ગોંડલ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જતા મુસાફરોને મુખ્ય બસપોર્ટ સુધી ધક્કો નહીં ખાવો પડે
નવી વહીવટી કચેરી કાર્યરત થતાં જૂની વહીવટી કચેરીનું ડિમોલિશન, અંદાજે 5 કરોડના ખર્ચે બસ સ્ટેશનનું નિર્માણ થશે
- Advertisement -
નવા બસ સ્ટેશનના નિર્માણ માટે જૂની વહીવટી કચેરીને તોડવાની કામગીરી પૂરજોશમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ એસટી વિભાગ દ્વારા મુખ્ય બસપોર્ટ ઉપરાંત ભાવનગર રોડ ઉપર સેટેલાઈટ બસ સ્ટેશનનું નિર્માણ કરેલું છે. આ જ રીતે હવે ગોંડલ રોડ પર એસટી વર્કશોપની જગ્યા ખાતે ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનું નિર્માણ કરવાની દરખાસ્ત મોકલવામાં આવી છે. અહીં નવી વહીવટી કચેરીનું નિર્માણ થતાં હવે જૂની વહીવટી કચેરીનુ ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યુ છે. ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશન બનતા રાજકોટથી ગોંડલ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર સહિતનાં જિલ્લામાં જવા માગતા મુસાફરોને અહીંથી એસટી બસ મળી રહેશે. એટલે કે, અંદાજે 7,000થી વધુ લોકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે. અંદાજે રૂ. 5 કરોડમાં 2000 ચોરસ મીટર જગ્યામાં ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનું નિર્માણ થશે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપની જગ્યા ખાતે નવી વહીવટી કચેરીનું નિર્માણ થઈ ચૂકયું છે. હવે જૂની વિભાગીય કચેરીને તોડી પાડવા માટેની કામગીરી ચાલી રહી છે. આ જગ્યાએ ગોંડલ રોડ એસ.ટી. બસ સ્ટેશન બનાવવા માટેની દરખાસ્ત રાજ્યના માર્ગ અને પરિવહન વિભાગને કરી દેવામાં આવી છે, જે ટૂંક સમયમાં મંજૂર થઈને આવી જશે.
- Advertisement -
ગોંડલ રોડ એસટી બસ સ્ટેશન બનતા જ અહીંથી રાજકોટથી ગોંડલ, વિરપુર, જેતપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, પોરબંદર તરફની બસ મુસાફરોને મળી રહેશે. સૌરાષ્ટ્રના મુખ્ય ભાગોમાં જતા મુસાફરોને એસટી બસની મુસાફરીનો લાભ અહીંથી જ મળી રહેશે.
ગોંડલ રોડ એસટી બસ સ્ટેશનનું પ્લાનિંગ પ્રગતિમાં છે. મુસાફરોની જે પ્રાથમિક સુવિધા છે એટલે કે ઓનલાઇન રિઝર્વેશન, ઇન્કવાયરી વિન્ડો, વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ, પીવાના પાણી, શૌચાલય સહિતની સુવિધા આવરી લેવામાં આવી છે. હાલ રાજકોટથી ગોંડલ, જુનાગઢ, અમરેલી અને પોરબંદર સહિતનાં રૂટ પરની 240થી 260 ટ્રીપોનુ હાલ સંચાલક થાય છે.
ગોંડલ રોડ અને આસપાસ રહેતા તમામ મુસાફરો આ બસ સ્ટેશનનો લાભ લઇ શકશે.,રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશનનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ હવે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપમાં નવા સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. રાજકોટ એસ.ટી. ડિવિઝનના ક્ધટ્રોલર જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપની 2000 ચો.મી. જગ્યામાં નવા સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવા માટે વડી કચેરીને દરખાસ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત હાલ ઘણા બધા મુસાફરો ગોંડલ ચોકડીએ એસટી બસની રાહ જોઈને ઉભા હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસાની સિઝન દરમિયાન મુસાફરો બસની રાહ જોઈને કલાકો હેરાન થાય છે. જોકે હવે ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશન બનતા આ મુસાફરોની પણ મુશ્કેલી દૂર થશે.
રોજની 240થી 260 જેટલી બસનો સ્ટોપ અપાશે
જે રીતે ભાવનગર, અમરેલી, જસદણ તરફથી આવતી એસ.ટી. બસ માટે ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, તેવી જ રીતે દીવ, ઉના, સોમનાથ-વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, જેતપુર, ગોંડલ તરફથી આવતી એસ.ટી. બસ માટે ગોંડલ રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન તૈયાર કરવાનું આયોજન કરાયું છે. આ સેટેલાઇટ બસ સ્ટેશન બન્યા બાદ તેમાં દરરોજની 240થી 260 જેટલી બસનો સ્ટોપ અપાશે. હાલમાં વડી કચેરી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આ સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવા માટે અંદાજે રૂ.5 કરોડનો ખર્ચ થશે. ગોંડલ રોડ પરના સેટેલાઈટ બસ સ્ટેન્ડ બન્યા બાદ બસપોર્ટનો ટ્રાફિક ઘટશે અને મુસાફરોને વધુ સુવિધા મળશે.