તર્પણની છાતીનાં ભાગે એક ડૉક્ટરને ઝખ્મોનાં ત્રણ નિશાન દેખાયા. એ ઘા ઉંડા હતા પણ તાજા ન હતા. ડૉક્ટરોએ ઝખ્મ પર આંગળી વડે સ્પર્શ કર્યો અને થોડું વજન આપ્યું. બેભાન અવસ્થામાં પડેલા તર્પણનું આખું શરીર ધ્રુજી ઉઠયું. જાણે તેને ધનુરવા થયો હોય એમ તેનાં પગ અને માથું તો ખાટલાં પર જ રહ્યાં પણ શરીર વચ્ચેનાં ભાગથી ઉંચુ થઈ ગયું
મુંબઈની વિખ્યાત હોસ્પિટલ ‘લાઈફ લાઈન’ના ફર્સ્ટ ફ્લોર પર આવેલાં ઈન્ટેન્સિવ કેર યુનિટનું વાતાવરણ ગંભિર હતું. આમ પણ આઈ.સી.યુ. સ્થળ જ એવું છે કે તેમાં પ્રવેશતાવેંત વિનોદી માણસ હાસ્ય ભૂલી જાય અને સ્વસ્થ વ્યક્તિનાં હાર્ટબીટસ સામાન્ય ના રહે. એમાં પણ અત્યારે તો મામલો કંઈક વધુ જ સંવેદનશીલ હતો. મુંબઈના ટોચના ડૉક્ટર્સની ટીમ તર્પણની સારવારમાં તૈનાત હતી. નર્સ, વોર્ડબોય, ડૉક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફની ચાલતાં ગતિ હતી. ચહેરા પર ટેન્શન. રખેને તર્પણને કશુંક થઈ જશે તો પોતે દેશને શો જવાબ આપશે, એવી ચિંતા એ ટીમનાં લગભગ દરેક ડૉક્ટરને સતાવતી હશે. સારવારમાં લાગેલાં ડૉકટર્સએ હજુ સુધી તર્પણની તબિયતની ગંભિરતા અંગે ફોડ પાડી કશું કહ્યું ન હતું. આઈ.સી.યુ.માં વિવેક અને પુરૂષોતમ હાજર હતાં. પણ, ડૉક્ટરને એમની હાજરી ખૂંચતી હોય એવું લાગતું હતું. તર્પણની છાતીનાં ભાગે એક ડૉક્ટરને ઝખ્મોનાં ત્રણ નિશાન દેખાયા. એ ઘા ઉંડા હતા પણ તાજા ન હતા. ડૉક્ટરોએ ઝખ્મ પર આંગળી વડે સ્પર્શ કર્યો અને થોડું વજન આપ્યું. બેભાન અવસ્થામાં પડેલા તર્પણનું આખું શરીર ધ્રુજી ઉઠયું. જાણે તેને ધનુરવા થયો હોય એમ તેનાં પગ અને માથું તો ખાટલાં પર જ રહ્યાં પણ શરીર વચ્ચેનાં ભાગથી ઉંચુ થઈ ગયું. પુરુષોત્તમથી રહેવાયું નહીં. ડૉક્ટરને તેણે કહ્યું :
- Advertisement -
‘સાહેબ, એ ઝખ્મ તેને જન્મથી છે, વજન અપાય તો એને અસહ્ય દર્દ થાય છે…’
‘આઈ સી…’, ડૉક્ટરે પ્રતિભાવમાં કહ્યું. પરંતુ એટલું કહ્યાં પછી તેમણે પુરુષોત્તમ ભણી જે નજરથી જોયું તેમાં ભારોભાર અણગમો હતો. ડૉકટર્સની ટીમ વિવેક-પુરુષોત્તમની હાજરીથી ડિસ્ટર્બ થઈ રહી હતી. પણ એ બેઉને આઈ.સી.યુ. છોડી, તર્પણને એકલો મૂકી જવાનું મન ન હોય એવું લાગતું હતું. એમને તર્પણની ચિંતા હતી. ખુબ જ ચિંતા. જો કે, ડૉક્ટરએ બેઉને આઈ.સી.યુ. છોડવાનું સ્પષ્ટ કહેવું ન પડયું. લોકશક્તિ પાર્ટીનો એક યુવા હોદ્દેદાર આઈ.સી.યુ.માં અચાનક ધસી આવ્યો અને તેણે પુરુષોત્તમને કાનમા કંઈ વાત કહી. પુરુષોત્તમએ આંખોથી ઈશારો કરી વિવેકને આઈ.સી.યુ.ની બહાર આવવા કહ્યું. ત્રણેય ઝડપભેર બહાર નીકળી ગયા.
‘સાહેબ ! જાહેરસભાની ભાગદોડમાં બાર મોત થયા છે અને સવાસો લોકોને નાની-મોટી ઈજા છે…’ પેલાં કાર્યકરે હાંફતા સ્વરે કહ્યું અને ઉમેર્યું :
‘પોલીસ કમિશનર કે. શ્રીરામએ હમણાં ન્યૂઝ ચેનલોને કહ્યું કે આખી ઘટના પાછળ રાજકીય કાવતરું હોય એવું તેમને પ્રથમદર્શી પુરાવાઓ પરથી લાગી રહ્યું છે..!’
વિવેકના ચહેરા પર દુ:ખનાં ભાવ પ્રસરી ગયા હતા,. પુરુષોત્તમ એકદમ ઉકળી ઉઠયો હતો. તેણે બહુ આક્રોશ સાથે કહ્યું : ‘…એક વખત તર્પણ સાજો થઈ જાય પછી એમને ભરી પીશું…’
‘કાશ, આ જાહેરસભામાં આપણે પણ હાજર હોત ! મેં તર્પણને કહ્યું હતું કે મુંબઈની સભામાં હું અને પુરુષોત્તમ હાજર રહીએ… પણ તેણે મને ઔરંગાબાદની અને તને નાસિકની સભા લેવાં મોકલ્યો. આપણે હાજર હોત તો કમસે કમ તર્પણને તો આંચ પણ ન આવવા દીધી હોત !’ વિવેકની વાત હજુ અધુરી હતી ત્યાં આઈ.સી.યુ.માંથી ડૉક્ટર મહેતા તેમની તરફ તેજ ગતિથી આવ્યાં. એમણે વિવેક સામે જોયું અને દબાતા સ્વરે કહ્યું :
“જુઓ, હું તમને કોઈ ખોટા આશ્ર્વાસનો નહીં આપું. અમારાં તમામ પ્રયત્નો છતાં મિસ્ટર તર્પણની તબિયતમાં જેટલો સુધારો થવો જોઈએ એટલો થઈ નથી રહ્યો.”
‘તો તમારાં પ્રયત્નો વધારી દો, ડૉક્ટર ! જગતનાં શ્રેષ્ઠતમ ડૉકટર્સની ફોજ બોલાવી લો… તર્પણના પ્રાણનું મૂલ્ય આ દેશ માટે કેટલું છે એ તમને ખ્યાલ છે, મહેતા સાહેબ?’ ડૉક્ટરની વાત વચ્ચે જ કાપી પુરુષોત્તમ તાડુક્યો.
‘યસ ! આઈ કેન અન્ડરસ્ટેન્ડ ! અમારાં પ્રયત્નો ઓછાં નથી છતાં અમે અમેરિકાના કેટલાંક ઈન્ટેન્સિવિસ્ટની ઈન્ટરનેટ દ્વારા સલાહ લઈ રહ્યાં છીએ. તર્પણજીનું મૂલ્ય મને ખ્યાલ છે, સાહેબ ! પણ, હું તમને એટલું જ કહીશ કે, કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માટે તમે માનસિક તૈયારી રાખજો !’
ડૉક્ટર મહેતા શું કહેવા માંગતા હતા એ સમજતા વિવેક અને પુરુષોત્તમને વાર ન લાગી.
ડૉક્ટર મહેતા ત્વરાથી આઈ.સી.યુ.માં જતા રહ્યાં. પરંતુ એમના છેલ્લાં વાક્યએ વિવેકને અને પુરુષોત્તમને હચમચાવી મૂક્યાં હતા. નજીકની બેન્ચ પર પુરુષોત્તમ લગભગ ફસડાઈ પડયો. વિવેકની હાલત પણ બહુ સારી નહોતી. છતાં એ પુરુષોત્તમ તરફ સરક્યો, તેનાં ખભા પર હાથ મૂકી એ બોલ્યો : ‘ડોન્ટ વરી, પુરુષોત્તમ. હી વિલ બી ઓલરાઈટ ! એને સાજો થતાં વાર નહીં લાગે’ પોતાનાં આશ્ર્વાસન પર જો કે વિવેકને ખૂદને જ ઝાઝો ભરોસો નહોતો. એનાં અવાજમાં ઢીલાશ હતી, આત્મવિશ્ર્વાસ નહોતો.
લોકપ્રિયતાની દૃષ્ટિએ તર્પણ પછી કોઈનું નામ લેવાતું હોય તો એ પુરુષોત્તમ હતો. તર્પણએ જો પુરુષોત્તમનું નામ સૂચવ્યું હોત તો વિદ્યાર્થીઓ આટલો લાંબો-પહોળો વિચાર પણ ના કરતા હોત ! થોડી ક્ષણો સુધી એ ઓરડામાં મૌન પડઘાતું રહ્યું
- Advertisement -
“મિત્રો, તમારી લાગણી બદલ હું તમારાં
સૌનો આભાર માનું છું, મને ખ્યાલ છે કે યુનિવર્સિટીમાં અગાઉ ક્યારેય કોઈને સિલેકશન થકી જનરલ સેક્રેટરી બનવાનું સદભાગ્ય સાંપડયું નથી. પરંતુ, મને નથી લાગતું કે હું આ પદ સારી રીતે સંભાળી શકીશ. પ્લીઝ… તમે કોઈ બીજો વિકલ્પ વિચારો..!”
પુરૂષોત્તમએ વિવેક સામે જોયું અને અત્યંત ઢીલા સ્વરે એ ધીમેથી બોલ્યો :
‘વિવેક, આપણું સ્વપ્ન- જે તે, મેં અને તર્પણએ ઉછેર્યું હતું- શું અધુરું જ રહી જશે? તને યાદ છે ને, તેનું બીજ આપણાંમાં તર્પણએ જ રોપ્યું છે !’
એ બીજ એમની ભીતર ક્યારે રોપાઈ ગયું એ પણ બેઉને ખ્યાલ નહોતો રહ્યો. કોઈ ધસમસતા પ્રવાહમાં જાણે તણખલું વહી રહ્યું હોય એમ તર્પણના ઉમદા આદર્શવદિ વિચારોમાં તેઓ છેક કોલેજકાળથી જ વહી ગયા હતા. પુરુષોત્તમ ભૂતકાળની એ સ્મૃતિઓમાં સરી પડયો હતો.
દિલ્હી યુનિવર્સિટીમાં એ સમયે પણ તર્પણ, વિવેક અને પુરુષોત્તમની ત્રિપૂટી મશહૂર હતી. આર્ટસમાં માસ્ટર્સ કરી રહેલાં તર્પણને બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થી, વિવેક સાથે અને પોતાનો જ ક્લાસના પુરુષોત્તમ સાથે ગાઢ દોસ્તી હતી. વિદ્યાર્થીઓની નાની-મોટી સમસ્યાઓ બાબતે તર્પણ હંમેશા સજાગ રહેતો. એટલે જ યુનિવર્સિટીના જનરલ સેક્રેટરીની ચૂંટણી આવે ત્યારે બધાની નજર એ પદ માટે તર્પણ તરફ જ ગઈ. આ પદ પર પહોંચવાની તમન્ના દરેક વિદ્યાર્થી નેતાને હોય જ એ સ્વાભાવિક ગણાય. પરંતુ દરેક પક્ષના છાત્ર નેતાઓ એ વાત જાણતા હતા કે તર્પણના નામનો વિરોધ એટલે સામા પુરે તરવા જેવું કાર્ય ગણાય. વિદ્યાર્થી નેતાઓની હાજરીમાં જ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ નાની એવી બેઠક બોલાવી હતી જેમાં સૌએ સર્વાનુમતે ‘ઈલેકશન’ને બદલે ‘સિલેકશન’થી તર્પણની જનરલ સેક્રેટરી તરીકે વરણી કરવાનું નક્કી કર્યું.
વાજતેગાજતે વિદ્યાર્થીઓનું એક નાનકડું પ્રતિનિધિમંડળ તર્પણ શર્માનાં રૂમ પર પહોંચ્યું. રૂમ પર તર્પણ ઈન્ટરનેટ સર્ફિંગમાં વ્યસ્ત હતો અને વિવેક એક ખુરસી પર બેસી કોઈ અંગ્રેજી સામયિક વાંચી રહ્યો હતો. પેલા પાંચ-સાત સભ્યોનો ડેલીગેશનમાંથી એક વિદ્યાર્થીએ તર્પણને તેમનાં નિર્ણય વિશે જણાવ્યું. એમની વાત શાંત ચીત્તે સાંભળ્યા પછી તર્પણએ પોતાનો નિર્ણય જણાવ્યો :
“મિત્રો, તમારી લાગણી બદલ હું તમારાં સૌનો આભાર માનું છું, મને ખ્યાલ છે કે યુનિવર્સિટીમાં અગાઉ ક્યારેય કોઈને સિલેકશન થકી જનરલ સેક્રેટરી બનવાનું સદભાગ્ય સાંપડયું નથી. પરંતુ, મને નથી લાગતું કે હું આ પદ સારી રીતે સંભાળી શકીશ. પ્લીઝ… તમે કોઈ બીજો વિકલ્પ વિચારો..!”
‘તર્પણ શર્માનો વિકલ્પ કોઈ હોઈ જ ના શકે’ એક વિદ્યાર્થીએ મક્કમતાપુર્વક કહ્યું. બાકીના વિદ્યાર્થીઓએ પણ તેની વાતમાં સૂર પુરાવ્યો.
‘તને વાંધો શો છે, છેવટે?’ એક વિદ્યાર્થીએ પૂછયું અને વિવેક તરફ જોઈને કહ્યું.
‘તું જ સમજાવ. વિવેક એને. કદાચ તારી વાત માની લેશે.’
વિવેકએ તર્પણ ભણી જોયું. એ કંઈ બોલવા જાય એ પહેલાં જ તર્પણએ કહ્યું :
‘દોસ્તો ! તમે મારી એક વાત માનશો? તમને જો ખરેખર મારી લાગણીની કદર હોય તો તમે મારી વાત માનવાનો ઈન્કાર નહીં કરો એવો મને વિશ્ર્વાસ છે.’
વિદ્યાર્થીઓએ એકબીજા તરફ નિહાળ્યું. એમાંના એક વિદ્યાર્થીએ કહ્યું :
‘ઓકે, તર્પણ. તું કહે… એની થિંગ ફોર યુ’
‘…તો સાંભળો, દોસ્તો ! આવું પદ સંભાળવા માટે ચોક્કસ પ્રકારનાં ટેમ્પરામેન્ટની જરૂર પડે છે. મારા સ્વભાવમાં એ નથી. હું પ્રામાણિકપણે માનું છું કે આ વિશ્ર્વવિદ્યાલયમાં જનરલ સેક્રેટરીના પદ માટે કોઈ લાયક વ્યક્તિ હોય તો એ છે, વિવેક !’
તર્પણની વાત સાંભળી પેલા વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા. તર્પણને પદ સ્વીકારવાની ના કહી ત્યારે તેમને જેટલો આંચકો નહોતો લાગ્યો એટલો આ સાંભળીને લાગ્યો. તર્પણને શો જવાબ આપવો એ એમને સમજાતું નહોતું. એમાંથી કોઈએ કલ્પના સુધ્ધાં કરી નહોતી કે તર્પણનો પ્રતિભાવ આવો હશે. હા ! કેટલાંકને એવી શંકા જરૂર હતી કે એ કદાચ પદ સ્વીકારવાની ના કહેશે પરંતુ પોતાનાં બદલે વિવેકનું નામ સૂચવશે એવું તો કોઈએ વિચાર્યું નહોતું. લોકપ્રિયતાની દૃષ્ટિએ તર્પણ પછી કોઈનું નામ લેવાતું હોય તો એ પુરુષોત્તમ હતો. તર્પણએ જો પુરુષોત્તમનું નામ સૂચવ્યું હોત તો વિદ્યાર્થીઓ આટલો લાંબો-પહોળો વિચાર પણ ના કરતા હોત ! થોડી ક્ષણો સુધી એ ઓરડામાં મૌન પડઘાતું રહ્યું. તર્પણ સિવાયના બધાં જ અસમંજસમાં હતા. ખૂદ વિવેક પણ. એનાં માટે પણ આ વાત સાવ અચાનક આવી પડી હતી.
‘દોસ્તો, છાત્ર શક્તિ કરતાં વધુ મહત્વ રાષ્ટ્ર શક્તિનું છે. દેશનાં દુશ્મનોના મોત પર આતશબાજી કરવાને બદલે તેનો વિરોધ કરવાનું આપણાં ગળે ઉતરતું નથી. જે ઠાર મરાયા છે એ વિદ્યાર્થીઓના રૂપમાં ઘાતકી આતંકવાદીઓ હતા. એમના મોતની ઉજવણી હોય, માતમ શાનો?’
પાના નં. 3થી ચાલું…
આ વિશે અગાઉ તેને ક્યારેય તર્પણ સાથે ચર્ચા થઈ નહોતી. વાત છેવટે તો તર્પણએ જ આગળ વધારી :
‘હું જવાબદારીથી નાસતો હોઉ એવું નથી, દોસ્તો ! પરંતુ, મને લાગે છે કે દરેક વ્યક્તિમાં કેપ્ટનશિપ મટીરિયલ હોતું નથી. ક્રિકેટની ભાષામાં સમજાવું તો, સચિન તેન્ડુલકર નિર્વિવાદપણે ભારતનો સર્વકાલીન શ્રેષ્ઠતમ બેટસમેન હતો, તેની અને ધોનીની બેટિંગ વચ્ચે તૂલના જ ન થઈ શકે. પણ, ધોની ઈઝ અ બેટર કેપ્ટન ધેન સચિન. હવે, તમે વિચારો કે, શું ધોની કેપ્ટન બની જાય તેથી ટીમ માટે સચિનની કોઈ ભૂમિકા રહેતી જ નથી? રહે છે. દોસ્તો, હું એમ નથી કહેતો કે હું સચિન જેટલો મહાન છું પરંતુ એક ટીમ ત્યારે જ મજબૂત બની શકે જ્યારે તેનો પ્રત્યેક સભ્ય પોતાના ‘રોલ’ વિશે સજાગ હોય. મને બરાબર ખ્યાલ છે કે મારી ભૂમિકા શી છે. આ જવાબદારી વહન કરવામાં હું વિવેકને હંમેશા યાદ કરતો રહીશ. વિવેક આ પદ પર બેસે તો સમજવું કે હું જ બેઠો છું. અમે બેઉ અલગ નથી. એને, તમને, કોઈને પણ મારી જરૂર પડે તો હું ક્યાં તમારાથી દૂર છું !’ પેલા વિદ્યાર્થીઓ પાસે હવે કોઈ દલીલો બચી નહોતી.
‘ઓ.કે. ગોટ ઈટ. જેવી તારી ઈચ્છા, તર્પણ ! પરંતુ અમારાં બધાંની અપેક્ષા એવી રહેશે કે દરેક મુદે તું અમારી સાથે ઈન્વોલ્વ હોય !’ એક વિદ્યાર્થી બોલ્યો.
‘કમ ઓન, ભાઈઓ ! હું કહું છું જ ને ! મારૂં ઈન્વોલ્વમેન્ટ હશે જ. આઈ પ્રોમિસ, ક્યાંકથી ગીતા લઈ આવો તો તેનાં પર હાથ મૂકીને કસમ ખાઈ લઉં !’ તર્પણે હળવી કમેન્ટ કરી. ત્યાં જ પેલા વિદ્યાર્થીમાંનો એક બોલ્યો :
‘તર્પણ ! બંધુ, ભદવદ્ ગીતા તો અહીં કદાચ કોઈના રૂમમાંથી નહીં નીકળે પરંતુ તું કહેતો જ હોય તો પેલી થર્ડ ઈયર બી.કોમવાળી ગીતા ચોપરાને લઈ આવું ! તું પણ કસમ ખાઈ લેજે અને અમે પણ તેનાં પર હાથ મૂકીને વિવેકને અમારો નેતા માનવાના કસમ લઈશું !’
બધા ખડખડાટ હસી પડયાં. ત્યાં જ વિવેક બોલ્યો :
‘હા ! તમે બધાં તેનાં માથા પર હાથ મૂકી કસમ લેજો. પરંતુ હું જનરલ સેક્રેટરીના શપથ તેનાં ગાલ પર હાથ મૂકીને લઈશ !’
વિવેકની ટિપ્પણીથી એ નાનકડાં રૂમમાં દોસ્તોના મુક્ત હાસ્યનાં જાણે મોજા ઉછળ્યાં.
ત્રીજા દિવસે વિવેકની વરણી દિલ્હી યુનિવર્સિટીના જનરલ સેક્રેટરીના પદ પર થઈ ચૂકી હતી. વિદ્યાર્થી નેતા હબિબ મોહમ્મદ સિવાય કોઈને તેનાં નામ સામે વાંધો નહોતો. પરંતુ તર્પણની સમજાવટ પછી હબિબ અંતે માની ગયો. હબિબ ભલે વિવેકની કે પુરુષોત્તમની માફક તર્પણની બહુ નજીક ના હોય, તેની ટેલેન્ટથી તર્પણ પ્રભાવિત હતો. એ બ્રિલિયન્ટ હતો, ઉમદા વાચક હતો પરંતુ વધુ પડતો જિદી, આકરાં સ્વભાવનો અને કદાચ કોમવાદી પણ ખરો. રાજનીતિના દાવપેચ તેને બરાબર માલુમ રહેતા. ચૂંટાયા પછીનાં ગણતરીના દિવસોમાં જ વિવેકને હબિબનો પરિચય મળી ગયો હતો.
એ દિવસે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. જૂની દિલ્હીના એક અત્યંત ગીચ વિસ્તારનાં દિલ્હી પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડએ એક અભૂતપૂર્વ ઓપરેશન કર્યું હતું. બન્યું એવું કે આ ગીચ વિસ્તારના એક જુનવાણી મકાનમાં વિદ્યાર્થી તરીકે રહેતા કેટલાંક મુસ્લીમ યુવાનો ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એવી બાતમી પોલીસને મળી હતી. પોલીસએ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે તેમાંના કેટલાંક યુવાનો દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં ભણતા હતા. કહો કે, ભણવાનો દેખાડો કરતા હતા. એમની અસલ પ્રવૃત્તિ દેશનાં વિવિધ મહાનગરોમાં સીરિયલ બ્લાસ્ટ કરવાની હતી. પોલીસએ એક સવારે એ મકાનને ચોતરફથી કોર્ડન કરી લીધું. બે જવાનોને તેમણે પેલા જુનવાણી મકાનની અંદર મોકલ્યાં. એ જવાનો જેવાં મકાનમાં પ્રવેશ કરવા ગયા કે અંદરથી ધાણીફુટ ગોળીબાર શરૂ થયો. જે રીતે ફાયરિંગ થઈ રહ્યું હતું એ જોઈને પોલીસ અધિકારીઓને ખ્યાલ આવી ગયો હતો કે ત્રાસવદિઓ પાસે ક્લાશનિકોવ રાયફલ જેવાં આધુનિકતમ હથિયારો છે. પોલીસએ પણ બહુ વ્યૂહાત્મક પોઝિશન મેળવી લીધી હતી. આસપાસનાં મકાનોની અગાસીનો અને ઝરૂખાઓનો પોલીસએ બખૂબી ઉપયોગ કર્યો. અથડામણ લાંબી ચાલી પરંતુ સાતેક કલાકનાં અંતે પોલીસએ તમામ સાત આતંકવાદીઓને ઠાર કર્યા. પોલીસનાં બે કોન્સ્ટેબલ અને એક સબ ઈન્સ્પેકટર શહીદ થયા. એ જુનવાણી મકાનના એક ઓરડામાંથી પોલીસ નવીનતમ શસ્ત્રો, દેશના અનેક મહાનગરોનાં નકશાઓ વગેરે હાથ લાગ્યું. એક તરફ આખો દેશ જ્યારે પોલીસની બહાદુરીને સલામ કરી રહ્યો હતો ત્યારે બીજી તરફ કેટલાંક લોકો આ બનાવનો રાજકીય ફાયદો ઉઠાવવા થનગની રહ્યાં હતાં.
ઓપરેશનના બીજા જ દિવસે ચોક્કસ તત્વોએ એવી થિયરી વહેતી કરી કે પેલાં મૃતક યુવાનો નિર્દોષ હતાં, તેમને ત્રાસવાદી પ્રવૃતિ સાથે કોઈ જ સંબંધ નહોતો. જામિયા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મુખ્તાર અહેમદએ પેલા વિદ્યાર્થીઓ પાછળ શોકસભાનું આયોજન કર્યું, જેમાં તેમણે સાઈનાઈડ ઓકતું વક્તવ્ય આપ્યું તથા પોલીસ કાર્યવાહિ સામે આંગળી ચીંધી. દેશના માનવ સંસાધન વિકાસ ખાતાના કેદ્રીય મંત્રી કરનસિંહએ પણ વાઈસ ચાન્સેલર મુખ્તાર અહેમદને સમર્થન આપ્યું. રાજનીતિનો તમાશો ચરમસીમા પર હતો ત્યાં જ જામિયાના સ્ટુડન્ટ યુનિયનએ ત્રણ દિવસની હડતાલની જાહેરાત કરી. હબિબ મોહમ્મદ પાસે આ સમાચાર આવતાં જ તેણે વિવેકને ફોન જોડયો અને આ સંદર્ભે વિદ્યાર્થી નેતાઓની બેઠક બોલાવવા કહ્યું. બરાબર ત્રણ કલાક પછી લગભગ ડઝનેક જેટલાં વિદ્યાર્થી નેતાઓ કેમ્પસમાં આવેલાં પાર્કમાં એકઠા થઈ ચૂક્યાં હતાં.
પેલા યુવાનો જો ત્રાસવાદી હતાં તો તેને સજા આપવાનું કામ અદાલતનું હતું. તેઓ આતંકવાદી હતા એવું સાબિત કરવાની જવાબદારી પોલીસની હતી અને પોતે ત્રાસવાદી નથી એ સાબિત કરવા મથવું એ પેલાં મૃતક યુવાનનો અબાધિત અધિકાર હતો
‘પુરુષોત્તમ ! તારે વ્યાખ્યા ગળે ઉતારવાની જરૂર નથી, તારે ચા ગળે ઉતારવાની આવશ્યકતા છે ! યુ બેડલી નીડ અ બ્રેક. અ ટી બ્રેક. ચાલો આપણે સૌ ચાનાં ઠેલાં પર પહોંચીએ.’ પુરુષોત્તમની વાત તર્પણએ ઉડાવી દીધી અને સૌ ચાલ્યા ચા પીવા. પાંચ મિનીટ પછી બધાનાં હાથમાં ચાની પ્યાલી હતી
‘હું દૃઢપણે માનું છું કે આપણે જામિયાનાં સ્ટુડન્ટ યુનિયનને ટેકો આપી, ત્રણ દિવસની સ્ટ્રાઈકમાં જોડાવું જોઈએ. આજે જામિયાના વિદ્યાર્થીઓ ઠાર મરાયા છે, કાલે આપણાં વિદ્યાર્થીઓ મરાઈ શકે. આવાં પગલાં આપણી બર્દાશ્તની બહાર છે.’ હબિબ મોહમ્મદએ બહુ ઉગ્ર સ્વરે પોતાની વાત મૂકી.
‘…પણ, જામિયાના વિદ્યાર્થી સાથે બનેલી ઘટના માટે આપણે શા માટે હડતાલ કરવી?’ એક છાત્ર નેતાએ અભિપ્રાય આપ્યો.
હબિબ ઉકળી ઉઠયો : ‘કાલે સવારે આપણો કોઈ વિદ્યાર્થી વગર વાંકે હણાશે ત્યારે જો જામિયા કે અન્ય કોઈ યુનિવર્સિટીનું સ્ટુડન્ટ યુનિયન આવી દલીલ કરશે તો? ત્યારે તમે સાંભળી શકશો? છાત્ર શક્તિ વહેંચાવાથી નથી બનતી, સંગઠ્ઠનમાં જ તાકાત હોય છે. પોલીસને એવો જવાબ મળવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ નિર્દોષ સામે આંખ ઉંચી કરી જોવાની હિંમત ના કરે !’
વિવેક અને તર્પણ શાંત ચીત્તે દલીલો- પ્રતિદલીલો સાંભળી રહ્યાં હતાં. પણ પુરુષોત્તમથી રહેવાયું નહીં. તેણે હબિબ સામે ત્રાંસી નજર કરી કહ્યું :
‘દોસ્તો, છાત્ર શક્તિ કરતાં વધુ મહત્વ રાષ્ટ્ર શક્તિનું છે. દેશનાં દુશ્મનોના મોત પર આતશબાજી કરવાને બદલે તેનો વિરોધ કરવાનું આપણાં ગળે ઉતરતું નથી. જે ઠાર મરાયા છે એ વિદ્યાર્થીઓના રૂપમાં ઘાતકી આતંકવાદીઓ હતા. એમના મોતની ઉજવણી હોય, માતમ શાનો?’
પુરુષોત્તમની સ્પષ્ટ વાતથી ઉપસ્થિત સૌ નેતાઓ હેબતાઈ ગયાં હતાં. વિવેક કશું બોલવા જાય એ પહેલા હબિબએ ફરી વખત મોરચો સંભાળ્યો :
‘તને ખ્યાલ છે, પુરુષત્તમ ! પોલીસ જેને ત્રાસવાદી ગણાવે છે એવાં બે મૃતક યુવાનને તો માથાનાં ઉપરનાં ભાગે- તાળવામાં ગોળીઓ વાગી છે. જરા વિચારી જોજે, પોલીસ અને પેલાં કહેવાતાં ત્રાસવાદીઓ વચ્ચે જો ખરેખર સામસામે ગોળીબાર થયો હોય તો એમને માથાના છેક ઉપરનાં હિસ્સામાં ગોળી કેવી રીતે વાગે? એ પણ પોઈન્ટ બ્લેન્ડ રેન્જથી ! આ ઓપરેશન નથી, ફેક એન્કાઉન્ટર છે. નકલી અથડામણ.’
‘સો વ્હોટ?’ પુરૂષોત્તમ બરાડ્યો. ‘ચાલ તારી વાત માની લીધી કે, પોલીસએ પેલાં બે યુવાનને તો પોઈન્ટ બ્લેન્ક રેન્જથી માર્યા છે. તો શું એમણે કોઈ પાપ કર્યું ગણાય? એ આતંકવાદીઓ હતા એનાં અનેક પુરાવાઓ તેમનાં રૂમ પરથી મળ્યાં છે. બાકીની તમામ વાતો ગૌણ ગણાય. આ દેશમાં, જ્યાં વડા પ્રધાનના ખૂનીઓને સજા દેવામાં પણ દસકા પસાર થઈ જતાં હોય, લોકશાહિના સ્તંભ જેવી સંસદ પર હૂમલો કરનાર પણ નિર્દોષ છૂટી જતાં હોય, સર્વોચ્ચ અદાલતએ આવાં ત્રાસવાદીઓને ફાંસી આપી હોય તો દયાની અરજીનાં નામે તેમની ફાઈલ દસ-દસ વર્ષ દબાવી રાખવામાં આવતી હોય ત્યાં પોલીસ ફોર્સ આવું કામ કરે તો એમાં નવાઈ શી ! આ દેશમાં હજુ પોલીસ કામ કરે છે અને સૈન્યએ બળવો નથી પોકાર્યો એ જ નવાઈ છે, આશ્ર્વાસન છે. દોસ્તો, આપણે પોલીસનું મનોબળ વધારી નથી શકતા, કમસે કમ તેને તોડવાનું પાપ તો ન કરીએ !’
‘પુરુષોત્તમના શરીરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોઈ અગ્રણીનો આત્મા પ્રવેશી ગયો લાગે છે !’ હબિબએ અત્યંત રૂક્ષ સ્વરે- જાણે ચાબખા મારી રહ્યો હોય એવા ટોનમાં કહ્યું.
‘બિલકુલ નહીં ! ભાઈ, મેં ખાખી ચડ્ડી પણ નથી પહેરી અને લીલો શર્ટ પણ નથી પહેર્યો. અહીં ચર્ચા હિન્દુ-મુસ્લીમના સંદર્ભમાં નહીં, દેશદાઝ-દેશદ્રોહના રેફરન્સમાં ચાલી રહી છે. હડતાલ કરો એની સામે મને વાંધો નથી પરંતુ એ સ્ટ્રાઈક પેલાં પોલીસ અધિકારીઓના કમોતનો વિરોધ કરવાં થવી જોઈએ, નહીં કે ત્રાસવાદીઓના મૃત્યુ સામે વિરોધ નોંધાવવા’ પુરુષોત્તમની દલીલો અવિરત ચાલુ હતી. પરંતુ દડો અંતે તર્પણના કોર્ટમાં ગયો.
‘તું જ કહે, તર્પણ ! કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓની નિર્દોષતાનો જે મુદ્દો ઉઠાવ્યો છે એ આપણને સ્પર્શતો નથી? મરનારા યુવાનો જો હિન્દુઓ હોત તો પણ પુરુષોત્તમનું વલણ આવું જ હોય?’ હબિબએ પાસા ફેંક્યા.
‘મને લાગે છે કે હબિબની વાતમાં દમ છે’ વિવેકએ પણ સૂર પુરાવ્યો.
હવે વાત તર્પણ પર છોડવામાં આવી હતી. બંધ આંખે એ ક્યારનો દલીલો સાંભળી રહ્યો હતો. આંખ ખોલી તેણે કહ્યું :
‘મિત્રો, મારા માટે માનવાધિકાર અને માનવતાથી વિશેષ બીજું કશું જ નથી. પેલા યુવાનો જો ત્રાસવાદી હતાં તો તેને સજા આપવાનું કામ અદાલતનું હતું. તેઓ આતંકવાદી હતા એવું સાબિત કરવાની જવાબદારી પોલીસની હતી અને પોતે ત્રાસવાદી નથી એ સાબિત કરવા મથવું એ પેલાં મૃતક યુવાનનો અબાધિત અધિકાર હતો. હત્યા માત્ર એમની જ નહીં, એમનાં અધિકારોની પણ થઈ છે. આપણે સૌ આ હડતાલમાં જોડાઈ રહ્યાં છીએ.’
તર્પણનો ચહેરો ભાવશૂન્ય થઈ ગયો હતો, વિવેકના ચહેરા પર સંતોષ છલકાતો હતો અને હબિબ એકદમ ઝીણું વિજયી સ્મીત ફરકાવી રહ્યો હતો. એનું એ હળવું હાસ્ય બહુ બોલકું હતું. એ હાસ્યમાંથી જાણે પેલા જાંબાજ શહિદ જવાનોનું રૂદન તેને સંભળાતું હતું અને પેલાં આતંકવદિઓનું અટ્ટહાસ્ય તેનાં કાનનાં પર્દા ભેદીને તેનાં દિમાગમાં સફળાઈ રહ્યું હતું. એમાંથી રહેવાયું નહીં એટલે પૂછી બેઠો :
‘દોસ્ત તર્પણ, શું તને લાગે છે કે ત્રાસવાદીઓને માનવાધિકારોનો લાભ મળવો જોઈએ?’
‘કેમ નહીં? એ માનવ નથી?’
‘પણ, માનવભક્ષી માનવીઓને આપણે માનવ કેવી રીતે કહી શકીએ ! બે પગે ચાલવાથી, ભાષા-વાણીની સૂઝ મેળવી લેવાં માત્રથી માનવ બની જવાતું નથી. આવી વ્યાખ્યા મારા ગળે ઉતરતી નથી !’
‘પુરુષોત્તમ ! તારે વ્યાખ્યા ગળે ઉતારવાની જરૂર નથી, તારે ચા ગળે ઉતારવાની આવશ્યકતા છે ! યુ બેડલી નીડ અ બ્રેક. અ ટી બ્રેક. ચાલો આપણે સૌ ચાનાં ઠેલાં પર પહોંચીએ.’ પુરુષોત્તમની વાત તર્પણએ ઉડાવી દીધી અને સૌ ચાલ્યા ચા પીવા. પાંચ મિનીટ પછી બધાનાં હાથમાં ચાની પ્યાલી હતી પરંતુ પુરુષોત્તમના ગળે એ ચા પણ ઉતરતી નહોતી. એણે તર્પણના હાથમાંની પ્યાલી સામે નજર કરી. એને વિચાર આવ્યો :
‘આ તર્પણ… ચાની આ પ્યાલીમાં મારાં કેટલાંય પ્રશ્ર્નો ઘોળીને પી ગયો !’