી. દ્વારા દૂર કરવા લાડાણી એ વનમંત્રી તથા જિલ્લા માર્ગ મકાન વિભાગ ને રજૂઆતો કરી છે.
જીજ્ઞેશ પટેલ માણાવદર