ચમત્કારો અને સંપ્રદાય વિના અમર બનેલા મહાત્માની પ્રેરણાદાયી ગાથા
ભવિષ્યમાં સંતને ભગવાન બનાવી મંદિરોમાં પૂજવા પાછળ ચમત્કારો ઘડાય છે, પણ પુનિત મહારાજે કોઈ પંથ સ્થાપ્યા વિના ભક્તિનો સાચો રાહ ચીંધ્યો
- Advertisement -
ભારત સંતોની ભૂમિ છે. અગાઉ પણ સંતો વિષે હું લખી ચૂક્યો છું. પણ આજે વાત કરવી છે ગુજરાતના એક એવા સંતની જેની સંધર્ષકથા ખરેખર વાચવા જેવી છે. એમના પર પુસ્તક લખનાર પણ એવા જ ગુજરાતના લોકપ્રિય મહાત્મા સ્વામી સચ્ચીદાનંદ જ છે. તેમનું તાજેતરમાં જ એક નવું દળદાર પુસ્તક આવ્યું છે. પુસ્તકનું નામ છે – સંત પુનિતનો જીવનસંઘર્ષ.
લેખક શરૂઆતમાં જ જણાવે છે કે બે પ્રકારની કથાઓ પ્રભાવશાળી હોય છે. એક તો સંઘર્ષ કથા અને બીજી કરુણકથા. આ બે કથાઓ સિવાય અન્ય કથાઓ બહુ પ્રભાવશાળી હોતી નથી.
સંત પુનિત મહારાજનો જન્મ 19મે 1908માં જુનાગઢમાં થયો હતો. તેમનું બાળપણનું નામ બાલકૃષ્ણ હતું. તેમનું સમગ્ર જીવન અતિ સંઘર્ષમય વીત્યું. ધાર્મિક ક્ષેત્રમાં મહાનમાં મહાન વ્યક્તિની પ્રસિધ્ધી એક પેઢીમાં સમાપ્ત થઈ જાય છે. ભાગ્ય જ વધીને 2-3 પેઢી સુધી ચાલે છે. લાંબા સમય સુધી એવા જ વ્યક્તિઓ યાદ રહે છે જેણે પંથ કે સંપ્રદાયની સ્થાપના કરી હોય. આવો સંપ્રદાય કે પંથ જ એવા સંત-મહાત્માને અમર કરી દેતા હોય છે. ભવિષ્યમાં તેને સંત કે ગુરુમાંથી ભગવાન બનાવી મંદિરોમાં પૂજવામાં આવે છે. આવી પૂજાનું મુખ્ય આકર્ષણ તેમની સાથે જોડાયેલા ચમત્કારો બની જતા હોય છે. આવા ચમત્કારો મોટે ભાગે ઘડેલા હોય છે. વાસ્તવિકતા સાથે એ ચમત્કારોને ખાસ સંબંધ હોતો નથી. ગુજરાતની પ્રજા ચમત્કાર પ્રેમી છે. એટલે જ્યાં ચમત્કારો દેખાય ત્યાં ભક્તોની મોટી ભીડ જામે છે.
પરંતુ પુનિત મહારજ આ બધાથી અલગ હતા. તેમણે કોઇ પંથ કે સંપ્રદાયની સ્થાપના કરી નથી. તેમણે માત્ર ભગવાનને પૂજય માનીને ભજનો લખ્યા અને ઠેર-ઠેર આખ્યાનો કર્યાં. આ માટે તેનો કોઈ નાણાં લેતા નહીં. નાની-મોટી નોકરી કરીને પોતાનું જીવન ચલાવતા. આજીવન ભાડાના ઘરમાં જ રહ્યા. પોતાની જૂની સાઇકલ પર અમદાવાદની પોળે-પોળે ફરીને ભજનો સંભળાવતા રહ્યા.
તેમણે જ જનકલ્યાણ માસિક શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. જે આજે પણ ગુજરાતનું શ્રેષ્ઠ ધાર્મિક મેગેઝિન છે. તેઓ ઇચ્છતે તો ભગવાનના નામે કથાઓ કે અન્ય વીધીઓ કરી અઢળક સંપત્તિ ભેગી કરી શક્યા હોત, પણ તેઓ માનતા કે ભગવાનના નામનો ઉપયોગ કરી સંપત્તિ ભેગી કરી શકાય નહીં. તેમણે રચેલા યાદગાર ભજનો અને આખ્યાનોમાંથી મળેલી ભેટો કે રકમ પણ તેમણે સમાજસેવાના કાર્યમાં જ વાપરી નાખી હતી. તેમણે જીવનમાં ખૂબ કપરો સમય જોયો હતો. ભૂખનું દર્દ વેઠ્યું હતું. તેથી તેમણે ભાખરીદાન જેવું લોકસેવાનું કાર્ય પણ શરૂ કરાવ્યું હતું.
ભક્તોના આગ્રહથી તેમણે મણીનગરમાં આશ્રમ બનાવ્યો હતો, પણ એક દિવસ પણ તે આશ્રમમાં તેઓ રહ્યા નહીં. તેનું ટ્રસ્ટ બનાવી ત્યાંથી નીકળી ગયા. ત્યાં તેઓ અનેક જનકલ્યાણની પ્રવૃત્તિઓ ચલાવતા રહ્યા. સ્વામી સચ્ચીદાનંદે આવા મહાન સંત ઉપર પુસ્તક લખ્યું છે. તે વાચકોએ ખાસ વાચવું રહ્યું. સ્વામીજીના કહેવા મુજબ આપણે ઘણા વ્યક્તિઓને તેમના મૃત્યુ ઉપરાંત પદ્મ પુરસ્કારો આપ્યા છે. સંત પુનિત મહારાજ પણ એને લાયક છે અને તેમને આ પુરસ્કાર ચોક્ક્સ મળવો જોઇએ. તેમના લખેલા અનેક ભજનો આજે પણ પ્રસિધ્ધ છે. તેઓ માત્ર 54 વર્ષની ઉમરે દેહ ત્યાગ કરી સ્વર્ગવાસી થયા.



