ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી, કસૌટી જિંદગી કે, પવિત્ર રિશ્તા, જોધા અકબર, નાગિન-1, નાગિન-2, કવચ, ચંદ્રનંદિની, આરંભ, કાલભૈરવ જેવી કુલ 30થી પણ વધુ સુપરહિટ ટીવી સીરિયલો તેમજ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર નિર્મિત ‘યુગપુરુષ’, કોડમંત્ર, કૌટિલ્ય, ચક્રવર્તી, મને ભીંજવે તુ, પપ્પા પધરાવો સાવધાન સહિત 13થી પણ વધુ બ્લોકબસ્ટર નાટકો અને ‘ક્રિષ્ના કોટેજ’ જેવી બોલિવૂડ હોરર ફિલ્મની સફળતા રાજેશ જોશીને ફાળે જાય છે…
મુંબઈની ચાલથી શરૂ કરીને વાયા રાજકોટ થઈ, એકતા કપૂરને પણ મેગા-સક્સેસ અપાવનાર રાજેશ જોશીની અંગત વાતો કોઇ મસાલેદાર ફિલ્મી સ્ટોરીથી કમ નથી
પરખ ભટ્ટ
વિશ્ર્વનાં ખૂણેખૂણામાં જઈને વસેલા ભારતીય અને એમાંય ખાસ કરીને ગુજરાતી પરિવારને ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ કે ‘કસૌટી ઝિંદગી કે’ વિશે યાદ અપાવવાની જરૂર જ નથી, કારણકે આપણે સૌએ 2000ની સાલથી 2007 સુધી તુલસી, કોમોલિકા, મિહિર અને પ્રેરણાને ટીવી પર જોયા છે અને ફક્ત એટલું જ નહીં, સાથોસાથ એમને જીવ્યા પણ છે! સીરિયલનાં એ પાત્રોની આંખોમાંથી આંસુ નીકળે ત્યારે ટીવી-સ્ક્રીનની સામે બેસેલી આંખો પણ અચૂક ભીની થાય. આવી લાગણીશીલ અને સુપરહિટ સીરિયલો લખવા પાછળ એક રાજકોટિયનનું મગજ દોડ્યું છે એમ હું કહું તો તમે માની શકશો?
જી હાં. આ વાત છે, મુંબઈમાં રહેતાં નખશીખ ગુજરાતી લેખક રાજેશ જોશી વિશે! માત્ર લેખક કહીશ તો યોગ્ય નહીં જ ગણાય. હી ઈઝ અ સિલેબ્રિટી રાઇટર! ભલભલા હીરો-હીરોઈનની કરિયર બનવા પાછળ એમનાં ચોટદાર સંવાદો, વાર્તા અને સ્ક્રિનપ્લેએ મહત્વની ભૂમિકા ભજવી છે. મુંબઈની 180 સ્ક્વેર ફૂટની ચાલથી શરૂ કરીને વાયા રાજકોટ થઈ, એકતા કપૂરને પણ મેગા-સક્સેસ અપાવનાર રાજેશ જોશીની અંગત વાતો કોઇ મસાલેદાર ફિલ્મી સ્ટોરીથી કમ નથી.
એમના પિતા મનસુખભાઈ જોશી પોતે એ જમાનામાં ‘ઇન્ડિયન નેશનલ થિયેટર’(ઈંગઝ) સાથે જોડાયેલા હતાં. રાજેશભાઈને બે સગા ભાઈ – શરદ અને તુષાર. રાજેશભાઈ છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે તેમનાં મોટાભાઈ શરદ જોશીને ટીબીનો રોગ લાગુ પડ્યો. એમનું મોસાળ રાજકોટમાં એટલે મનસુખભાઈ સિવાયનો સમગ્ર પરિવાર રાજકોટ આવી ગયો. અહીંની ચૌધરી હાઇસ્કૂલમાં રાજેશભાઈએ એડમિશન લીધું. છઠ્ઠું અને સાતમું ધોરણ ત્યાં ભણ્યા.
વર્ષો સુધી મુંબઈ રહેવાને લીધે એમને રાજકોટમાં ખાસ્સો એવો કલ્ચર ડિફરન્સ જોવા મળ્યો હતો. લોકો અલગ, એમની વાતચીત કરવાની સ્ટાઇલ પણ અલગ. કપડાં, રહેણીકરણી, બોલી, સ્વભાવ, રીતભાત બધું જ અલગ. સંગત એવી અસર! સ્કૂલેથી છૂટીને બધા જ મિત્રો રખડવા નીકળી પડતાં. સાથે બેસીને બીડીનો કશ ફૂંકી લેતા. એમનાં માતુશ્રી ઇન્દુબેનનું બધું ધ્યાન મોટા દીકરા શરદભાઈનાં ઈલાજ પર! એટલે સ્વાભાવિક રીતે વહેલી સવારે ઘેરથી નીકળી જાય, આખો દિવસ હોસ્પિટલમાં રહે અને સાંજ પડ્યે ઘેર પાછા ફરે.
સ્કૂલ પૂરી થાય કે તરત જ રાજેશભાઈ અને એમનાં ક્લાસમેટ્સ ભાડાની સાઈકલો લઈને રાજકોટનાં રસ્તા ખૂંદી વળે! એક જ ધ્યેય. રાજકોટનો એકેય રસ્તો નજરમાંથી ચૂકી ન જવો જોઇએ! મુંબઈમાં સારા ગુણ મેળવીને ઉત્તીર્ણ થનારા રાજેશભાઈએ રાજકોટ આવીને ભણતરને લગભગ બાય-બાય કહી દીધું હતું. ફાઇનલ એક્ઝામમાં 40 માર્ક્સ આવી જાય તોય ઘણું! જાહેર રજા અને રવિવારે તો પાછી આ બધી મસ્તીમાં વધારો થાય. ઝાડમાંથી નીકળતાં ગુંદરને ભેગું કરી એનો બોલ બનાવે, મેદાનમાં ક્રિકેટ રમે, અમુક વખત મારામારી પર પણ ઉતરી આવે.
નાનપણમાં તુષાર સાથે બનેલા એક હાસ્યાસ્પદ પ્રસંગને યાદ કરતાં રાજેશભાઈ જણાવે છે કે, નાનો ભાઈ તુષાર રડતો-રડતો ઘેર આવ્યો. એ લોહીલુહાણ હતો. કેટલાક છોકરાઓએ એને સાંકળથી માર્યો હતો. પછી તો શું?! અમે બધા બખ્ખમ-બખ્ખી પર ઉતરી આવ્યા. મેં અને મારા મિત્રોએ રાજકોટ ગજવ્યું હતું એ દિવસે!
બે વર્ષ સુધી રાજકોટનાં રંગમાં પૂરેપૂરા રંગાયા બાદ તેમણે કમને મુંબઈ પાછું જવું પડ્યું. પરંતુ અહીંનો રંગ એવો તે ચડી ગયો હતો કે ન પૂછો વાત! આઠમા ધોરણમાં મુંબઈની આઇડિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ત્યાંના છોકરાઓ રાજેશભાઈ અને તુષારભાઈને જોઇને લગભગ ગભરાઈ ગયા હતાં. આટલી હદ્દનુ બિંદાસ્ત, નિર્ભીક અને અલ્લડ વ્યક્તિત્વ તેમને કદાચ રાસ નહોતું આવી રહ્યું. ધીરે-ધીરે બધું ગોઠવાતું ગયું.
ત્યારબાદ તો, કોલેજકાળમાં લેક્ચર્સ બંક કરીને નાટકો, ફિલ્મો જોવાનો સિલસિલો શરૂ થયો. રાજેશભાઈનાં ધર્મપત્ની સુરાલીબેન ઢેબર સાથેની એમની લવસ્ટોરી પણ એ દરમિયાન શરૂ થઈ ચૂકી હતી. અભ્યાસમાંથી મન ઉઠતું ગયું કારણકે નાટકોમાં નાના નાના રોલ મળવા લાગ્યા હતાં અને એમને ખૂબ મજા પડતી! આમ છતાં ઘરની જવાબદારીઓને લીધે તેમણે ચાર્ટડ્ અકાઉન્ટન્ટ્સ (સીએ)નો અભ્યાસ અને નોકરીને નાટકો કરતાં વધુ પ્રાધાન્ય આપ્યું. સુરાલીબેન સાથે લવમેરેજ કર્યા બાદ તેમને સંતાનમાં બે દીકરા-નિહાર અને હર્ષિતનો જન્મ થયો. નાટકોમાં કામ વધુ રહેતાં તેમણે આખરે નોકરી છોડવાનો નિર્ણય કર્યો. વિપુલ મહેતા, સંજય ગોરડિયા, ભારતીય વિદ્યાભવનનાં પ્રણેતા ગિરીશ દેસાઈ ઉર્ફે ભાઉસાહેબ સાથે નાટકો કરીને તેઓ એ ક્ષેત્રનાં તમામ પાસાઓને વધુ ઉંડાણપૂર્વક સમજવા લાગ્યા. ડિરેક્શન અને પ્રોડક્શન બાબતે તેઓ હવે એક્કા બની ગયા હતાં. હજુ પણ લેખનક્ષેત્ર સાથે એમનો કોઇ નાતો નહોતો જોડાયો.
એ સમયે વિપુલ મહેતા બાલાજી પ્રોડક્શન્સ માટે ‘કેપ્ટન હાઉસ’ સીરિયલ લખી રહ્યા હતાં. એમણે રાજેશ જોશીને પણ લેખન કરવા અંગે સલાહ આપી. વિપુલ મહેતાનાં આગ્રહથી રાજેશભાઈ એક દિવસ એકતા કપૂરને મળવા એમનાં પ્રોડક્શન હાઉસ પર પહોંચ્યા. તેમણે પોતાનો વિષય એકતાને સંભળાવ્યો. પરંતુ એકતા કપૂરે રાજેશભાઈને બીજા ચાર-પાંચ નવા ટ્રેક અને ટ્વિસ્ટ સાથે ફરી વખત સ્ટોરીનું નરેશન કરવા જણાવ્યું. ચાર દિવસ પછી તેઓ પોતાનાં હાથમાં પંચાવન પાનાંની સ્ક્રિપ્ટ લઈને એકતા પાસે પહોંચી ગયા. આખી સ્ક્રિપ્ટનો ડિટેઇલ્ડ અભ્યાસ કર્યા પછી એકતાએ રાજેશભાઈને બાલાજી પ્રોડક્શન્સ માટે સીરિયલ લખવાની ઓફર આપી. રાજેશ જોશી અને વિપુલ મહેતા બંને સંયુક્ત રીતે આ પ્રોજેક્ટમાં જોડાયા. તમિલ ભાષામાં શરૂ થયેલી ‘પવિત્ર બંધનમ્’ નામની એ સીરિયલ ખૂબ વખાણાઈ. આથી બાદમાં તેનું હિન્દી રૂપાંતર ‘કોશિશ એક આશા’ પણ કરવામાં આવ્યું. હવે વારો આવ્યો ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’નો!
એકતા કપૂરને કંઈક મસ્તમજાનો ફેમિલી-ડ્ર્રામા શો જોઇતો હતો. રાજેશભાઈ એક નવી સ્ક્રિપ્ટ તૈયાર કરીને બાલાજી ગયા. એકતાએ તો કોન્સેપ્ટ સાંભળતાંવેંત એને લીલીઝંડી આપી દીધી. રાજેશભાઈ પોતે એક સારા લેખક ઉપરાંત ઉત્તમ અભિનેતા પણ ખરા. ‘ક્યોંકિ..’માં તેમણે પિંકુ ખત્રી નામે એક પાત્ર ઉભું કર્યુ, જેનો કિરદાર તેઓ પોતે નિભાવી રહ્યા હતાં. ત્રણ વર્ષથી પણ વધુ સમય (781 એપિસોડ) સુધી ‘ક્યોંકિ’ લખ્યા બાદ રાજેશભાઈનાં એકતા કપૂર સાથેનાં મતભેદો વધી ગયા. આખરે એમણે પોતાનાં સૌથી સુપરહિટ શોને તિલાંજલી આપી દીધી. પરંતુ એકતા એમ કંઈ રાજેશભાઈને જવા દે એમ નથી. ક્યોંકિની શરૂઆત રાજેશભાઈએ કરી હતી એટલે એકતા કપૂરનો આગ્રહ એવો હતો એનો અંત પણ રાજેશભાઈ જ કરે! આથી જ્યારે સીરિયલ પૂરી થઈ એ વખતનાં એપિસોડ્સ રાજેશભાઈએ લખ્યા. એ પછી તો મોટાભાગની પોપ્યુલર હિન્દી ચેનલ સાથે કામ કર્યુ. ઘણી બધી સીરિયલો (કસૌટી ઝિંદગી કે, કુસુમ, કોઇ અપના સા, હંસના મત, પવિત્ર રિશ્તા, બંદિની, પરિચય, તેરે લિયે, સારથિ, તીન બહુરાનિયાં, બહેને, શોર, સોલહ શૃંગાર, રહે તેરા આશિર્વાદ, નાગિન-1, નાગિન-2, જોધા અકબર, કવચ, સ્મૃતિ, શહેનાઈ, ધર્મપત્ની, ચંદ્રનંદિની, કાલભૈરવ, આરંભ વગેરે) તેમણે લખી. પુષ્કળ નાટકો કર્યા. બાલાજી પ્રોડક્શન્સ માટે હોરર ફિલ્મ ‘ક્રિષ્ના કોટેજ’ લખી. ડિરેક્ટર તરીકે ‘કોડમંત્ર’ અને ‘યુગપુરુષ’ નામનાં ખૂબ સફળ નાટકો એમને ફાળે ગયા.
આટઆટલી સફળતા મેળવ્યા પછી પણ તેઓ હજુ રાજકોટનાં સંસ્મરણો વાગોળવાનું ક્યારેય ચૂકતાં નથી. બે વર્ષ દરમિયાન એમણે જીવેલું અલગારી જીવન લેખન અને દિગ્દર્શનમાં ઘણું કામ આવ્યું. અહીંની હવામાં રહેલી બેફિકરાઈ, મોજમસ્તી, લાગણીમાં તરબોળ સંબંધો અને જીભે વસેલી મીઠાશ તેઓ ક્યારેય નહીં ભૂલે! હજુ તો એટલા બધા કિસ્સાઓ બાકી રહી ગયા છે કે જેની વાત કરવા જઈએ તો કદાચ ત્રણ-ચાર અઠવાડિયાઓ સુધી સળંગ લખી શકાય. પરંતુ આજે અહીં વિરામ આપીએ.