ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
‘પરમેનન્ટ રેસીડન્ટ કાર્ડ’ જે પ્લાસ્ટીકનું એક વિઝિટિંગ કાર્ડના કદનું કાર્ડ છે એને આપણે સૌ ‘ગ્રીનકાર્ડ’ તરીકે ઓળખીએ છીએ કારણ કે આ કાર્ડ જ્યારે દાખલ કરવામાં આવ્યું ત્યારે એનો રંગ લીલો હતો. આથી એ ગ્રીનકાર્ડના નામથી પ્રચલિત થયું. ત્યારબાદ તો આ પરમેન્ટન્ટ રેસીડન્ટ કાર્ડે અનેકવાર એના રંગો બદલ્યા છે. આજે એનો રંગ સફેદ છે. જેમને અમેરિકામાં કાયમ રહેવું હોય એમને ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે. ઈમિગ્રન્ટ વિઝા મળ્યા બાદ અમેરિકામાં પ્રવેશ્યા પછી એ ઈમિગ્રન્ટ વિઝાધારકને અમેરિકામાં કાયમ રહેવાની પરવાનગી બક્ષતું પરમેન્ટન્ટ રેસીડન્ટ કાર્ડ એટલે કે ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ મળેથી એ વ્યક્તિ અમેરિકામાં કાયમ માટે રહી શકે છે. અમેરિકા બહાર જાય તો ફરી પાછા અમેરિકામાં પ્રવેશવા માટે એણે અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝા મેળવવાની જરૂરિયાત નથી રહેતી. ફકત આ ગ્રીનકાર્ડ દેખાડતા એમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવે છે. અમુક વ્યક્તિ એકલી પણ એનું ગ્રીનકાર્ડ કાયમનું શકે છે. ગ્રીનકાર્ડ સામાન્ય રીતે દસ વર્ષની મુદતનું આપવામાં આવે છે. એ સમય પૂરો થતાં ગ્રીનકાર્ડધારકે જો એણે ત્યાં સુધી નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકાની સિટિઝનશીપ પ્રાપ્ત કરી ન હોય તો અરજી કરતા એનું ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે પણ એ સમયે ઈમિગ્રેશન ખાતું ચોકસાઈ કરે છે એ ગ્રીનકાર્ડધારકે અમેરિકાના કોઈ પણ કાયદાનો ભંગ નથી કર્યોને? ગ્રીનકાર્ડધારકનો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો હોવો જોઈએ અને એ માટે એમણે જોઈ અને જાણી શકાય એવા કાર્યો કર્યા હોવા જોઈએ. ગ્રીનકાર્ડધારકો અમેરિકામાં ભણી શકે છે, નોકરી યા ધંધો કરી શકે છે, પ્રોપર્ટીઓ લે-વેચ કરી શકે છે, ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે ટૂંકામાં એક સામાન્ય માણસ એના દેશમાં જે જે કાર્યો કરી શકે એ સઘળા કાર્યો ગ્રીનકાર્ડધારક અમેરિકામાં કરી શકે છે. ફકત એને અમેરિકાની ચૂંટણીમાં ઊભા રહેવાનો કે મત આપવાનો અધિકાર નથી હોતો અને અમુક નોકરીઓ, જે ખાસ કારણોસર ફકત અમેરિકન સિટિઝનો માટે જ નિર્માણ કરેલ હોય છે એ તેઓ પામી નથી શકતા. મોટાભાગના ભારતીયો સિનિયર સિટિઝન થાય ત્યારબાદ જ ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરતા હોય છે. એટલે ગ્રીનકાર્ડ મળેથી અમેરિકામાં જઈને તેઓ નોકરી યા ધંધો કરતા નથી યા કરી નથી શકતા. તેઓ ગ્રીનકાર્ડ ફકત એટલા માટે જ પ્રાપ્ત કરતા હોય છે કે અમેરિકામાં રહેતા એમના સંતાનોની સાથે તેઓ રહી શકે. એમની પાછલી ઉંમરમાં એમના સંતાનો એમની કાળજી લઈ શકે.
- Advertisement -
અનેકો ગ્રીનકાર્ડધારકોનો અમેરિકામાં કાયમ રહેવાનો મુદ્દલે ઈરાદો નથી હોતો. તેઓ ગ્રીનકાર્ડ ફકત એટલા માટે પ્રાપ્ત કરે છે કે એમના સંતાનો તેમ જ નજીકના સગાવહાલાઓ અમેરિકામાં કાયમી રહેતા હોય છે. આથી ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરતા તેઓ એમને ઈચ્છા થાય ત્યારે અમેરિકામાં પ્રવેશી અને ત્યાં રહી શકે છે. મોટાભાગના ગ્રીનકાર્ડધારકો એમની આવક, એમનો ધંધો, એમની ખેતીવાડી ભારતમાં હોય છે. અમેરિકાના ઈમિગ્રેશનના તેમ જ ઈન્કમટેક્સના કાયદાઓ હેઠળ ગ્રીનકાર્ડધારકોએ એમની વિશ્ર્વમાં કશે પણ, કંઈ પણ આવક હોય એની ઉપર ટેક્સ અમેરિકામાં ભરવાનો રહે છે. પણ લગભગ બધા જ ભારતીય ગ્રીનકાર્ડધારકો આ નિયમનું ઉલ્લંઘન કરતા હોય છે. અનેક ગ્રીનકાર્ડધારકો આ કાર્ડનો રેલવેના પાસની માફક ઉપયોગ કરે છે. મન ચાહે ત્યારે અમેરિકામાં થોડા દિવસ જઈને રહે છે. અનેકો ગ્રીનકાર્ડના નિયમોનો ભંગ ન થાય એ માટે છ મહિનાથી વધુ અમેરિકાની બહાર નથી રહેતા. તેઓ વર્ષના છ મહિના અમેરિકામાં રહે છે અને છ મહિના ભારતમાં રહે છે. આમ તેઓ કોઈ પણ કાયદાનું કે નિયમનું ઉલ્લંઘન નથી કરતા પણ એમનું આ રીતે રહેવું દર્શાવી આપે છે કે, એમને અમેરિકામાં કાયમ નથી રહેવું હોતું. તેઓ અમેરિકામાં નથી ઘરબાર લેતા, નથી પ્રોપર્ટી ખરીદતા, નથી બિઝનેસ કે નોકરી કરતા. આ બધું તેઓ ભારતમાં જ કરે છે. ગ્રીનકાર્ડધારક હોવા છતાં એમની ચાલચલગત એવું દર્શાવી આપે છે કે તેઓ અમેરિકામાં નહીં પણ ભારતમાં જ એમનું કાર્ય કરવા ઈચ્છે છે. જો અમેરિકાના ઈમિગ્રેશન ખાતાને એવું જણાય કે તો ગ્રીનકાર્ડધારકનો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો નથી તો એ વ્યક્તિ ભલે છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહેતી ન હોય પણ એના ઈરાદાઓ એ વાત છતી કરે છે કે તેઓ અમેરિકામાં કાયમ રહેવા નથી ઈચ્છતા. આવી વ્યક્તિઓના ગ્રીનકાર્ડ અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું, રદ કરી શકે છે, આથી જ જ્યારે વયસ્ક ગ્રીનકાર્ડધારકો છ મહિના ભારતમાં રહીને પછી નિયમનું ઉલ્લંઘન ન થાય એટલા માટે અમેરિકા જતા હોય છે ત્યારે બોર્ડર ઉપરના ઈમિગ્રેશન ઓફિસરો એમને જણાવતા હોય છે કે, ‘તમારો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો નથી. તો શા માટે ગ્રીનકાર્ડ રાખો છો? એ સરેન્ડર કરી દો અને અમેરિકાના બી-1/બી-2 બિઝનેસમેનો અને વિઝિટરો માટેના વિઝા મેળવો. ગ્રીનકાર્ડ ફકત એવા જ પરદેશીઓ માટે છે જેઓ અમેરિકામાં કાયમ રહેવા ઈચ્છે છે. અમેરિકામાં કામધંધો કરવા ચાહે છે, જો રીટાર્યર થયા હોય તો રીટાર્યર લાઈફ પણ અમેરિકામાં જ ગાળવા ઈચ્છે છે. તેઓ ઈન્વેસ્ટમેન્ટ અમેરિકામાં કરે છે, પ્રોપર્ટી અમેરિકામાં ખરીદે છે, બધી જ આવકો ઉપર ટેક્સ અમેરિકામાં ભરે છે. અમેરિકા વિરુદ્ધ અમેરિકાને નુકસાન પહોંચે એવું કોઈ પણ કાર્ય તેઓ કરતા નથી.’