મૂળ વડોદરાનાં પટેલ દંપતિના દીકરી શીલાએ ઓશો રજનીશ સાથે જોડાયા બાદ વિવાદોથી ઘેરાયેલી જિંદગી જીવી છે, અને આજે 72 વર્ષે તે સ્પષ્ટતાથી કહી શકે છે કે આ જિંદગીનું તેમને લગીરેક ગિલ્ટ નથી કે ન તો તે કોઇ કહેવાતા બોજમાંથી મુક્તિ મેળવવા માગે છે
ઓશો રજનીશની વિવાદાસ્પદ અને છતાંય પ્રભાવી જિંદગીમાં જેણે રસ લીધો છે તે તમામ મા આનંદ શીલાના નામથી અજાણ્યા નથી. મૂળ વડોદરાનાં શીલા પટેલને તેમનાં પિતા અંબાલાલ પટેલ પહેલીવાર ઓશો રજનીશને મળવા લઇ ગયા અને પછી જે થયું તેનાથી બધાં જ વાકેફ છે. નેટફ્લિક્સ પર આવેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ વાઇલ્ડ વાઇલ્ડ કંટ્રીને કારણે મા આનંદ શીલા ફરી ચર્ચામાં આવ્યા અને ‘સર્ચિંગ ફોર શીલા’ એ બીજી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ હતી જેમાં 34 વર્ષે ભારત આવેલા મા આનંદ શીલાની વાત કરાઇ. અનેક ઇન્ટરવ્યુઝ, જાતભાતના હાઇ સોસાયટીના લોકો સાથે મુલાકાત અને પિતાના હિંચકે બેસીને આંસુ લુછતાં મા આનંદ શીલાને બધાંએ ફરી જોયાં. મા આનંદ શીલા પર કથિત બાયોટેરરિઝમના હુમલો પ્લાન કરવાનો આક્ષેપ પણ મુકાયો તો જે ઓશો રજનીશને પોતે આજે પણ ગળાડુબ પ્રેમ કરે છે તે ઓશો રજનીશે પણ શીલાને ગુનેગાર ઠેરવ્યાં. 39 મહિના જેલમાં પસાર કર્યા પછી મા આનંદ શીલા જેલમાંથી છૂટ્યા પછી રજનીશ આશ્રમ સાથેના છેડા ફાડી સ્વિટ્ઝરલેન્ડમાં પંગુઓ અને વૃદ્ધો માટે કેર હોમ ચલાવે છે. તેણે તાજેતરમાં જ એક અખબારમાં ઇન્ટરવ્યુ આપ્યો હતો. જે અહીં પ્રસ્તુત છે.

- Advertisement -
એવા કયા સવાલો છે જેના જવાબ આપી તમે પણ હવે કંટાળ્યા છો?
લોકો મને હંમેશા પૂછે છે કે શું મને મુક્તિ મળી ગઇ છે, એક રીતે એમ કે શું હવે હું કોઇ બોજમાં છું ખરી? ત્યારે મને એમ થાય કે હું તો એ દિશામાં વિચારતી જ નથી. મારે જે કરવું હોય એ જ હું કરું છું, મારા મનમાં તે અંગે પુરી સ્પષ્ટતા છે. હું મુક્તિની અનિવાર્યતા વિશે શા માટે વિચારું? મને કોઇ ગિલ્ટ કે તે માટેની કોઇ ગુનાઇત લાગણી નથી. ગુનાઇત લાગણી અને મુક્તિ એક સિક્કાની બે બાજુ છે અને મને બેમાંથી કોઇપણ લાગુ નથી પડતાં. મોટા ભાગના લોકો મુક્તિ અને ગુનાઇત લાગણીની વચ્ચે જ જીવતાં હોય છે. મને કોઇએ એમ પૂછ્યું કે તમે ગિલ્ટ ફિલ થાય ત્યારે તમે શું પ્રતિક્રિયા આપો છો, પણ મને ગિલ્ટી ફિલ નથી થતું, હું એ જ કરું છું જે મારે કરવું હોય અને જે રીતે કરવું હોય તે જ રીતે કરું છું, તે રસોઇ હોય, સાફ સફાઇ હોય કે પછી કોઇ હાઇ ફિલોસોફીની વાત હોય. જે મારા મનમા હોય તે જ હું કરું છું, કહું છું.
શું તમે પહેલેથી જ મનસ્વી હતાં કે પછી તમે જે જિંદગી જીવ્યા તેને કારણે તમે તેવાં બન્યાં?
મને લાગે છે કે તે બંન્ને બાબતનું કોમ્બિનેશન છે. જિંદગીનાં પોતાનાં તત્વ હોય છે જેનાથી તમને પ્રેરણા મળે, પ્રેરણા તમને ત્યારે જ મળે જ્યારે તમારામાં એ ગુણ હોય. ગિલ્ટ ન હોય તો જ વ્યક્તિ મૂવ ઓન થઇ શકે.
માની લો કે આ પ્રામાણિક સવાલ તમને હું અત્યારે પૂછું છું, તમે શું જવાબ આપશો?
આ સવાલનો જવાબ મેં મારી રીતે નહીં પણ એક યા બીજી રીતે આપ્યો જ છે. મેં જે સત્ય હતું એજ કહ્યું છે. હું તે માણસને પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. પ્રેમ અને સેક્સ બંન્ને અલગ ચીજો છે. મેં જ્યારે પણ ભગવાન (ઓશો રજનીશ) વિશે વિચાર્યું છે ત્યારે એક ક્ષણ માટે પણ મારી લાગણીઓને સેક્સ્યુઆલિટી સાથે નથી જોડી. ભગવાન માટે મને માત્ર પ્રેમ, સન્માન, આદર અને કૃતજ્ઞતા જ અનુભવાયાં છે. હું બસ પ્રેમમાં પડી, કોઇ જુવાન છોકરી પ્રેમમાં પડે એમ જ. હું જે રીતે પ્રેમમાં પડી તે રીતે કોઇ પ્રેમમાં પડે ત્યારે કોઇ કંઇ વિચારે નહીં, મગજ ન વાપરે, બસ પ્રેમમાં પડો પછી તે હોર્મોન્સ હોય કે ન હોય કંઇ ફેર નથી પડતો અને હું પ્રેમમાં હતી અને તે બહુ જ સરસ ફિલિંગ હતી.
- Advertisement -
કોઇપણ પ્રકારની અપેક્ષા વિના પ્રેમમાં પડ્યા હતા?
પ્રેમમાં અપેક્ષા ન હોય, અને જો હોય તો તે પ્રેમ નથી સોદો છે, બિઝનેસ છે, તું મારે માટે આમ કર અને હું તારે માટે આ કરું, – એવી ગોઠવણ હોય તો તેને પ્રેમ ન કહેવાય
તમે રજનીશથી છૂટાં પડ્યાં તેને વર્ષો થઇ ગયાં પણ એ કઇ બાબતો છે જે તમારામાં હજી પણ નથી બદલાઇ, જે ત્યારે પણ હતી?
તમે મને જુઓ છો, હું જેવી આજે છું તેવી ત્યારે પણ હતી, ભગવાન સાથે પણ અને ભગવાન વિના પણ. હું સ્પષ્ટ વક્તા ત્યારે પણ હતી અને આજે પણ છું, ઊંમરને કારણે કે હું જે વાતાવરણમાં રહું છું, જેમની કાળજી રાખું છું ત્યાં મને આકરી ભાષાની જરૂર નથી, ભાષા બદલાઇ છે. બસ માત્ર ઊંમરનો ફેર છે, મારી મૂળ પ્રકૃતિ જેવી હતી તેવી જ આજે પણ છે.

ભાષા અને વહેવાર સિવાય બીજી કઇ બાબતો છે જે બદલાઇ ગઇ છે?
હું હજી પણ કોમ્યુનિટી સાથે રહું છું, મારી જિંદગી મારી રીતે જીવું છું, તમે જિંદગીને એવી રીતે વહેંચી ન શકો, હા મીડિયાવાળા મારી જિંદગીનું ડાયસેક્શન કર્યા કરે છે અને ભલે કરતા, મને કંઇ બહુ ફેર નથી પડતો.
સમય સાથે બધું બદલાય છે એ આપણે જાણીએ છીએ પણ તમારા રજનીશ સાથેના વર્ષો અને અનુભવથી કેટલા આગળ વધી ગયાં છો?
બિલકુલ આગળ વધી છું, ઘણી બધી, હું મુવ ઓન થઇ ગઇ છું, એ તો હવે છે જ નહીં. શારીરિક રીતે તો તે છે નહીં. મેં મારી જિંદગી જીવવાની રીત, શૈલી શોધી. હું તેમની સાથે હતી ત્યારે તે જીવતી હતી, તેમના પ્રકારની જિંદગી જીવતી હતી તેનાથી અલગ જીવું છું, એક રીતે જોઇએ તો હું બહુ દૂર નથી કારણકે હું હજી પણ તેમને એટલો જ પ્રેમ કરું છું. તેમની પાસેથી શીખેલા પાઠ આજે પણ હું મારી જિંદગીમાં લાગુ કરું છું, જે રીતે જીવું છું તેમાં તેમનું શીખવેલું ઘણું છે.
તેમની શીખવેલી કઇ બાબતો હજી પણ તમારી સાથે છે, તમારી ભીતર છે?
પ્રેમ, જિંદગી, હાસ્ય, સ્વીકાર – આ બોધ હું તેમની પાસેથી શીખી, આ ચીજો આજે પણ મારામાં છે, હું તે સાથે રાખીને જ જીવું છું.
તમે સ્વીકારની વાત કરી, તમે રજનીશને પુરેપુરા સ્વીકાર્યા પણ તમારા બે જણ વચ્ચે જે વિવાદ થયો તે પછી તે તમને સ્વીકારી ન શક્યા? પોતે જે ઉપદેશ આપતા હતા તે પાળવામાં જ રજનીશ પાછા પડ્યા
તેમણે જે કહ્યું તે તેમની ચોઇસ છે, તેમણે એવું કેમ કર્યું તેનો જવાબ તેમણે આપવો રહ્યો. હું તેમને પ્રેમ કરું છું એટલે મારે તેમના પ્રત્યે થોડી વધારે ઉદારતા દેખાડવી રહી. વળી તે હંમેશા એમ કહેતા કે મારી આંગળી સામે નહીં પણ તે કઇ દિશામાં નિર્દેશ કરે છે તેની પર નજર રાખો. એટલે કે હું પોતે જે શીખવું છું તે અનુસરું છું કે નહીં તેની ફિકર ન કરો પણ હું ઇચ્છું છું કે તમે મારી પાસેથી તમે શીખો. હું ભગવાનની આ વાતને પુરેપુરી અનુસરું છું.
લોકોએ તમને કઇ રીતે યાદ રાખશે તો તમને ગમશે?
તેમણે મને જરાય યાદ રાખવાની જરૂર નથી. જે રીતે મને કેવી રીતે સંબોધવી કે બોલાવવી તે તેમની પર્સનલ ચોઇસ છે તે જ રીતે મારા જેવી વેગાબોન્ડને યાદ રાખવા માટે પણ તેઓ પોતાના મનનું કરે, જેમ ઠીક લાગે તેમ યાદ રાખે કે ન ય રાખે. હું જેવી છું તેવી જ તમે મને જુઓ છો અને તમારે તમારી જિંદગીના અનુભવોને આધારે મારી જિંદગીનો અર્થ કાઢો, તેની પ્રત્યે દ્રષ્ટિકોણ બાંધો, એ તો તમારે જોવાનું છે.
તમારી અત્યારની જિંદગીની વાત લોકો નથી કરતા તે તમને કઠે છે?
કેટલાક લોકોની દ્રષ્ટિ ટૂંકી હોય અને કેટલાકની દ્રષ્ટિ દીર્ઘ હોય છે, તો હવે એમાં તો હું શું કરી શકું કે તે લોકો મને કેવી રીતે જુએ છે કે કેવી રીતે યાદ રાખે છે. એવા પણ લોકો છે જે મારા અત્યારના કામને જુએ છે, પારખે છે, તેને પ્રશંસે છે તો એવા લોકો છે જે મારી ભગવાન સાથેની જિંદગી પર જ ફોકસ કરે છે. મને તો બેમાંથી એકેનો વાંધો નથી કારણકે બંન્ને મારી જ જિંદગી છે.
તમને એ વાતની અકળામણ નથી કે લોકો તમને રજનીશથી અલગ કરીને નથી જોતા?
ના, તમે મને એમનાથી કેવી રીતે અલગ કરશો, તે મારા શ્વાચ્છોશ્વાસ છે, મેં તેમને પ્રેમ કર્યો છે અને જે રીતે જિંદગી જઇ રહી છે હું ભવિષ્યમાં પણ તેમને પ્રેમ કરતી રહીશ.
જેલવાસને કારણે તમે કેટલાં બદલાયાં?
જો જેલમાં રહેવા જેવો અનુભવ તમને ન બદલે તો તમે કોઇ તક ગુમાવી એમ કહીશ. મારી દીકરી મને તેના સ્કૂલના વેકેશન દરમિયાન મળવા આવી હતી. તેણે મને પૂછ્યું, કે શીલી તું બદલાઇ ગઇ છે? તેનું અવલોકન સચોટ હતું. જો હું એ સમય દરમિયાન ન બદલાઉં તો મેં મારો સમય વેડફ્યો કહેવાય. મને જે અનુભવ મળ્યો તેના લીધે મને સમયનું મૂલ્ય અને ધીરજ બંન્ને બાબતો શીખવા મળી. સમયનું મૂલ્ય એ રીતે કે, આપણે રોજીંદી જિંદગીમાં સમયને સમજવામાં થાપ ખાઇએ છીએ અને એટલે જ સ્ટ્રેસમાં રહીએ છીએ. આપણે કહ્યા કહીએ કે મારી પાસે સમય નથી, મારે ત્યાં જવાનું છે, મારે પેલુ કરવાનું છે વગેરે. જેલમાં તો તમે માત્ર સમય જ ગણો છો. બધાં ગણતરી કર્યા કરે કે કેટલો સમય સજા ભોગવવાની છે, હજી કેટલો વખત જેલમાં રહેવાનું છે વગેરે. આ આખી બાબત સમય પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ જ બદલી નાખે. વળી જેલમાં તો લાંબો સમય રાહ જોવાની હોય છે, મેં પણ જેલમાંથી બહાર આવવા માટે 39 મહિના રાહ જોઇ, અને એ સમયે મને ધીરજ કેળવતા શીખવ્યું અને મારો સમય સતત વિચારોમાં વેડફાય નહીં તે પણ હું શીખી, મેં મારા સમયનો સદુપયોગ કર્યો. (સૌજન્ય: મિડ-ડે, ગુજરાતી)


