150 ફૂટ રિંગ રોડ પર ચંદ્ર પાર્કમાં રહેતા વૃદ્ધ પટેલ દંપતીની મરણમૂડી સમાન દુકાન 12 વર્ષથી પચાવી પાડી હતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં 24 કલાકમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ બીજો ગુનો નોંધાયો છે. સાધુ વાસવાણી રોડ પર ગુલ મહોર બંગલોમાં શિક્ષીકા અને તેના પતિએ બંગલો પચાવી પાડયા બાદ વધુ એક ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે. જે મુજબ પટેલ વૃઘ્ધ દંપતિની કાલાવડ રોડ પર આવેલી સોનાની લગડી સમાન દુકાન પર બાર વર્ષથી કબ્જો જમાવી દુકાન પચાવી પાડનાર નવા થોરાળાના રાજુ સોલંકીની ધરપકડ કરાઇ છે.
મુજબ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ચંદ્રપાર્કમાં રહેતા અને નિવૃત જીવન જીવતા હેમલતાબેન અરજણભાઈ બોરડ (પટેલ) (ઉ.વ.62)એ નાનામવામાં રવિ ટાવર નામની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પોતાની દુકાન રાજેશ્વર ઉર્ફે રાજુ મનુ સોલંકી (રહે. વિજયનગર સોસાયટી શેરી નં.10/8ના ખૂણે, નવા થોરાળા)ને 2008માં ભાડેથી આપી હતી. જેમનું ભાડું પણ આરોપી ચૂકવતો ન હોય જેથી હેમલતાબેને આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે કલેકટરને અરજી આપી હતી. જે અરજી મામલે તા.10 જૂનના રોજ કલેકટરના અધ્યક્ષ સ્થાને કમિટીની બેઠક મળી હતી.
જેમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાનો હુકમ થતા આજ રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રબિંગ એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુ તપાસ પશ્ચિમ વિભાગના એસીપી પ્રમોદ કે. દિયોરા ચલાવી રહ્યા છે.
ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે, 2004 માં આ દુકાન અમે અંજલીબેન ચેતનભાઇ દેસાઇને ભાડે આપેલ હતી. આ દુકાન પર લોન હોવાથી તેના હપ્તા ચડી જતા 2009માં રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંક દ્વારા દુકાન સીલ કરી દેવાઈ હતી અને લવાદ કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે રાજુ સોલંકીએ દુકાનનો કબ્જો હોવાથી ત્રીજા પક્ષકાર તરીકે જોડાવા અપીલ કરી હતી અને કોર્ટ સમક્ષ પોતાની રોજી રોટી બંધ થશે તેવી અપીલ કરી.
- Advertisement -
રૂ.2.25 લાખની લોન પોતે ત્રણ હપ્તામાં ભરશે તેમ કહ્યું હતું લેન ક્લિયર થયા બાદ અમે દસ્તાવેજો લઈ કોર્ટમાં સિવિલ દાવો કર્યો હતો. આ બાદ પણ દુકાન ખાલી ન કરી આરોપીએ કબ્જો જમાવી અન્ય કોઈ વ્યક્તિને આપી જમીન લે વેચની ઓફિસ શરૂ કરી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.