પ્રેમ મેળવવા કરતાં પ્રેમ માટે યોગ્ય બનવું જરૂરી: પાર્વતીનું તપ એક સંદેશ
સાચો પ્રેમ આકર્ષણથી નહીં, પણ અંતરની તૈયારી અને આત્મચિંતનથી મળે છે
- Advertisement -
આ વર્ષે વેલેન્ટાઈન અને મહા શિવરાત્રી એકસાથે આવે છે. આ માત્ર સંયોગ નથી, પરંતુ પ્રેમના સાચા અર્થની યાદ અપાવતી ક્ષણ છે. વેલેન્ટાઈન એક દિવસનો ઉત્સવ હોઈ શકે, પણ શિવ-શક્તિનો પ્રેમ તો કાળથી પર છે.
આ વર્ષે વેલેન્ટાઈન અને મહા શિવરાત્રી પર ફૂલ અને ભેટો નહીં, પણ શિવ-શક્તિ જેવો અડગ, શુદ્ધ અને આધ્યાત્મિક પ્રેમ પસંદગી કરી સાચી ઉજવણી કરવામાં અનેરી ખુશી મળી શકે એમ છે.
પ્રેમ ઉડતાં શીખવે છે અને વિરહ સર્જન તરફ દોરી જાય છે. બંને જીવનને ભાર નહીં, પરંતુ જીવનને અર્થ આપનારી શક્તિ છે, બસ આ સમજણ હોવી જોઈએ.
માનવીનું જીવન સાથ અને સંવેદનાથી પૂર્ણ બને છે. જ્યારે કોઈ ખાસ વ્યક્તિ જીવનમાં હાજર હોય, ત્યારે દરેક ક્ષણ અલગ અર્થ ધરાવે છે. ક્યારેક એ વ્યક્તિ દૂર હોય, તો તેની ખોટ દરેક શ્વાસમાં અનુભવાય છે. આ સ્થિતિમાં
શબ્દોનો સાથ ખોટને પૂરી કરવામાં મદદરૂપ થાય છે અને આ રીતે કવિ અને કવિતાનો જન્મ થાય છે.
જો પ્રિય વ્યક્તિ નજીક હોત, તો જીવનની પરિસ્થિતિ અલગ હોય, દુ:ખ, એકલતા અને બંધનો દૂર થઈ ગયા હોય. બંને સાથે મળીને દુનિયાથી દૂર, એક પોતાની દુનિયા રચે, જ્યાં સપનાઓને પાંખ હોય, અને વિચારોને ખુલ્લું આકાશ મળે.
પ્રેમ ભલે પાસે હોય કે દૂર, તે જીવન જીવતા શીખવે છે. આ માત્ર સંબંધ નથી, તે જીવનને જોવાની દૃષ્ટિ છે. જ્યારે પ્રેમ પાસે હોય ત્યારે તે સંભાળ, વિશ્વાસ અને આનંદની લાગણી આપે છે. જ્યારે દૂર હોય ત્યારે તે સહનશક્તિ, રાહ જોવાની તાકાત અને આત્મચિંતન શીખવે છે. આ સમજ આવી જાય તો જીવન ભારરૂપ નથી રહેતું, પરંતુ ઉડાન બની જાય છે.
પ્રેમ મનુષ્યને હળવો બનાવે છે. તે હૃદયમાં આશા જગાવે છે, આંખોમાં સપનાં ભરે અને પોતાનાથી પણ વધુ શક્તિશાળી બનાવે છે. પ્રેમમાં પડેલ વ્યક્તિ અન્ય માટે જીવવાનું શીખે છે,
આ પ્રેમમાં દેખાડો નથી, માલિકી નથી, ફક્ત સમર્પણ, સંતુલન અને સહઅસ્તિત્વ છે,સ્વીકાર છે. જ્યાં તું અને હું ઓગળી જાય, અને અમે જન્મે એજ છે સાચો પ્રેમ પાર્વતી (શક્તિનો અવતાર) શિવને પતિ તરીકે મેળવવા માટે તપ કરે છે.
આ તપ ફક્ત લગ્ન માટે નથી, પણ આત્મિક યોગ્યતા માટે છે.
શિવ સરળતાથી રાજી થતા નથી, કારણ કે સાચો પ્રેમ આકર્ષણ કે અધિકારથી નહીં, પણ અંતરની તૈયારીએ મળે છે.
પ્રેમ મેળવવા કરતાં પ્રેમ માટે યોગ્ય બનવું વધુ મહત્વનું છે.
શિવ અને શક્તિનો પ્રેમ ફક્ત મિલન સુધી સીમિત નથી. સતીનાં અગ્નિસ્નાન પછી પણ શિવનો પ્રેમ અડગ રહ્યો. દુ:ખ, વિરહ અને વૈરાગ્યમાં પણ સમર્પણ તૂટ્યું નહીં. એ પ્રેમ કોઈ દિવસ, કોઈ ઉત્સવ કે કોઈ સ્વાર્થ પર આધારિત નથી.
પ્રેમ હોય ત્યારે જીવન સંગીત સમું લાગે છે, જેમાં દરેક ક્ષણમાં મીઠાશ હોય છે. પરંતુ જ્યારે પ્રેમ વિરહમાં ફેરવાય છે, ત્યારે પણ તે નિષ્ફળ નથી થતો. સાચો વિરહ મનને તોડતો નથી, પણ ઘડે છે. વિરહ માણસને કલ્પનામાં રાચતાં શીખવે છે.
સતીના અગ્નિસ્નાન પછી ભગવાન શિવ અતિ દુ:ખ અને વિરહમાં ડૂબી ગયા. આ વિરહ સામાન્ય શોક નહોતો એ સૃષ્ટિ હલાવી દે એવું દુ:ખ હતું. શિવ સતીના નિષ્પ્રાણ દેહને લઈને ત્રિલોકમાં ભટક્યા.
એ સમયે તેમના અંતરમાં ઉદભવેલી વેદનાએ તાંડવ નૃત્યનું સ્વરૂપ લીધું. તાંડવ એટલે માત્ર નૃત્ય નહીં, પણ દુ:ખની પરાકાષ્ઠા, વિરહની પીડા અને વિનાશ સાથે પુનર્જન્મનો સંકેત.
એકાંતમાં શબ્દો જન્મે છે, રંગો બોલવા લાગે છે અને ભાવનાઓ કળામાં રૂપાંતરિત થાય છે. તેથી જ પ્રેમ અને વિરહને કારણે કેટલાંય કલાકારો, કવિઓ, લેખકો અને સંગીતકારો આગળ આવી ગયા.
તેમના દુ:ખમાંથી સર્જન થયું, તેમની લાગણીઓથી દુનિયા સમૃદ્ધ બની. પ્રેમ અને વિરહ માત્ર વ્યક્તિગત અનુભવ નથી, પરંતુ સર્જનશક્તિના મૂળ સ્ત્રોત છે. ઇતિહાસ સાક્ષી છે કે અનેક મહાન કલાકારો પ્રેમમાં ઉડ્યા અને વિરહમાં ઊંડા ઉતર્યા. ઉદાહરણ તરીકે, મિરાંબાઈનો પ્રેમ ભગવાન કૃષ્ણ પ્રત્યે હતો. એ પ્રેમે તેમને સમાજની બંધનોથી ઉપર ઉડાન આપી. તેમનાં ભજનો આજે પણ ભક્તિ અને સમર્પણની પરાકાષ્ઠા ગણાય છે. મીરઝા ગાલિબના શેરોમાં પ્રેમ અને વિરહ બંનેની ઝાંખી મળે છે. તેમની અધૂરી લાગણીઓ અને એકાંત જીવનથી એવી ગઝલો જન્મી કે જે આજે પણ દિલને સ્પર્શે છે.
ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાનો પ્રેમ અને વિરહ ભક્તિમાં રૂપાંતરિત થયો. વૈષ્ણવ જન તો જેવી રચનાઓ માનવતાનો મંત્ર બની ગઈ. આજના સમયમાં પણ ઘણા ગીતકારો અને કવિઓ પોતાનાં અધૂરા પ્રેમમાંથી શબ્દોને જન્મ આપે છે. વિરહની પીડા જ્યારે કલ્પનામાં વહે છે, ત્યારે એ સાદી વેદના કલા બની જાય છે.પ્રેમમાં માણસ પોતાની સીમાઓ તોડી આગળ વધે છે, વધુ મેળવવાની શક્તિ મેળવે છે.



