આધાર કેન્દ્રને ખુલ્લુ મુકાયાને એક મહીનો થવા આવશે પરંતુ હજુ AC લગાવાયા નથી
રાજકોટ મહાનગરપાલિકાના આધાર કાર્ડ કેન્દ્રનું 11 સપ્ટેમ્બરના રોજ પૂર્વ પદાધિકારીઓ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ કેન્દ્ર પર હાલ સાત કીટ કાર્યરત છે શહેરની વચ્ચે જ આ કેન્દ્ર હોવાથી અહીં સૌથી વધુ અરજદારો સુધારા માટે આવે છે જેને લઈને ઘસારો પણ રહે છે પરંતુ આ નવા કેન્દ્રમાં હજુ સુધી એસી નથી નખાયા. જેને લઈને અહીં આવતા અરજદારો અકળાઈ રહ્યા છે જ્યારે સોમવાર અને બુધવારે અહીં વધુ ભીડ જોવા મળે છે.આ આધાર કેન્દ્રયમાં દૈનિક આશરે 200થી વધારે લોકો આધારમાં સુધારવા તથા નવા કઢાવવા માટે આવે છે. વધુ લોકો ભેગા થઈ જવાના લીધે અંદર મૂંઝારો પણ અનુભવાય છે જ્યારે આ કેન્દ્રને ખુલ્લુ મુકાયાને એક મહિનો થવા આવશે પરંતુ તેની પદાધિકારીઓના નામની તક્તી પણ હજુ નથી લગાવાઈ. ઉદ્ધાટન થયા બાદ આ તકતીને સાઈડમાં મુકી દેવાઈ છે ત્યારે આધાર કેન્દ્રમાં જો એસી લગાવવામાં આવે તો અરજદારોને ઘણી રાહત થાય.