જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ વિવાદ
સુપ્રીમ કોર્ટે પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવાનો આપ્યો હતો પ્રસ્તાવ
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ, મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ ભૂમિ વિવાદ અને ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્તાવિત પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવાની પ્રક્રિયામાં સામેલ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. બંને પક્ષોનું કહેવું છે કે, આ તમામ મામલાઓનો નિકાલ અદાલતમાં કાનૂની આધાર પર જ થવો જોઈએ. આ મુદ્દો માત્ર કોઈ એક ચોક્કસ સ્થળ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમુદાયનો છે.
- Advertisement -
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ વહીવટીતંત્રએ તાજેતરમાં જ આ ત્રણેય મામલાના તમામ પક્ષકારોને પત્ર મોકલીને સુપ્રીમ કોર્ટ એક્શન ફોર મેડિએટેડ એડજ્યુડિકેશન એન્ડ ડિસ્યુટ્સ હાર્મોનાઈઝેશન અક્રોસ નેશન (સમાધાન સમારોહ-૨૦૨૬) અંતર્ગત પરસ્પર સમજૂતી દ્વારા ઉકેલ શોધવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ પહેલનું સમાપન આગામી ૨૧થી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિશેષ લોક અદાલતમાં થવાનું છે. જો કે, હિન્દુ પક્ષના અરજદારો અને ત્રણેય મસ્જિદોની વ્યવસ્થાપન સમિતિઓએ સુપ્રીમ કોર્ટ તેમજ સંબંધિત રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો (લીગલ સર્વિસીસ ઓથોરિટી) ને જાણ કરી દીધી છે કે અમે આ મધ્યસ્થતા પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા નથી.
આવા સંવેદનશીલ મામલાઓનો ચુકાદો અદાલત દ્વારા જ આવવો જોઈએ
કેસો સાથે જોડાયેલા વકીલો અને પક્ષકારોનું કહેવું છે કે, પૂજા સ્થાનો પર માલિકી હક્ક, બંધારણીય અધિકારો અને વ્યાપક જનહિત સાથે જોડાયેલા આવા સંવેદનશીલ મામલાઓનો ચુકાદો અદાલત દ્વારા જ આવવો જોઈએ, નહીં કે લોક અદાલત કે મધ્યસ્થતાના માધ્યમથી. બીજી તરફ મસ્જિદ પ્રબંધન સમિતિઓના પ્રતિનિધિઓએ પણ કહ્યું કે, અમે વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલના પક્ષઘર છે, પરંતુ આ મામલાને મધ્યસ્થતા માટે મોકલવા નથી ઈચ્છતા.
હવે સુપ્રીમ કોર્ટ જ લેશે અંતિમ નિર્ણય
આના માટે સુપ્રીમ કોર્ટે એક ઓનલાઈન પોર્ટલ અને કેન્દ્રીય સંકલન તંત્ર પણ સ્થાપિત કર્યું છે. આ ત્રણેય વિવાદોમાં વ્યાપક કાનૂની અને બંધારણીય પ્રશ્નો સામેલ છે, જેમાં પૂજા સ્થળ અધિનિયમ, ૧૯૯૧ની વ્યાખ્યા અને તેના દાયરાને લગતા મુદ્દાઓ પણ સામેલ છે. હાલમાં આ મામલે અંતિમ ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને પક્ષોના આ વલણ બાદ હવે ઓગસ્ટ મહિનામાં યોજાનારી વિશેષ લોક અદાલતમાં આ ચર્ચિત કેસોનો સમાવેશ થાય તેવી શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, ‘સમાધાન સમારોહ-૨૦૨૬ જાહેરાત ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ લાંબા સમયથી પડતર કેસોનો સ્વેચ્છિક અને પરસ્પર સહમતિના આધારે ઉકેલ લાવવાનો છે.




