– ખાદ્ય સહિતની ચીજોમાં ભાવ વધશે: ફુગાવો 7.50%ની રેકર્ડ સપાટીએ જશે: નવ માસથી રીઝર્વ બેન્કને પણ મચક આપતી નથી
– યુક્રેન યુદ્ધ લંબાયું: વૈશ્વિક પડઘાથી ક્રુડતેલ-ગેસ-અનાજના ભાવ ઉંચકાશે: ગરીબની થાળીમાંથી વધુ ભોજન અદ્રશ્ય થશે
- Advertisement -
દેશમાં બની રહેલા ગુજરાત સહિત બે રાજયોના ચૂંટણી માહોલ અને આગામી વર્ષની ધારાસભા ચૂંટણી તથા 2024ની લોકસભા ચૂંટણીના પ્લેટફોર્મ તૈયાર કરવામાં રાજકીય પક્ષો વ્યસ્ત છે તે વચ્ચે સતત વધતી રહેલી મોંઘવારી હવે દિપાવલીના તહેવારો પછી પણ નવા રેકોર્ડ બનાવે તેવા સંકેત છે.
ખાસ કરીને શાકભાજી અને અનાજના ભાવમાં છેલ્લા બે વર્ષથી જે વધારો થઈ રહ્યો છે તેમાં હજુ રાહત મળશે તેવા કોઈ સંકેત નથી. આ વર્ષની નેઋત્યના ચોમાસાની સીઝન પુરી થઈ છે અને દેશમાં ચોમાસું એકંદર સંતોષકારક પણ અસમાન રહ્યું છે જેની અસર રવિપાક પર વધુ જોવા મળશે પણ જે ભાવવધારાનો માહોલ છે તેનાથી છૂટક મોંઘવારી (ફુગાવો) 7.30%ની નવી ઉંચી સપાટીએ પહોંચશે જે છેલ્લા પાંચ માસની સૌથી ઉંચી સપાટીએ હશે. સતત નવમો માસ હશે જયારે રીઝર્વ બેન્કના અંદાજ કરતા છૂટક ફુગાવો અત્યંત વધુ હશે.
ઓગષ્ટમાં છૂટક ફુગાવો 7%ના સ્તરે હતો અને દેશના ટોચના 47 અર્થશાસ્ત્રીઓનો દાવો છે કે યુક્રેન-યુદ્ધ સમાપ્તી તરફ નથી અને હવે કદાચ યુદ્ધ વિસ્તરશે તો વિશ્વમાં નવી કટોકટી શરૂ થઈ શકે છે. જેના કારણે અનાજ, ગેસ, ક્રુડ જેવા બેઝીક ઉત્પાદનો વધુ મોંઘા થશે. ખુદ ભારતમાં ડોમેસ્ટીક ઉત્પાદનના ગેસના ભાવ 40% વધી ગયા છે અને હવે છ માસ સુધી આ ભાવ વધતા જશે તો ક્રુડતેલ બજાર ફરી ઉંચકાવા લાગી છે તથા રૂપિયો વધુ ઘસાશે તેવો ભય છે તેથી ઘરઆંગણે ડિસેમ્બર પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થાય તેવી શકયતા છે.
- Advertisement -
અનાજ વિ.ના ભાવમાં જે ઘટાડાનો ટ્રેન્ડ હતો તે હવે રીવર્સ થવા લાગ્યો છે જેથી દિપાવલી પછી ભાવવધારાનો મોટો માર પડશે. કાલે જ છૂટક મોંઘવારીનો આંક જારી થશે. રિઝર્વ બેન્ક પણ વ્યાજ મોંઘા કરી રહી છે જેની અસર પણ દેખાશે.