હ્રદયની બિમારીથી પીડિત દિત્યાનું હૃદય ફરીથી પુલકિત થયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જન્મથી લઇને મૃત્યુ સુધીની આરોગ્ય સેવાની સંભાળ લેતી રાજ્ય સરકાર વેરાવળના સવની ગામના ખેતમજૂર પરિવાર માટે દેવદૂત સાબિત થઇ છે. રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા થકી હૃદયની બિમારી સાથે જન્મેલી બાળકી દિત્યાને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે) ટીમની મદદથી સંદર્ભ કાર્ડ થકી નવું જીવનદાન મળ્યું છે.
- Advertisement -
અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંદાજીત રૂ.2.5 લાખના ખર્ચે થતું હ્રદયનું ઓપરેશન સંદર્ભ કાર્ડ થકી વિના મૂલ્યે થયું છે. જેથી હ્રદયની બિમારીથી પીડિત દિત્યાનું હૃદય ફરીથી પુલકિત થયું છે.
વેરાવળના સવની ગામના અસ્મિતાબેને જણાવ્યું હતું કે, મારી પ્રથમ ડિલિવરી હતી અને સમયસર વેરાવળની પ્રાઇવેટ હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા હતા. જ્યારે સાતમાં મહિને પ્રાઇવેટ હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા અને સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર થકી બાળકને હ્રદયની બિમારી છે. જન્મ બાદ બાળકની યોગ્ય સારવાર થઇ શકે તે માટે સરકારી હોસ્પિટલમાં જ ડિલિવરી કરાવવાનું કહ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને આર.બી.એસ.કે ટીમની મદદથી અસ્મિતાબેન અને પ્રદિપભાઇએ ડિલિવરી માટે અમદાવાદની યુ.એન.મહેતામાં ગયા હતાં. જન્મતા જ બાળકી દિત્યાને હ્રદયની બિમારી સામે આવતા સરકાર દ્વારા અપાતા સંદર્ભ કાર્ડ થકી યુ.એન.મહેતામાં બાળકીના હ્રદયનું ઓપરેશન વિના મૂલ્યે કરાવવામાં આવ્યું હતું અને બાળકીના પરિવારને આવવા-જવા માટે ટિકિટના પૈસા આપવામાં આવ્યાં હતાં.
જન્મતાની સાથે હ્રદયની બિમારી ધરાવતી દિત્યા બાળકી આજે ઓપરેશન બાદ એકદમ સ્વસ્થ છે. સરકારના સંદર્ભ કાર્ડ થકી એક પણ રૂૂપિયા વગર વિના મૂલ્યે ઓપરેશન થઇ જતા બાળકીના માતા-પિતાએ સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
માતા અસ્મિતાબેને વધુમાં કહ્યું કે, અમે ખેત મજૂરી કરીએ છીએ હ્રદયની બિમારીની વાત સાંભળીને જ અમારા પર તો આભ તૂટી પડ્યું હતું અને એવા વિચારો આવતા હતા કે, ઓપરેશનનો ખર્ચે કેટલો થશે, આટલા રૂૂપિયા ક્યાંથી લાવશું પણ, સરકાર અમારી મદદે આવી અને આરોગ્ય વિભાગના સંદર્ભ કાર્ડ થકી એક પણ રૂૂપિયાના ખર્ચ વગર વિનામૂલ્યે ઓપરેશન થઇ ગયું છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં હ્રદયનું ઓપરેશન કરાવ્યું હોત તો રૂ.2.5 લાખનો ખર્ચ થયો હોત પરંતુ અમને વિનામૂલ્યે ઓપરેશન સાથે આવવા-જવાનું ટીકીટ ભાડૂં પણ સરકાર દ્વારા અપાયું છે.
ઉલ્લેખનીય છે કે, એક પણ ગરીબ-મધ્યમવર્ગીય નાગરિક આરોગ્ય સેવાથી વંચિત ન રહે અને સમયસર તમામ પ્રકારની આરોગ્ય સેવા નિ:શુલ્ક મળી રહે તે માટે સરકાર દ્વારા સંદર્ભ કાર્ડ યોજના અમલી કરાયેલી છે. જેના થકી અનેક બાળકોને નવજીવન પ્રાપ્ત થયું છે. સંદર્ભ કાર્ડ યોજનાનો લાભ મેળવીને અનેક બાળકો વિવિધ રોગથી છૂટકારો મેળવીને પરિવાર સાથે હસીખુશી જીવન વ્યતિતકરીરહ્યાછે.