ગિર સોમનાથ જિલ્લા કલેકટરે ધડાધડ બુલડોઝરો ફેરવ્યા
જમીન દબાણ મુદ્દે પગલાં: પોરબંદર જિલ્લાના બે સરપંચ સસ્પેન્ડ
- Advertisement -
વિસાવદરમાં માલધારીઓની અનેક રજૂઆત છતાં ઢીલી નીતિ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
સૌરાષ્ટ્ર ભરના અનેક જિલ્લાઓમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ગૌચર જમીન પર થયેલ દબાણ મુદ્દો હાલ ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે ગીર સોમનથ કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા દ્વારા જે રીતે છેલ્લા ઘણા સમયથી ગૌચર જમીન હોઈ કે ગામતળમાં થયેલ પેશકદમીની સાથે સરકારી જમીન પર થયેલ દબાણ ઉપર ધડાધડ બુલડોઝર ફેરવી સરકારી જમીનો ખુલ્લી કરાવી છે.ત્યારે જૂનાગઢમાં ક્યારે જિલ્લા કલેકટર દ્વારા ગૌચર જમીન પર થયેલ દબાણો દૂર કરશે આવા લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.જેમાં વિસાવદર તાલુકાના કાલસારી ગામ આસપાસ ગૌચર જમીન ખુલ્લી કરવા અનેકવાર માલધારી આગેવાનો દ્વારા આંદોલન કરીને તંત્રને રજૂઆત કરી પણ જે રીતે કામગીરી થવી જોઈએ તેટલી થઇ નથી ત્યારે તંત્ર કોની લાજ કાઢી રહ્યું છે.? જમીન દબાણ મુદ્દે પોરબંદર વહીવટી તંત્ર દ્વારા આકરા પગલાં ભરવાનું શરુ કર્યું છે.અને ચમરબંધીને પણ નહિ છોડવામાં આવે તે રીતે કામગીરી શરુ કરવામાં આવી છે.પોરબંદર જિલ્લાના બે સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં પોરબંદર જિલ્લાના પાતા ગામના સરપંચ ગાંગાભાઈ પરમાર અને ભડ ગામના મહિલા સરપંચ સાકરબેન મોકરીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગામની ગૌચર અને ગામતળની જમીન દબાણ દૂર નહીં કરતાં, જિલ્લા વિકાસ અધિકારી (ઉ.ઉ.ઘ.) કે.બી. ઠક્કરે તેમને સસ્પેન્ડ કરતા ગૌચર જમીન પર દબાણ કરનાર સરપંચો અને ભૂમાફિયામાં ફફડાટ ફેલાઈ ગયો છે. જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસો પેહલા ગૌચર જમીન સહીતના મુદ્દે સરપંચોએ તંત્ર સામે બાયો ચડાવી હતી અને રાજીનામાં આપી દીધા હતા.જયારે સરપંચો માથે ટોપલો ઢોળી દેવાની નીતિ સામે સરપંચો પણ આંકરા પાણીયે આવી ગયા હતા.ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા તંત્રની જેમ ક્યારે જાગશે તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે. અને શું તંત્ર ગૌચર જમીન પર દબાણ કરનાર ભૂમાફિયાઓ સામે ઘૂટણીંયે પડી ગયું છે.તેવા આક્ષેપો થઇ રહ્યા છે. રખડતા ઢોરનો ત્રાસ ગામડાથી હવે શહેરો સુધી પહોંચ્યો છે. મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે. જેમાં અનેક વ્યક્તિઓના મોત પણ થાય છે. રખડતા ઢોર પર અંકુશ મુકવાની સાથે આ સમસ્યાનું જડ ગૌચર જમીન સાથે જોડાયેલું છે.ગૌચરની જમીનના અભાવને કારણે પશુઓ જ્યાં ત્યાં ભટકે છે અને નિર્દોષ લોકો અડફેટે ચડે છે. રખડતા પશુ માટેની પોલિસી લાવવાની સાથે ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણોને ખાલી કરાવવા ફરી એક વાર આદેશ અપાયા છે પણ જે રીતે ગૌચર જમીન પર થયેલ દબાણને હટાવવાની કામગીરી ધમધમાટ રીતે થવી જોઈએ તે રીતે થતી નથી.