ગઈકાલે રાત્રે રોજ કરતા વહેલા ઊંઘી ગયો હતો, એટલે મધરાત પછી દોઢ વાગે ઊંઘ ઊડી ગઈ, ત્યારે જ મેડીટેશનમાં બેસી ગયો. ચોમેર અંધકાર અને એક પણ અવાજ વગરનો સન્નાટો. હું વિચારી રહ્યો કે ઘડીભર પહેલા જ્યારે હું નિંદ્રાધીન હતો, ત્યારે આ જગત ક્યાં હતું? સુષુપ્ત અવસ્થામા જેનો સંપૂર્ણ લોપ થઈ જાય છે, એ જગતને મિથ્યા ગણવું? કે એ ઊંઘની અવસ્થાને મિથ્યા ગણવી? પૃથ્વીના બીજા ગોળાર્ધમાં કરોડો લોકો જાગતા હશે અને કામ કરતા હશે. આ તરફના ગોળાર્ધમાં કરોડો લોકો નિંદ્રાધીન છે. આનો અર્થ એ થયો કે, આપણા ગોળાર્ધમાં ચાલતું ચિત્રપટ હવે પેલા ગોળાર્ધમાં ચાલુ થયું છે? આદિ શંકરાચાર્ય કહે છે કે “આખું જીવન અને આખું જગત મિથ્યા છે, માયા સ્વરૂપ છે”.
જેવી રીતે સ્વપ્ન અવસ્થામાં આપણે જે કંઈ દ્રશ્યો જોઈએ છીએ, ભોજન ઈત્યાદી પદાર્થો માણીએ છીએ, તે આપણને જાગ્યા પછી તૃપ્તિ આપી શકતા નથી. એના જેવું જ આ જગતના ભૌતિક સુખોનું પણ છે. માયાવી હાથી ઉપર અંબાડી મૂકી શકાતી નથી, રણમાં દેખાતા મૃગજળ થી તરસ છીપાવી શકાતી નથી, દોરડાને સર્પ માનવાથી તે આપણને કરડી શકતું નથી, એવું જ આ માયાવી જગતના પદાર્થોનું છે. આપણે એ બધાને સત્ય માની લઈએ, તો પણ એ ક્યારેય આપણને સંતોષ આપી શકતા નથી. સત્ય માત્ર બ્રહ્મ છે અને બ્રહ્મ જ આપણને સાચું સુખ આપી શકશે.