એન્ટિમેટર એટલે કે પ્રતિદ્રવ્યની ફક્ત એક ચપટી આખા શહેરનો ક્ષણભરમાં નાશ કરી શકે એમ છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, 1 ગ્રામ પ્રતિદ્રવ્ય જો સામાન્ય દ્રવ્ય સાથે અથડાઈ જાય તો 43 કિલોટન TNT (Trinitrotoluene- ટ્રાયનાઈટ્રોટોલ્યુઈન) જેટલી ઊર્જા છૂટે છે. હિરોશિમા પર 1945માં ફેંકાયેલો અણુબોમ્બ 15 કિલોટનનો હતો. તેનો અર્થ એ કે એન્ટિમેટર દ્વારા થનારો વિસ્ફોટ હિરોશિમા કરતાં લગભગ ત્રણ ગણો વધુ તીવ્ર હશે અને લાખોનો જીવ લઈ લેશે. TNT એ એક અત્યંત શક્તિશાળી વિસ્ફોટક (Explosive) પદાર્થ છે. તેમાં વિસ્ફોટ થાય, ત્યારે ખૂબ જ ટૂંકા સમયમાં પુષ્કળ ગરમી અને દબાણ પેદા થાય છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, 1 કિલોગ્રામ TNT ફાટવાથી લગભગ 4.184 થી 4.6 મેગાજ્યુલ (MJ) ઊર્જા મુક્ત થાય છે.
આપણું વિશ્વ ‘મેટર’ એટલે કે ‘પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન’થી બનેલું છે. એન્ટિમેટર (પ્રતિદ્રવ્ય) તેની બિલકુલ વિરુદ્ધ છે– જેમ કે ‘ઇલેક્ટ્રોન’નું પ્રતિરૂપ ‘પોઝિટ્રોન’ છે. 1928માં વિજ્ઞાની પોલ ડિરેકે તે આગાહી કરી, એ પછી 1932માં પોઝિટ્રોનની શોધ થઈ હતી. જ્યારે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બંને એકબીજા સાથે અથડાય છે ત્યારે તેઓ સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે અને તેમનું સમગ્ર દળ શુદ્ધ ઊર્જામાં ફેરવાઈ જાય છે. અણુબોમ્બમાં માત્ર 0.1% દળની જ ઊર્જા બને છે, પણ અહીં તો 100% દળ E=mc² અનુસાર ઊર્જામાં રૂપાંતરિત થાય છે, જેને લીધે ખૂબ મોટો વિસ્ફોટ થાય છે. આ પ્રક્રિયામાં એન્ટિમેટરનો કોઈ અવશેષ રહેતો નથી.
- Advertisement -
1 ગ્રામ એન્ટિમેટરમાંથી કેટલી ઊર્જા મળે છે?
1 ગ્રામ પ્રતિદ્રવ્ય અને 1 ગ્રામ સામાન્ય દ્રવ્ય મળીને કુલ 2 ગ્રામ દળ થાય છે. આટલું અમસ્તું દળ પણ ઊર્જામાં ફેરવાય ત્યારે એમાંથી આશરે 1.8 × 10¹⁴ જુલ જેટલી ઊર્જા મળે છે, જે 43 કિલોટન TNT જેટલી થાય છે. હિરોશિમા બોમ્બની સરખામણીમાં આ 3 ગણી વધુ શક્તિ છે.
એન્ટિમેટરનો વિસ્ફોટ મહાનગરમાં થાય તો શું થાય?
- Advertisement -
જો એન્ટિમેટરનો વિસ્ફોટ અમદાવાદ જેવા મહાનગરમાં થાય તો પહેલી જ ક્ષણમાં એક વિશાળ અગનગોળો 500થી 600 મીટર સુધીના વિસ્તારમાં ફેલાઈ જશે. એનું તાપમાન લાખો ડિગ્રી સેલ્સિયસ હશે, જેને લીધે લોખંડ અને કોંક્રીટ પણ પીગળી જશે. માણસો તો તરત જ વરાળ બનીને ગાયબ થઈ જશે. શોકવેવ 4 થી 5 કિલોમીટરના વિસ્તારમાં મકાનો અને વૃક્ષો સહિતનું બધું તોડી નાખશે. એ વિસ્તારની તમામ સંપત્તિ આગમાં ભસ્મ થઈ જશે.
વિનાશના વિવિધ તબક્કા
વિસ્ફોટ જ્યાં થશે ત્યાંથી 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં કંઈ બચશે નહીં. બધી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ જશે, બધે આગ લાગશે, કોઈ જીવ બચી નહીં શકે. 2થી 6 કિલોમીટર વચ્ચેના મકાનો ધરાશાયી થઈ જશે, આગ લાગશે. લોકો ગંભીર રીતે દાઝી જશે. હાડકાં ભાંગી જશે. 6થી 15 કિલોમીટર વચ્ચેના વિસ્તારમાં કાચના ટુકડા ઉડશે. આંખો અને કાનને નુકસાન થશે અને હળવી ઇજાઓ થશે. અમદાવાદ જેવા વસ્તીની વધુ ઘનતાવાળા મહાનગરોમાં લાખો લોકો તરત મૃત્યુ પામશે. બીજા લાખો ગંભીર રીતે ઘાયલ થશે.
અણુબોમ્બ અને એન્ટિમેટર વિસ્ફોટ વચ્ચેનો તફાવત શું?
અણુબોમ્બ ફાટે ત્યારે તાત્કાલિક વિનાશ તો થાય જ છે, પણ લાંબા ગાળે પણ વિનાશનું ચક્ર ચાલતું રહે છે. કિરણોત્સર્ગ ફેલાતાં હવા અને પાણી પ્રદૂષિત થાય છે અને એવા વિસ્તારમાં તાત્કાલિક બચાવ કરવા જનાર પણ કિરણોત્સર્ગનો ભોગ બને છે. જમીનમાં ઉતરી ગયેલા કિરણોત્સર્ગને લીધે વર્ષો સુધી જમીન પ્રદૂષિત રહે છે. ઉદાહરણ- ચેર્નોબિલ.
એન્ટિમેટરના વિસ્ફોટમાં કિરણોત્સર્ગ ફેલાતા નથી. એમાં ફક્ત તાત્કાલિક ગામા કિરણો અને અત્યંત ગરમી સર્જાય છે. જેને લીધે જમીન, પાણી અને હવા ઝેરી બનતાં નથી. તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને પુનઃનિર્માણ વધુ સરળ બની શકે છે.
વિસ્ફોટ પછીના પરિણામો
એન્ટિમેટરનો વિસ્ફોટ થાય તો પહેલા 24 કલાકમાં આગને કાબૂમાં લાવવી લગભગ અશક્ય હશે અને હવાઈ મદદ પણ મુશ્કેલ બનશે. લાખો લોકો ઘર વિહોણા થઈ જશે, હોસ્પિટલો અને માળખાગત સુવિધાઓ નાશ પામશે અને વીજળી તેમજ પાણીનો પુરવઠો પૂર્ણપણે બંધ થઈ જશે. કાટમાળ સાફ કરવામાં અને ઘાયલોની સારવારમાં વર્ષો લાગશે. અર્થતંત્રને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થશે. પુનઃસ્થાપનમાં દાયકાઓ લાગી શકે છે.
આ હથિયાર વૈશ્વિક જોખમ સર્જશે?
આવું એક હથિયાર વિશ્વભરમાં આતંક ફેલાવી દેશે. કોઈ દેશ પોતાને સુરક્ષિત માની શકશે નહીં. સારી વાત એ છે કે તેમાં અણુબોમ્બ જેવું લાંબા ગાળાનું કિરણોત્સર્ગ નહીં હોય, જેથી પર્યાવરણ પરની અસર તુલનાત્મક રીતે ઓછી રહેશે.
એન્ટિમેટર બનાવવું કેટલું સરળ, કેટલું મુશ્કેલ?
સ્વિટ્ઝર્લેન્ડના CERN (યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ)ની એન્ટિમેટર લેબોરેટરીમાં વિજ્ઞાનીઓ પ્રતિ-હાઇડ્રોજન અણુઓ બનાવે છે. નવેમ્બર, 2025માં નવી કૂલિંગ તકનીકથી 7 કલાકમાં 15,000 અણુઓ બનાવવામાં આવ્યા હતા, જે પહેલાંના સમય કરતાં 8 ગણા વધુ ઝડપી છે. 2023-24માં કુલ 20 લાખથી વધુ અણુઓ ઉત્પન્ન થયા હતા. પરંતુ 1 ગ્રામ એન્ટિમેટર બનાવવા માટે આશરે 6 × 10²³ અણુઓ જોઈએ, જે અત્યારે અશક્ય છે. આટલી માત્રા બનાવવા માટે અનેક ટ્રિલિયન ડોલર અને હજારો વર્ષોનો સમય લાગી શકે છે. તેને સંગ્રહિત કરવું પણ અસંભવ છે, કેમકે તે કોઈપણ અન્ય પદાર્થને સ્પર્શે કે તરત જ વિસ્ફોટ થાય છે. તેને ચુંબકીય ક્ષેત્રમાં અત્યંત ઠંડા તાપમાને અને પરફેક્ટ વેક્યુમમાં જ રાખી શકાય છે. BASE પ્રયોગમાં અત્યારે માત્ર થોડા અણુઓને વર્ષો સુધી રાખી શકાય છે.
એન્ટિમેટરનો શાંતિપૂર્ણ ઉપયોગ પણ શક્ય છે. તેનો ઉપયોગ અવકાશયાન માટે અત્યંત કાર્યક્ષમ ઇંધણ તરીકે અથવા કેન્સરની સારવારમાં PET સ્કેનમાં થઈ શકે છે. તે વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિ છે, પણ તેને હથિયારમાં ફેરવવાનું જોખમ માનવ સંસ્કૃતિ માટે ભયંકર પરિણામ લાવી શકે છે. અત્યારે તે સાવ નજીવી માત્રામાં ફક્ત પ્રયોગશાળાની અંદર જ સીમિત છે. ભવિષ્યમાં તેને નિયંત્રિત રીતે વાપરવાની જરૂર છે, જેથી તે માનવતાના કલ્યાણ માટે કામ કરે, વિનાશ માટે નહીં.




